પોરબંદર
પોરબંદર સિવિલ હોસ્પિટલ માં ટ્રીમીંગના નામે વૃક્ષો નું છેદન થયું હોવા અંગે પર્યાવરણ મંત્રી ને સામાજિક કાર્યકર દ્વારા રજૂઆત કરાઈ છે.
પોરબંદરના સામાજિક કાર્યકર બાબુભાઈ પાંડાવદરાએ આરોગ્ય મંત્રી અને પર્યાવરણમંત્રીને કરેલી રજૂઆત માં જણાવ્યું છે કે સરકારી ભાવસિંહજી હોસ્પીટલમાં વર્ષોથી જુના લીમડાના વૃક્ષો ઓકસીજન પુરો પાડવાની સાથોસાથ છાયડો પુરો પાડે છે.તેથી આ વૃક્ષો નીચે દર્દી અને તેના સ્વજનો ઘણી વખત સમય પસાર કરવા બેસે છે.અને ભોજન પણ લે છે.આ વર્ષો જુના વૃક્ષો ઉપર હોસ્પીટલના તંત્રએ કરવત ફેરવી દીધી છે.
ટ્રીમીંગના બહાને ડાળીઓ કાપવાને બદલે અડધા વૃક્ષોના છેદન કરી નાખવામાં આવ્યા છે.એક બાજુ સરકાર ચોમાસા દરમ્યાન પર્યાવરણનું જતન અને જાળવણી કરવા પર ભાર મુકી રહી છે.અને વૃક્ષારોપણ થાય તેવા પ્રયત્નો કરી રહી છે. તો બીજી બાજુ સરકારી ભાવસિંહજી હોસ્પીટલનું તંત્ર એ જ જુના વૃક્ષોનું છેદન કરીને શું સાબીત કરવા માંગે છે ? વધુ માં જણાવ્યું હતું કે સીવીલ હોસ્પીટલનું તંત્ર નવા વૃક્ષો વાવી શકતું નથી.પરંતુ છે તેના જતન અને જાળવણી કરતું નથી.આથી આ અંગે જવાબદારો સામે કાર્યવાહી કરવા રજૂઆત માં જણાવ્યું છે.