આજે શનીશ્વરી અમાસ નિમિતે પોરબંદર નજીક આવેલ હાથલા ગામે આવેલ શનિદેવ ના જન્મસ્થળ ખાતે વહેલી સવાર થી ભક્તો ના ઘોડાપુર ઉમટશે.
આજે શનૈશ્વરી અમાસના દિવસે પોરબંદર નજીક આવેલા શનિદેવના જન્મસ્થાન હાથલા ગામે શનિદેવના દર્શન કરવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડશે. સવારથી જ ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોના ભકતોની લાંબી કતાર લાગશે. શનિ પ્રકોપથી બચવા અને શાંતિ મેળવવા આ દિવસે શનિદેવ ઉપરાંત હનુમાનજીની ઉપાસના શ્રેષ્ઠ ગણાય છે. ત્યારે ભક્તો દ્વારા હવન,પૂજા,તેલ નો અભિષેક કરી શનિદેવ ને રીઝવવા પ્રયાસ કરશે. ઉપરાંત શનિ કુંડમાં સ્નાન કરી ધન્યતા નો અનુભવ કરશે.
શનિ પ્રકોપથી બચવા માટે તેમના જન્મસ્થાને પુજા કરવાનું અનેરૂં મહાત્મ્ય હોવાથી શનૈશ્વરી અમાસ ઉપરાંત શનિ જયંતિના દિવસે શનિદેવના જન્મસ્થાને મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે. ત્યારે દર્શન કરવામાં કોઈ અવ્યવસ્થા ન સર્જાય તે માટે મંદિર દ્વારા પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવશે. હાથલા શનિ મંદિર એક જ એવું સ્થાનક છે કે જ્યાં સ્ત્રીઓ પણ નિજ મંદિર માં પ્રવેશ કરી પોતાની જાતે ભગવાનની પુજા-અર્ચના કરી શકે છે. આથી મહિલાઓ પણ મોટી સંખ્યા માં શનીશ્વરી અમાસ નિમિતે દર્શનાર્થે આવશે.
મંદિર વિષે અનોખી માન્યતા
આ શનિ મંદિર વિશે એવું કહેવામાં આવે છે કે શનિદેવ હાથીની સવારીએ અહીં આવ્યા હતા. અને અહીં પોતાનું સ્થાનક બનાવ્યું હતું. અહીં શનિ દેવ પોતાની પત્ની પનોતી દેવી સાથે પધાર્યા હોવાથી આ મંદિરને પનોતી મંદિર તારીકે ઓળખાય છે. મંદિરે આવેલ શની કુંડ ખાતે પનોતી ચાલતી હોય તેવા લોકો પણ સ્નાન કરતા હોય છે, પરંતુ મામા-ભાણેજને પોતાના હાથે સ્નાન કરાવી નક્કોર વસ્ત્ર પહેરાવે તો ક્યારેય કોઇ પનોતી નજીક આવતી નથી. તેવી પણ એક માન્યતા છે તો દર્શન કરવા આવનાર દર્શનાર્થીઓ પગરખા પહેરીને આવે છે. અને શનિ મંદિરે પોતાના પગરખા મુકીને જાય છે. માન્યતા મુજબ પનોતી શનિ મંદિરે છોડી દેવાથી પરત આવતી નથી, તેવી પણ એક લોકવાયકા છે.જેથી અહી બુટ ચંપલ નો પણ ખડકલો થશે.