પોરબંદરમાં સાંદીપનિ વિદ્યાનિકેતનમાં પ્રતિવર્ષ મુજબ પણ પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની પાવન ઉપસ્થિતિમાં આ વર્ષે પણ શ્રીહરિ મંદિરનો ૧૭મો પાટોત્સવ-વર્ષ ૨૦૨૩, તા. ૨૬/૦૧/૨૦૨૩ થી ૨૮/૦૧/૨૦૨૩ દરમ્યાન સાથે ધાર્મિક, આધ્યાત્મિક, પ્રવચનાત્મક પ્રવૃત્તિઓ સાથે યોજાશે.
અખંડ રામનામ સંકીર્તન
પ્રતિવર્ષ અનુસાર આ વર્ષે શ્રીહરિ મંદિરના ૧૭મા પાટોત્સવમાં ૨૬/૦૧/૨૦૨૩ થી ૨૮/૦૧/૨૦૨૩ દરમ્યાન ત્રણેય દિવસોમાં સાંદીપનિની શ્રીહરિની બગીચીમાં અખંડ રામનામનું સંકીર્તન કરવામાં આવશે.
પ્રજાસત્તાક પર્વની ઉજવણી
આ વર્ષે શ્રીહરિ મંદિરના ૧૭મા પાટોત્સવનો પ્રારંભ તા.૨૬મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વથી થઇ રહ્યો છે. આથી શ્રીહરિ મંદિરના પ્રાંગણમાં પૂજ્ય ભાઈશ્રી અને પધારેલા મહેમાનોની ઉપસ્થિતિમાં સવારે ૮:૦૦ થી ૮:૪૫ દરમ્યાન રાષ્ટ્રવંદના સાથે ૭૪મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવશે.
ભાગવત ચિંતન શિબિર
શ્રી હરિ મંદિરના ૧૭મા પાટોત્સવમાં છેલ્લા અનેક વર્ષોથી પૂજ્ય ભાઈશ્રીનિ ઉપસ્થિતિમાં ભાગવત ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવે છે. જેમાં વર્ષે પણ ૨૬/૦૧/૨૦૨૩ થી ૨૭/૦૧/૨૦૨૩ એમ દ્વિદિવસીય ભાગવત ચિંતન શિબિરમાં ગુજરાતના પ્રતિષ્ઠિત વિદ્વાનો દ્વારા શ્રીમદ ભાગવતના વિષયને લઈને વ્યાખ્યાન આપવામાં આવશે. આ બંને દિવસ સવારના સત્રમાં ૯:૩૦ થી ૧૨:૩૦ દરમ્યાન અને બપોરપછીના સત્રમાં ૩:૩૦ થી ૪:૦૦ દરમ્યાન વ્યાખ્યાન થશે. જેનું લાઈવે ટેલિકાસ્ટ વિવિધ મીડિયા પ્લૅટફૉર્મના માધ્યમથી થશે.
૨૭મો સાંદીપનિ ગૌરવ અવાર્ડ સમારોહ
શ્રીહરિમંદિરના ૧૭મા પાટોત્સવ દરમ્યાન આ વર્ષે પૂજ્ય ભાઈશ્રી અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં ૨૭મો સાંદીપનિ ગૌરવ અવાર્ડ સમારોહ તા. ૨૮-૦૧-૨૩, શનિવાર સાંજે ૪:૦૦ થી ૬:૦૦ દરમ્યાન સાંદીપનિ સભાગૃહમાં સંપન્ન થશે.
પૂજ્ય ભાઈશ્રીની પ્રેરણાથી સાંદીપનિ દ્વારા છેલ્લા ૨૬વર્ષોથી પોતાના ક્ષેત્રમાં અનુપમ યોગદાન આપનારા મહાનુભાવોનું દેવર્ષિ, બ્રહ્મર્ષિ અને રાજર્ષિ અવોર્ડથી ભાવપૂજન કરવામાં આવે છે. એ ઉપક્રમમાં આવર્ષે ૨૭મા ગૌરવ અવોર્ડ સમારોહમાં પૂજ્ય ભાઈશ્રીના કરકમલો દ્વારા પરમ શ્રદ્ધેય ગોઋષિ પૂજ્યશ્રી દત્ત શરણાનંદજી મહારાજ, પથમેડાને દેવર્ષિ એવોર્ડથી, પદ્મભૂષણ પૂજ્ય આચાર્યશ્રી વશિષ્ઠ ત્રિપાઠીજી, કાશીને બ્રહ્મર્ષિ એવોર્ડથી અને જાણીતા ઉદ્યોગપતિ અને સાંદીપનિ વિદ્યાનિકેતનના ટ્રસ્ટી એવં સંનિષ્ઠ સેવક આદરણીય શ્રી તુષારભાઈ જાની, મુંબઈને રાજર્ષિ અવોર્ડ અર્પણ કરીને ભાવપૂજન કરવામાં આવશે. સાંદીપનિ ગૌરવ અવોર્ડ સમારોહનું લાઈવ ટેલીકાસ્ટ વિવિધ મીડિયા પ્લૅટફૉર્મના માધ્યમથી થશે.
ધાર્મિક કાર્યક્રમો
નૂતન ધ્વજારોહણ એવં ઝાંખી દર્શન
આ ત્રિદિવસીય પાટોત્સવમાં શ્રીહરિ મંદિરમાં બિરાજિત સર્વે વિગ્રહોને પ્રતિદિન વિધિવત પૂજન સાથે નૂતન ધ્વજારોહણ કરવામાં આવશે. આ સાથે તા.૨૭-૦૧-૨૩, શુક્રવારે શ્રીહરિ મંદિરમાં દિવ્ય ઝંખીના દર્શન યોજાશે. જેના દર્શનનો સર્વે ભાવિકો સાંજે ૪:૩૦ થી રાત્રે ૮:૩૦ દરમ્યાન લાભ લઈ શકશે.
ગોપૂજન – ગોવર્ધન પૂજન એવં અન્નકૂટ દર્શન
શ્રીહરિ મંદિરના ૧૭માં પાટોત્સવમાં તા. ૨૬-૦૧-૨૦૨૩, વસંતપંચમીના પાવન દિવસે સવારે ૯:૦૦ વાગ્યે શ્રીહરિની બગીચીમાં પૂજ્ય ભાઇશ્રી દ્વારા ગોપૂજન તથા ગોવર્ધન પૂજા સંપન્ન થશે. આજ દિવસે શ્રીહરિ મંદિરમાં શ્રીલક્ષ્મી નારાયણ સહિત બિરાજમાન દરેક વિગ્રહોને અન્નકૂટનો ભોગ અર્પણ કરવામાં આવશે. જેમાં મધ્યાહ્નમાં પૂજ્ય ભાઇશ્રીના પાવન કરકમલોથી અન્નકૂટ આરતી કરવામાં આવશે. જેનું લાઈવ ટેલિકાસ્ટ થશે. આ દિવસે સવારે ૮:૦૦ થી રાત્રે ૮:૦૦ સુધી અન્નકૂટ દર્શનનો લાભ સર્વે ભાવિકજનો લઈ શકશે.
પાટોત્સવ મહાઅભિષેક એવં પાલખી યાત્રા
શ્રીહરિ મંદિરના ૧૭મા પાટોત્સવ પ્રસંગે તા.૨૮/૦૨/૨૨, રથ સપ્તમી જે શ્રીહરિ મંદિરનો પ્રતિષ્ઠા દિવસ છે. આ દિવસે પ્રતિવર્ષ અનુસાર સવારે ૮:૦૦ વાગ્યાથી પૂજ્ય ભાઇશ્રી અને ઋષિઓ દ્વારા શાસ્ત્રની વિધિ અનુસાર શ્રીહરિ મંદિરમાં બિરાજિત તમામ શ્રીવિગ્રહો પર વિવિધ દ્રવ્યોથી મહાઅભિષેક, પૂજન અને તિલકવિધિ કરવામાં આવશે. આજ દિવસે સાંજે સાયં આરતી બાદ ૮:૦૦ વાગ્યે પૂજ્ય ભાઇશ્રીના સાન્નિધ્યમાં સાંદીપનિ નગરદર્શનના ભાવથી શ્રીઠાકોરજીની દિવ્ય પાલકી યાત્રા સંપન્ન થશે.
મેડીકલ કેમ્પ
શ્રીહરિમંદિરના પાટોત્સવ દરમિયાન બે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.
દંતયજ્ઞ
તારીખ ૨૬,૨૭ અને ૨૮ જન્યુઆરી એમ સતત ત્રણ દિવસ સુધી રોજ સવારે ૯:૦૦ થી ૧૨:૦૦ સુધી દંતયજ્ઞ નું આયોજન કરવામાં આવેલ છે. જેમાં દંત વૈદ્ય લાભુભાઈ શુક્લ મેમોરિયલ ક્લિનિક ગૌરીદડ, રાજકોટ ના જાલંધર બંધ યોગ પદ્ધતિના સુવિખ્યાત દંત વૈદ્ય હર્ષદભાઈ જોશી, દંત વૈદ્ય સરોજબહેન જોશી અને ટીમ પોતાની સેવા પૂરી પાડશે.
પલ્મોનોલોજી કેમ્પ (ફેફસા અને શ્વાસના દર્દોનો કેમ્પ):-
તારીખ ૨૮-૦૧-૨૩ના રોજ સવારે ૯:૦૦ થી ૧:૦૦ વાગ્યા સુધી રાજકોટના સેવાભાવી અને સિનિયર મોસ્ટ સુપર સ્પેશિયાલિસ્ટ પલ્મોનોલોજીસ્ટ ડો. જયેશભાઈ ડોબરીયા ના કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આ કેમ્પ દરમિયાન પી.એફ.ટી (પલમોનરી ફંક્શન ટેસ્ટ) પણ કેમ્પના સ્થળ પર જ વિનામૂલ્યે કરી આપવામાં આવશે. કેમ્પમાં દર્દી ભાઈ બહેનોની શારીરિક તપાસ ઉપરાંત જરૂર પ્રમાણેની લેબોરેટરી તપાસ, ઈ.સી.જી (કાર્ડિયોગ્રામ), સી.ટી.સ્કેન, પી.એફ.ટી વગેરે ઉપરાંત પાંચ દિવસની દવાઓનો કોર્સ પણ કેમ્પના સ્થળ પરથી વિનામૂલ્યે પૂરો પાડવામાં આવશે. વધુ માહિતી માટે કેમ્પ કો-ઓર્ડીનેટર ડો. સુરેશ ગાંધી તથા ડો. ભરત ગઢવી 971 2222000 નંબર પર સંપર્ક કરવા વિનંતી છે.
શ્રીહરિ મંદિર ૧૭મા પાટોત્સવમાં યોજાનાર દરેક કાર્યક્રમો એવં શ્રી હરિ મંદિરના વિવિધ મનોરથના દર્શનનો લાભ તથા લેવા માટે સાંદીપનિ પરિવાર નિમંત્રણ પાઠવે છે.