હાલમાં રાણાવાવ તથા આજુબાજુના પંથક માં મોટી માત્રામાં ખેતમજુરો મજુરીકામ અર્થે આવ્યા છે. અને તેમાંથી અમુક શખ્સો દ્વારા નાના-મોટા ક્રાઇમના બનાવો પણ બનતા હોય છે તેથી તકેદારી રાખવા તથા પોલીસ બંદોબસ્ત વધારવા અને ઘોડેસવાર પોલીસનું પેટ્રોલીંગ કરવા રાજ્યસભાના સાંસદે જિલ્લા પોલીસવડાને રજૂઆત કરી છે.
રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાએ પોરબંદર એસપી ને રજૂઆત કરી જણાવ્યું છે કે રાણાવાવના ભોદ અને મોકર સહિતા આજુબાજુના સીમ વિસ્તારમાં અને ગામોમાં નાના-મોટા ચોરીના બનાવ બન્યા છે. જેમાં તસ્કરો ચોરી કરે છે. તેથી સાથોસાથ મારકુટ પણ કરે છે. અને લુટ પણ કરે છે. આ પ્રકારના બનાવો તાજેતરમાં પણ બની ચુકયા છે. તેથી ખેડુતોને પણ તેઓએ અપીલ કરી છે કે જે ખેડૂતની વાડી ઉપર એમ.પી., યુ.પી. ના મજુર મજુરી કરતા હોય કે ખેતર ભાગમાં રાખતા હોય તેને સાંજે ૬:૩૦ વાગ્યા પછી કોઇની વાડીમાંથી મજુર કોઈપણ બહાને વાડીની બહાર જવા દેવાના નહીં.
કારણ કે તેઓ મજુર છે કે ચોરી કરવાવાળા છે તે અંગે કોઈ ખાતરી નથી. ભોદની સીમમાં ૭ વાગ્યા પછી કોઇ અજાણ્યા માણસ દેખાય તો એની પુછપરછ કરવી. તેમજ તેઓના આધાર કાર્ડ અને ફોટો સહિતની યાદી પણ સાથે રાખવી. જેથી ગુન્હાહિત કૃત્ય થતું જણાય તો તેને તાત્કાલિક ડીટેકટ કરી શકાય. વધુ માં જણાવ્યું છે કે રાણાવાવ પંથકમાં અગાઉ આવા ખેતમજુરો દ્વારા લુટ વીથ મર્ડરના ગુન્હા પણ આચરવામાં આવ્યા છે. તેથી અહીંયા આવતા ખેતમજુરોની યાદી પણ પોલીસે રાખવી જોઈએ, અને વાડી માલિકોએ પણ તે અંગેની જાણ કરવા જનજાગૃતિ ફેલાવવી જોઇએ ઉપરાંત પોલીસ બંદોબસ્ત વધારવા અને ઘોડેસવાર પોલીસનું પેટ્રોલીંગ કરવા પણ જણાવ્યું છે