પોરબંદર
પોરબંદરના રબારી, ભરવાડ, ચારણ સમાજના બેરોજગાર યુવાનો એ કલેકટરને આવેદન પાઠવી સરકારી નોકરીઓમાં નિમણૂંક નહીં અપાતા ઈચ્છામૃત્યુની પરવાનગી માંગી છે.
પોરબંદરના રબારી,ભરવાડ,ચારણ સમાજ ના યુવાનો એ જીલ્લા કલેકટરને પાઠવેલા આવેદનપત્રમાં જણાવાયું હતું કે, અમો તમામ અનુસુચિત જનજાતિ સમાજના છીએ.રાષ્ટ્રપતિ દ્વારા તા. ૨૯-૧૦-૧૯૫૬ ના જાહેરનામા અંતર્ગત ગીર,બરડા અને આલેચના જંગલના નેસ વિસ્તારના રબારી,ભરવાડ અને ચારણને અનુસુચિત જનજાતિ જાહેર કરેલ છે.અમો તમામ સક્ષમ અધિકારી દ્વારા કાઢી આપવામાં આવેલ અનુસુચિત જનજાતિનું પ્રમાણપત્ર ધરાવીએ છીએ.અમો રાજયસરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ ભરતીઓ જેવી કે લોકરક્ષકદળ,રાજય પરિવહન નિગમ,પી.જી.વી.સી.એલ.,જી.પી.એસ. સી.અને અન્ય ભરતીઓમાં સિલેકટ થયેલ છે,પરંતુ જાતિ પ્રમાણપત્રની ચકાસણીના બહાને લગભગ છેલ્લા ત્રણ વર્ષથી અમોને નિમણુંકઆપવામાં આવેલ નથી.
સર્વોચ્ચ ન્યાયાલયના ખાસ દીવાની અપીલના માધુરી પાટીલના ચુકાદામાં આપેલ ગાઈડલાઈન મુજબ પ્રમાણપત્રની ચકાસણીમાં નિયત કરેલ ૬૦ દિવસ ઉપરનો સમય લાગે તો પ્રોવિઝનલ નિમણુંક આપવી.અમારા કિસ્સામાં ત્રણ વર્ષ વીતી ગયેલ હોવા છતા પ્રોવિઝનલ નિમણુંક આપવામાં આવેલ નથી,આ બાબતે હાલમાં ઘણા કિસ્સામાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા પ્રોવિઝનલ નિમણુંક આપવાના આદેશ કરેલ હોવા છતા નિમણુંક આપવામાં આવેલ નથી.સરકાર દ્વારા પોતાની બહુમતી વોટ બેંકને સાચવવા માટે બંધારણને હાંસિયામાં ધકેલીને અમોને અન્યાય કરી રહી છે.અમોએ આદિજાતિ વિભાગથી લઈ તમામ સંલગ્ન અધિકારીઓ, મંત્રીઓ તેમજ તંત્રને પણ લેખિત રજુઆતો કરેલ છે.આમ છતાં અમોને હજુ સુધી નિમણુંક મળેલ નથી.
સરકારની આવી અન્યાયી નિતિના ભોગ બનીને અમારા અનુસૂચિત જનજાતિ સમાજના બે વ્યક્તિઓએ આત્મહત્યા કરી લીધેલ હતી. આમ છતાં હજુ સુધી સરકાર ઘોર નિંદ્રામાં છે.ભારતીય બંધારણ આર્ટિકલ ૧૪ કાયદા સમક્ષ સમાનતા, આર્ટિકલ ૧૫ ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ અથવા જન્મસ્થાનને કારણે કરતા ભેદભાવ પર પ્રતિબંધ,આર્ટિકલ ૧૬ જાહેર નોકરીની બાબતોમાં સમાનતા અને આર્ટીકલ ગમે તે વ્યવસાય, નોકરી કામકાજ, વેપાર કરવાનો હકકનું ઉલ્લંઘન કરીને છેલ્લા ત્રણ વર્ષથી નિમણુંક આપવામં આવેલ નથી.જીલ્લા કલેકટરથી લઇને રાજયપાલ સુધી અમો રજુઆતો કરેલ હોવા છતાં આ બાબતે કોઈ પણ કાર્યવાહી કરેલ નથી.
છેલ્લા ત્રણ વર્ષથી નોકરી ન આપવાના કારણે અમોને ખુબ જ નુકશાન થયેલ છે.બંધારણ દ્વારા દરેકને ગરીમા સાથે ગૌરવપૂર્ણ રીતે જીવવાનો અધિકાર આપેલ છે.પરંતુ સરકારની અન્યાયી નિતિથી અમારા આ અધિકારને છીનવી લેવામાં આવેલ છે.હવે સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા એક ચુકાદામાં કહેવામાં આવ્યું છે કે દરેક વ્યકિતને ગરીમા સાથે મરવાનો અધિકાર છે.અને કોઈ પણ વ્યકિત તેનાથી વંચિત ન કરી શકાય.આથી અમો તમામ આપની પાસે ઈચ્છામૃત્યુની પરવાનગી માંગીએ છીએ.અને સુપ્રિમ કોર્ટની ગાઈડલાઈન મુજબ અમોને ગરીમા સાથે મરવાના અધિકારના ભાગરૂપે ઈચ્છામૃત્યુ માટેની પરવાનગી આપવા અમારી રજૂઆત છે તેમ ઉમેર્યું હતું.
જુઓ આ વિડીયો