રાણાવાવ ના બાપોદર ગામે નર્મદા ની મુખ્ય પાઈપલાઈન નો એરવાલ્વ ૪ દિવસ થી લીક થવા છતાં સમારકામ હાથ ન ધરવામાં આવતા ખેતર માં પાણી ભરાયા છે. જેના લીધે ખેડૂત પરિવાર માં રોષ જોવા મળે છે.
રાણાવાવ ના બાપોદર ગામે સીમ વિસ્તાર માં રહેતા ખેડૂત કેશુભાઈ બાપોદરા એ જણાવ્યું હતું કે તેમના ખેતર માંથી નર્મદાની મુખ્ય પાઈપલાઈન પસાર થાય છે. જેનો એરવાલ્વ ગુરુવારે લીક થયો હતો. જેના કારણે ખેતર માં પાણી ભરાવાનું શરુ થતા તેઓએ તુરંત પાણી પુરવઠા બોર્ડ ના અધિકારીઓ ને જાણ કરી હતી. આથી અધિકારીઓ એ વહેલીતકે પાઈપલાઈન સમારકામ ની ખાતરી આપી હતી. બીજા દિવસે તેઓ ખેતરે જતા ત્યારે પણ પાણી સતત ઢોળાતું હતું. આથી તેઓએ ફરી અધિકારીઓ ને ફોન કરી જાણ કરતા અધિકારીઓ એ એવું જણાવ્યું હતું કે હાલ માં માધવપુર નો મેળો ચાલુ હોવાથી તે પૂર્ણ થયા બાદ પાઈપલાઈનના સમારકામ ની કામગીરી હાથ ધરવામાં આવશે.
આથી તેઓએ મેળો પૂર્ણ થાય ત્યાં સુધી રાહ જોઈ પરંતુ રવિવારે મેળો પૂર્ણ થયા બાદ પણ કોઈ પાઈપલાઈન ના સમારકામ માટે ન ડોકાતા ખેડૂત પરિવાર માં રોષ જોવા મળે છે. કેશુભાઈ એ જણાવ્યું હતું કે એક તરફ પાણી ની તંગી છે. ત્યારે ચાર-ચાર દિવસ થી પાણી વેડફાઈ રહ્યું છે. અને આ પાણી ખેતર માં ભરાતા નુકશાન ની ભીતિ પણ સેવાઈ રહી છે. ત્યારે વહેલીતકે તંત્ર એ પાઈપલાઈન ના એરવાલ્વ ની સમારકામ ની કામગીરી હાથ ધરવી જોઈએ.
આ અંગે પાણી પુરવઠા બોર્ડ ના મુખ્ય અધિકારી મહેશભાઈ દામા ને પૂછતા તેઓએ એવું જણાવ્યું હતું કે એરવાલ્વ ના સમારકામ માટે પાઈપલાઈન મારફત નો પાણી પુરવઠો બંધ કરવો પડે પરંતુ આ પાઈપલાઈન મુખ્ય પાઈપલાઈન હોવાથી પુરવઠો બંધ કરવામાં આવે તો માધવપુર ના મેળા માં અને માધવપુર સહીત આસપાસ ના ગામો માં પણ પાણી વિતરણ ઠપ્પ થઇ જાય તેવી સ્થિતિ હતી. આથી મેળો પૂર્ણ થતા રવિવારે રાત્રે પાઈપલાઈન નો પાણી પુરવઠો બંધ કર્યા બાદ સોમવારે એરવાલ્વ નું સમારકામ હાથ ધરવામાં આવશે.