એક બાજુ પોરબંદર જીલ્લામાંથી મોટાપાયે વિદ્યાર્થીઓનું બીજા જીલ્લામાં શિક્ષણ માટે સ્થળાંતર થઇ રહ્યું છે,તો બીજી બાજુ તેના કારણે પોરબંદર જીલ્લામાં અનેક સરકારી અને ખાનગી શૈક્ષણિક સંકુલોમાં વિદ્યાર્થીઓની ઘટ ઉભી થઇ રહી છે અને તેની પાછળ અન્ય જીલ્લાના શૈક્ષણિક સંકુલોનું ટ્રાન્સપોટેશન મહત્વનું જવાબદાર છે.તેમ જણાવીને પોરબંદર જીલ્લા શાળા સંચાલક મંડળ દ્વારા શિક્ષણ સચિવને રજૂઆત થઇ છે.
પોરબંદર જીલ્લા શાળા સંચાલક મંડળના મહામંત્રી કરશનભાઈ મોઢાએ શિક્ષણ વિભાગના સચિવ તથા જીલ્લા શિક્ષણાધિકારીને લેખિત રજૂઆત માં જણાવ્યું છે કે, પોરબંદર જીલ્લામાંથી તેના નજીકના જીલ્લા જુનાગઢની માણાવદર તાલુકાની શાળાઓ,રાજકોટ જીલ્લાની ઉપલેટા તાલુકાની શાળાઓ,જામનગર જીલ્લાના જામજોધપુર શાળાઓ, દેવભૂમિ દ્વારકા જીલ્લાના કલ્યાણપુર તાલુકાની શાળાઓ,ગીરસોમનાથ જીલ્લાની માંગરોળ તાલુકાની શાળાઓ દ્વારા કુતિયાણા, રાણાવાવ અને પોરબંદરના ગ્રામ્ય અને શહેરી વિસ્તારના વિદ્યાર્થીઓને બિનકાયદેસર રીતે ફક્ત પોતાના જીલ્લાની અંદર શૈક્ષણિક ટ્રાન્સપોર્ટેશન માન્યતા મળી હોવા છતાં પણ અન્ય જીલ્લામાં ટ્રાન્સપોર્ટેશનની સુવિધા ઊભી કરી બિનતંદુરસ્ત હરીફાઈ કરવામાં આવે છે.
જેથી પોરબંદર જીલ્લામાં વિદ્યાર્થીઓના રજીસ્ટ્રેશનની ઘટ ઉભી થવાના કારણે સરાસરી હાજરી તેમજ વર્ગોની સંખ્યામાં વિપરીત પરીસ્થિતિ ઊભી થવાની શક્યતાઓ છે. આથી સરકાર દ્વારા શૈક્ષણિક ટ્રાન્સપોટેશન માટેના ધારાધોરણનું ચુસ્તપણે અમલવારી કરાવી અને સ્ટેજ પ્રમાણે ટ્રાન્સપોર્ટશન ભાડાની પણ અમલવારી કરાવી અતિ આવશ્યક છે જેથી જીલ્લાની બોર્ડર પર આવેલી શૈક્ષણીક સંસ્થાઓ ને ટકાવી રાખવા અન્ય જીલ્લાનું બિન કાયદેસર શૈક્ષણીક ટ્રાન્સપોર્ટેશન અટકાવવા માંગ કરી છે.