પોરબંદર માં વસંત પંચમી અને વેલેન્ટાઇન ડે બન્ને એક જ દિવસે હોવાથી આજે એક જ દિવસ માં ૪૦૦ થી વધુ લગ્નો યોજાશે.
આજે બુધવારે અનોખો સંયોગ સર્જાયો છે. વાત એમ છે કે, આજે મહા સુદ પાંચમ એટલે કે વસંત પંચમી અને 14 ફેબ્રુઆરી હોવાથી વેલેન્ટાઇન્સ ડેની પણ ઉજવણી થશે. વસંત પંચમી અને વેલેન્ટાઇન્સ ડે એકસાથે હોય તેવું છેલ્લે 57 વર્ષ અગાઉ એટલે કે 1967માં બન્યું હતું. વણજોયા મુહૂર્ત વસંત પંચમી અને પ્રેમીઓના પર્વ વેલેન્ટાઇન્સ ડે નિમિત્તે પોરબંદર માંથી જ ૪૦૦ થી વધુ યુગલો લગ્નના તાંતણે બંધાશે.
પોરબંદર માં કમુરતા બાદ લગ્ન સહિતના શુભ પ્રસંગો યોજાઈ રહ્યા છે તેમાં પણ આજે વસંત પંચમી અને વેલેન્ટાઇન ડે બન્ને એક જ દિવસે આવતા હોવાથી એક જ દિવસ માં ૪૦૦ થી વધુ લગ્નો યોજાશે. જેના કારણે વાડીઓ,હોલ,પાર્ટી પ્લોટ વગેરે ના બુકિંગ અગાઉ થી જ ફૂલ થઇ ગયા છે. લોહાણા મહાજન ના સેક્રેટરી રાજેશભાઈ લાખાણી એ જણાવ્યું હતું કે મહાજન હસ્તક ના ૧ હોલ અને ૨ વાડી નું અગાઉ થી જ બુકિંગ ફૂલ થઇ ગયું હતું.
શહેર ના અન્ય હોલ પાર્ટી પ્લોટ ની પણ આવી જ સ્થિતિ છે. ફૂલ ના વેપારી ભરતભાઈ માળી એ જણાવ્યું હતું કે એક જ દિવસ માં ૪૦૦ થી વધુ લગ્નો યોજાવા ના છે જેથી તમામ પ્રકાર ના ફૂલ ની અછત જેવી સ્થિતિ સર્જાઈ છે તેમાં પણ વેલેન્ટાઇન ડે હોવાથી ગુલાબ ના ફૂલ તો બજાર માં આવે એટલે તુરંત વેચાય જાય છે. સંજયભાઈ માળી એ જણાવ્યું હતું કે સામાન્ય દિવસો માં ૭ થી ૮ ના ભાવે વેચાતા ડચ ગુલાબ ના ૩૦ થી ૪૦ રૂ ભાવ છે. ઠંડી ના કારણે ફૂલ ની આવક ઓછી છે. બીજી તરફ માંગ વધી છે.
શહેર માં મંડપ સર્વિસ ના ૬૦ થી વધુ ધંધાર્થીઓ છે આવતીકાલે મોટા ભાગ ના ધંધાર્થીઓ પાસે 3 થી 4 ઓર્ડર છે .જેથી સામાન ની પણ અછત જેવી સ્થિતિ નું નિર્માણ થયું છે. ફોટોગ્રાફર અને વિડીયો ગ્રાફર ને પણ એક જ દિવસે અનેક સ્થળો એ ઓર્ડર હોવાથી દોડધામ વધી જશે. એક જ દિવસ માં ૪૦૦ થી વધુ લગ્નો હોવાથી આ બે ત્રણ દિવસમાં શહેરની દરેક શેરી ગલીમાં લગ્નની શરણાયો ગુંજશે. અનેક લગ્નોના કારણે શહેરમાં ચારેકોર લગ્નોના મંગળગીતો અને જાનૈયા માંડવિયાના ફટાણા સાંભળવા મળશે. વાડી, હોલ, હોટેલ, બેન્ડબાજા-ઢોલ ત્રાંસા, ફૂલ, બુકે સહિતની વસ્તુઓ અગાઉથી બુક થઈ ગઈ છે. સ્થાનિક મોટા ભાગના જ્ઞાતિ, સમાજની વાડી, પાર્ટીપ્લોટ, ફાર્મ હાઉસ, કોમ્યુનિટિ હોલ, હોટલ, બેન્ડવાજા, ડીજે, ગોરમહારાજ,કેટરર્સ, બ્યુટીપાર્લર, સહિતના દોઢેક માસથી અગાઉ થી બુક થઈ ગયા હતા. આજે દિવસ દરમિયાન ઠેરઠેર લગ્નોત્સવની કર્ણપ્રિય શરણાઈઓ ગૂંજતી સંભળાશે એટલુ જ નહિ બજારોમાં ડીજે અને બેન્ડવાજાના સંગાથે વરઘોડાઓ નિકળશે. જેમાં જાનૈયાઓ મન મુકીને ઝૂમી ઉઠતા દ્રશ્યમાન થશે.
14 ફેબ્રુઆરીના વેલેન્ટાઇન્સ ડે હોય તેવું છેલ્લે 1967માં બન્યું ત્યારે ભારતમાં વેલેન્ટાઇન્સ ડે પ્રચલિત પણ નહોતું. હિંદુ પંચાગ પ્રમાણે મહા સુદ પાંચમના દિવસે વસંત પંચમી તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે વિદ્યાદેવી શારદા માતાની પુજા થાય છે. વસંત પંચમીએ પ્રકૃતિનો ઉત્સવ છે. આ દિવસે કોઇપણ કાર્યનો શુભઆરંભ મુહર્ત જોયા વિના કરી શકાય છે. આ પર્વ અજ્ઞાાનનો નાશ કરી પ્રકાશ તરફ લઇ જાય છે. સુર્યના ઉતરાયણ થયા બાદ વસંત પંચમી પહેલો ઉત્સવ આવે છે.