Sunday, May 19, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર માં આવતીકાલે શ્રી હનુમાનજી જન્મોત્સવ નિમિતે બાઈક રેલી,મહા પ્રસાદી,રક્તદાન કેમ્પ સહીત અનેક કાર્યક્રમ યોજાશે

પોરબંદર ખાતે આવતીકાલે મંગળવારે હનુમાનજી જન્મોત્સવ નિમિતે વિવિધ કાર્યક્રમ નું આયોજન કરાયું છે. જેમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા દર વર્ષ ની જેમ આ વર્ષે પણ સુદામા ચોક થી રોકડીયા હનુમાન મંદિર સુધી વિશાળ બાઈક રેલીનું આયોજન કરાયું છે. જેનો પ્રારંભ બપોરે ૩-૩૦ વાગ્યે સંતો મહંતો અને આગેવાનો ની ઉપસ્થિતિ માં સુદામા ચોક ખાતે કરવામાં આવશે. આ બાઈક રેલી જય હનુમંત ના નાદ સાથે શહેર ના મુખ્ય રાજમાર્ગો પરથી પસાર થશે માણેક ચોક, સ્વસ્તિક હોલ, બંદર રોડ, પાલા નો ચોક, શહીદ ચોક, શીતલા ચોક, હનુમાન ગુફા, રાણીબાગ, એમ.જી.રોડ, હાર્મની હોટેલ, ખીજડી પ્લોટ, સત્યનારાયણ મંદિર, કમલાબાગ, નરસંગ ટેકરી, આશાપુરા ચોકડી થઈ રોકડીયા હનુમાન મંદિર ખાતે આ રેલી પુર્ણ થશે જ્યાં સૌ મહા આરતી માં જોડાશે.

શીતલાચોક વિસ્તારમાં જલારામ સેવા મંડળ દ્વારા સંચાલિત સેવાના પરમધામ સમા મુખ્ય જલારામ મંદિર ખાતે હનુમાન જયંતીના પાવન પર્વ અવસરે શ્રી હનુમાન ચાલીશાના ૧૦૮ પાઠ યજ્ઞ કરવામાં આવશે. ખાદીભવન પાસે આવેલ હનુમાનગઢી મંદિરે હનુમાન જન્મોત્સવની ઉજવણી અંગે મહંત આશુતોષભાઈ પુરોહિતે જણાવ્યુ છે કે હનુમાન ગઢી ખાતે હનુમંતયજ્ઞ નું આયોજન કરાયું છે તથા સર્વ હનુમાન ભકતોના હિતાર્થે ૧૦૮ હનુમાન ચાલીસા તથા નવગ્રહ શાંતિ તથા જગત કલ્યાણ માટે યજ્ઞનું આયોજન કરાયું છે. આ પ્રસંગે સવારે ૫ કલાકે મહાઆરતી , સવારે ૮ વાગ્યે ધ્વજારોહણ (ચોલા) સંધ્યા સમય સુધી, સાંજે ૭:૩૦ કલાકે મહાઆરતી અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે. ગ્લોબલ હોસ્પિટલ પાસે આવેલ કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે સાંજે મહા પ્રસાદી નું આયોજન કરાયું છે ઉપરાંત મંદિર સહીત આસપાસ ના સમગ્ર વિસ્તાર ને રોશની થી સુશોભિત કરવામાં આવશે.

સુદામા ચોક નજીક આવેલ હજારો ભક્તો ની આસ્થા ના કેન્દ્ર સમાં બાલાજી હનુમાન મંદિરે પણ દર વર્ષ ની જેમ આ વર્ષે શ્રી બાલા હનુમાન વંદના મહોત્સવ નિમીતે વિવિધ કાર્યક્રમ નું આયોજન કરાયું છે જેમાં મહા રકતદાન કેમ્પ સવારે ૬ થી બપોરે ૨ વાગ્યા સુધી યોજાશે મહા આરતી – શોભા યાત્રા બાદ સાંજે ૬.૦૦ કલાક થી ૭.૩૦ કલાક સુધી ભજનીક અશોક ભાયાણી દ્વારા ધુન ભજનની રમઝટ બોલાવવામાં આવશે જયારે સાંજે મહા પ્રસાદ ૭.૩૦ કલાક થી ૯.૦૦ કલાક સુધી શ્રી બાલા હનુમાન મહારાજની જગ્યામાં ભાવિકો માટે લાડુના મહાપ્રસાદના બોકસ નું વિતરણ કરવામાં આવશે. સુદામા ચોક ખાતે રાત્રે ૯ કલાકે ભજન સંધ્યા યોજાશે જેમાં ગાયક કલાકાર અરવિંદ વેગડા – અમદાવાદ દ્વારા ધુન-ભજનની રમઝટ બોલાવવામાં આવશે.

સાંદીપનિ વિદ્યાનિકેતનના ભવ્ય અને દિવ્ય શ્રીહરિ મંદિરમાં પૂજ્ય ભાઈશ્રી શ્રીરમેશભાઈ ઓઝાની પ્રેરણાથી તા.૨૩/૪/૨૦૨૪ ને મંગળવાર ના રોજ ચૈત્ર સુદ પૂર્ણિમાનાપાવન દિવસે શ્રીહનુમાનજયંતી પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવશે. આ ઉત્સવમાં સવારે મંગલા આરતી બાદ શ્રીહરિ મંદિરના પાંચેય શિખરોમાં નૂતન ધ્વજારોહણ થશે. તેમજ શ્રીહનુમાનજીનું ષોડશોપચાર પૂજન અને ૧૦૮ મોદક અર્પણ કરવામાં આવશે. શ્રીહનુમાન ચાલીસાના પાઠ તેમજ સુંદરકાંડના પાઠ થશે.જેમાં ધ્વજારોહણ પૂજન : સવારે ૮:૦૦ વાગ્યે, હનુમાન ચાલીસા પાઠ સવારે ૦૮:૦૦ થી ૦૯: ૦૦વાગ્યા સુધી,શ્રીહનુમાનજી પૂજન : સવારે ૯:૦૦ વાગ્યે, ૧૦૮ મોદક અર્પણ : સવારે ૯:૪૫વાગ્યે, ઉત્સવ આરતી : સવારે ૧૦:૧૫ વાગ્યે, રાજભોગ આરતી : સવારે૧૧:૦૦ વાગ્યે, સુંદરકાંડના પાઠ:-સાંજે ૫:૦૦ થી ૬:૪૫, શયન આરતી : સાંજે ૭:૦૦ થી ૭ઃ૩૦ યોજાશે

પોરબંદર માં શ્રી હનુમાનજી મહારાજ નાં જન્મોત્સવે યોજાશે નવતર સેવાકાર્ય
પોરબંદર માં સત્સંગ ક્ષેત્રે ખુબજ જાણીતા અને નિત્ય નૂતન સમાજ ઉપયોગી સેવાકાર્યરત શ્રી વલ્લભપ્રભુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ઠાકોરજી ની અસીમ કૃપા થી શ્રી હનુમાનજી મહારાજ નાં જન્મોત્સવ નાં ઉપલક્ષ માં યોજાશે નવતર સેવા યજ્ઞ.
હાલ ગરમી ની ઋતુ માં કાળઝાળ ગરમી પડી રહી છે.. હિટવેવ ની પણ શક્યતા હોય એના માટે સાવચેતી નાં પગલાં રૂપે સરકાર તરફથી પણ ગાઇડલાઇન બહાર પાડેલ હોય ત્યારે સમગ્ર માનવજાતી અને અબોલ – મૂંગા પક્ષી ઓ ને પણ પાણી ની ખૂબ જરૂરિયાત હોય એવા સમયે અમદાવાદ – ભાભર નાં સ્વ. જીવરાજભાઈ અમરશીભાઇ અનડા ( જીવાબા ચેરિટેબલ ટ્રસ્ટ ભાભર – અમદાવાદ ) નાં સૌજન્ય થી અને પોરબંદર નાં વિજયભાઈ અટારા નાં સહયોગ થી જેની બજાર કિંમત અંદાજે ₹ 50/- છે એવા પક્ષી ને પાણી પીવાના 250 કુંડા નુ વિનામૂલ્યે વિતરણ તા.23/04/24 ને મંગળવારે શ્રી હનુમાનજી મહારાજ નાં જન્મોત્સવ નાં પાવન દિવસે સવારે 10-30 થી 12-30 સુધી ખીજડી પ્લોટ નાં સ્વામિનારાયણ મંદિર પાસે રાખવામાં આવેલ છે. વ્યક્તિદીઠ 01 કુંડુ વહેલા તે પહેલા નાં ધોરણે વિનામૂલ્યે આપવામાં આવશે. કુંડુ સૂર્યપ્રકાશ નો તાપ ન લાગે એવી જગ્યાએ રાખવાનું રહેશે.

આ સેવાયજ્ઞ માં શ્રી વલ્લભપ્રભુ મહિલા મંડળ ,પંકજભાઈ મજીઠીયા પરિવાર , ખીજડી પ્લોટ નાં સ્વામિનારાયણ મંદિર અને અન્ય સેવાભાવી વ્યક્તિ ઓ નો સહયોગ રહેશે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે