પોરબંદરમાં ફરસાણ, ફાસ્ટફુડની લારી અને પાંઉભાજીના ધંધાર્થીઓ સહિતનાઓને અસ્વચ્છતા બદલ અને ખાદ્ય સામગ્રી ઉદ્યાડી રાખવા બદલ પાલિકા ફૂડ વિભાગ દ્વારા દંડ કરાયો છે.
પોરબંદર છાયા નગરપાલિકાના ફુડ વિભાગની ચેકીંગ ટીમ દ્વારા ખાદ્ય પદાર્થોના વેચાણકર્તા તમામ ધંધાર્થીઓ, લારીઓ દૂધની ડેરીઓ, પ્રોવિઝન સ્ટોર, બેકરી સ્ટોર, મીઠાઇ ફરસાણની દુકાનો, નાસ્તાગૃહ, રેસ્ટોરન્ટના ધંધાર્થીઓનું ચેકીંગ કરવામાં આવે છે આ ચેકીંગ દરમ્યાન દરેક ધંધાર્થીઓને સ્વચ્છતા જાળવવા, વાસી ખાદ્ય પદાર્થો ન વેચવા, ખાદ્ય પદાર્થો ઢાંકીને રાખવા, દાજીયા તેલનો ઉપયોગ ન કરવા વિગેરે જરૂરી સુચનાઓ આપવામાં આવે છે. અને ફુડ સેફટી એકટના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા સુચના આપવામાં આવે છે. ત્યારે જુદા જુદા વિસ્તારમાં ચેકીંગ કરતા કેટલાક ધંધાર્થીઓની પ્રીમાઈસીસમાં વાસી ખાદ્ય પદર્શો, ઉદ્યાડા પદાર્થો અસ્વચ્છતા સામે આવતા કાર્યવાહી કરવામાં આવી હતી.
જેમાં ચામુંડા ફરસાણ લારી ભદ્રકાલી રોડ નજીક ઉદ્યાડા ખાદ્ય પદાર્થો રાખેલ હોવાથી રૂ.૧૦૦૦ નો દંડ, ખોડીયાર ફરસાણ લારી ભદ્રકાલી રોડ નજીક ઉદ્યાડા ખાદ્ય પદાર્થો રાખેલ હોવાથી રૂ.૧૦૦૦ નો દંડ,નારાયણ સ્વીટ માર્ટ ભદ્રકાલી રોડ નજીક મીઠાઇની ટ્રે પાસે બેસ્ટ બીફોર લખેલ ન હોવાથી રૂ.૧૦૦૦નો દંડ, ચામુંડા પાંઉભાજી એમ.જી.રોડ પાસે અસ્વચ્છતા હોવાથી રૂ.૧૦૦૦ નો દંડ, શ્રીજી ફાસ્ટફુડ લારી નવયુગ વિદ્યાલય ગલી પાસે ઉદ્યાડા ખાદ્ય પદાર્થો રાખેલ હોવાથી રૂ.૧૦૦૦ નો દંડ ફડકારવામાં આવ્યો છે.