પોરબંદરમાં લઘુકથાની શિબિર અને સ્પર્ધા યોજાશે જે સંપૂર્ણપણે નિઃશુલ્ક હોવાથી લાભ લેવા અપીલ આયોજકો દ્વારા અપીલ કરાઈ છે.
કલરવ સાહિત્ય વિકાસ ટ્રસ્ટ પોરબંદર દ્વારા લઘુકથાની શિબિર અને સ્પર્ધાનું આયોજન થયું છે, સાહિત્યના ક્ષેત્રે વિશેષ રૂચિ જન્મએ ક્ષેત્રમાં વિદ્યાર્થીઓ વગેરે લેખન-વાંચન કરતા થાય અને માતૃભાષા ગુજરાતીનો મહિમા થાય એવા ઉદાત હેતુઓથી કલરવ સાહિત્ય સભા પોરબંદરના ઉપક્રમે લઘુકથા લેખન-સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. સ્પર્ધાની વિગતો નીચે મુજબ છે.
આ સ્પર્ધા બે વિભાગમાં થશે વિભાગ-૧માં ધો. ૧૧ થી લઇને કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ માટે તેમજ વિભાગ-૨માં તેનાથી મોટી ઉંમરના લોકો માટે ખુલ્લો મંચ રહેશે. આ સ્પર્ધા નિઃશુલ્ક છે. તેમાં ભાગ લેવા માટે કોઇ ફી રાખવામાં આવેલ નથી, લઘુકથા ગુજરાતી ભાષામાં લખાયેલી, સંપૂર્ણપણે મૌલિક એટલે કે સ્વરચિત અને અપ્રગટ હોવી જોઇએ અન્ય કોઇની લખેલી કે બીજે પ્રગટ થઇ ગયેલી લઘુકથા ધ્યાનમાં લેવામાં આવશે નહી, લઘુકથાના પાનામાં સૌથી ઉપર સ્પર્ધકે પોતાનું આખું નામ-સરનામુ, મોબાઇલ નંબર અને જો શાળા/કોલેજમાં ભણતા હોય તો અભ્યાસનું વર્ષ/ધોરણ તથા સંસ્થાનું નામ લખવાનું રહેશે. લઘુકથા એજ અથવા લીગલ ફૂલસ્કેપ સાઇઝના એકજ પેઇજમાં પૂરી કરવાની રહેશે.
લઘુકથા હસ્તલિખિત અથવા ટાઇપ કરીને તા.૨૦-૦૫-૨૦૨૩ સુધીમાં નીચે આપેલા તજજ્ઞોનો સંપર્ક કરી હાર્ડ કોપીમાં એટલે કે લિખિત સ્વરૂપમાં પહોંચાડવાની રહેશે, બલરાજભાઇ પાડલિયા, મોબાઇલ નં.૯૯૦૯૩૧૪૦૬૨ તથા દુર્ગેશભાઇ ઓઝા, મોબાઇલ નં.૯૮૯૮૧૬૪૯૮૮ ઉપર સંપર્ક સાધવો.લઘુકથા થોડામાં ઘણું કહી જતો પડકારરૂપ અને ઉતમ સાહિત્ય પ્રકાર છે. સ્પર્ધકોને લેખન વગેરેમાં સરળતા રહે અને આ સ્વરૂપથી પરિચિત થાય એ હેતુસર લેખન સ્પર્ધા પહેલા તજજ્ઞો દ્વારા એક શિબિરનું આયોજન પણ કરવામાં આવ્યું છે, જેમા તજજ્ઞો લઘુકથાનું સ્વરૂપ, એનો અર્થ અને એ કેમ લખાય વગેરે બાબતે માર્ગદર્શન આપશે.
શિબિરનું સ્થળઃ વી.જે.મોઢા કોલેજ ઓફ ઈન્ફોટેક ખાતે તા.૩૦-૦૪-૨૦૨૩ના રોજ સવારે ૧૦.૩૦ થી ૧૨.૩૦ સુધી યોજાશે. નિર્ણાયકોનો નિર્ણય અંતિમ તથા સ્પર્ધકોને માન્ય રહેશે અહીં મુળ હેતુ સર્જન-શકિત ખીલે એ છે પ્રથમ ત્રણ વિજેતાઓને ઇનામ આપવામાં આવશે. તમામ સ્પર્ધકોને સ્પર્ધામાં ભાગ લેવા બદલ પ્રમાણપત્ર આપવામાં આવશે. લઘુકથા લેખનની આ સ્પર્ધામાં ભાગ લઇ સાહિત્ય અને માતૃભાષાને ખીલવવા સૌને અનુરોધ છે પ્રમુખ બલરાજભાઇ પાડલિયા, પ્રોજેકટ ડાયરેકટર દુર્ગેશભાઇ ઓઝા, પરિકલ્પના તથા વિશેષ માર્ગદર્શક નરોતમભાઇ પલાણ, ડો.સુરેખાબેન શાહ, રેખાબા સરવૈયા(જી.એ.એસ) એડિ. કલેકટર તથા સમગ્ર કલરવ પરિવાર પોરબંદર દ્વારા માર્ગદર્શન અપાઇ રહ્યું છે.