વિધવા સ્ત્રીઓને ગુજરાતમાં મહિને માત્ર ૧૨૫૦ રૂપરડી જેવી સહાય રાજયસરકાર દ્વારા કરવામાં આવે છે તે આજના મોંઘવારીના યુગમાં ખુબ જ ઓછી છે. તેથી આ રકમ વધારીને ૩૦૦૦ કરી દેવા પોરબંદર મહિલા કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે.
પોરબંદર મહિલા કોંગ્રેસના પ્રમુખ ભારતીબેન ગોહેલ, ઉપપ્રમુખ હંસાબેન તુંબડીયા, મણીબેન ઓડેદરા, ભાનુબેન જુંગી, શિલ્પાબેન ચૌહાણ, સમજુબેન કારાવદરા, લીરીબેન મોઢવાડીયા વગેરે જણાવ્યું હતું કે ભાજપના શાસનકાળમાં સતત મોંઘવારી વધી રહી છે. અને છેલ્લા એક વર્ષમાં જ ગેસના બાટલામાં ૨૦૦ રૂપિયાનો વધારો થયો છે તો બીજી બાજુ વિધવા મહિલાઓને અપાતી સહાયમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. અને માત્ર ૧૨૫૦ રૂપિયા જેવી મામુલી સહાય આપવામાં આવે છે. જે વિધવા મહિલાઓની હાંસી સમાન છે.
એક બાજુ રાજયસરકાર સંવેદનશીલ હોવાનો દાવો કરે છે. તો બીજી બાજુ વિધવા મહિલાઓની પીડા સમજતી નથી. ગેસ ઉપરાંત, અનાજ, ગૃહ ઉપયોગી ચીજવસ્તુઓ, દુધ જેવી જીવન જરૂરી ચીજવસ્તુઓથી લઇને પેટ્રોલીયમ પેદાશના ભાવ પણ સતત વધારવામાં આવી રહ્યા છે. પણ બીજી લાંબાસમયથી વિધવાઓને અપાતી સહાયમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી.
પોરબંદર મહિલા કોંગ્રેસે જણાવ્યું છેકે મોંઘવારીના જમાનામાં ઘર ચલાવવું મુશ્કેલ બનતું જાય છે. તેથી વિધવાઓને દર મહિને ૩૦૦૦ રૂપિયા જેટલી સહાય ચુકવવી જોઈએ અને તે માટે રાજયસરકાર દ્વારા તાત્કાલીક નિર્ણય લેવામાં આવે તે જરૂરી છે. તેમ જણાવીને પોરબંદર મહિલા કોંગ્રેસના પ્રમુખ ભારતીબેન ગોહેલ દ્વારા રાજયસરકારને વિસ્તૃત રજુઆત કરી પોરબંદર સહીત રાજયભરની વિધવા મહિલાઓને મદદરૂપ બનવા સરકાર કાર્યવાહી કરે તેવી માંગ કરી છે.