Tuesday, March 19, 2024

|| तुम रक्षक काहू को डरना ||

ગૌરવ:૭૬ વરસ પછી સૌરાષ્ટ્ર ની ટીમ ને રણજી ટ્રોફી અપાવવામાં ગાંધીભુમી પોરબંદર નો સિંહફાળો:કેપ્ટન ઉપરાંત કોચ પણ પોરબંદર ના:પોરબંદર માં ખુશી ની લાગણી

પોરબંદર
૭૬ વરસ ના ઈતિહાસ માં રણજી ટ્રોફી માં સૌરાષ્ટ્ર ની ટીમ પ્રથમ વખત ચેમ્પિયન થઇ છે જેમાં ગાંધીભુમી પોરબંદર ની સિંહફાળો રહ્યો છે કારણ કે સૌરાષ્ટ્ર ની ટીમ ના કેપ્ટન પોરબંદર ના જયદેવ ઉનડકટ છે ઉપરાંત કોચ નીરજ ઓડેદરા પણ પોરબંદર ના છે આથી પોરબંદર ખાતે તેમના પરિવારજનો અને ક્રિકેટરો માં ખુશી નું મોજું ફરી વળ્યું છે. અને જયદેવ ની કેપ્ટનશીપ ઉપરાંત ટુર્નામેન્ટ માં સૌથી વધુ વિકેટ મેળવી તેના વ્યક્તિગત ઉત્કૃષ્ટ પ્રદર્શન ના કારણે તેની નેશનલ ટીમ માં સ્થાન મેળવવાની શક્યતા પણ પ્રબળ બની છે
દેશના સૌથી મોટા ઘરેલુ ટુર્નામેન્ટ રણજી ટ્રોફી 2019-20ના ફાઇનલમાં બંગાળ અને સૌરાષ્ટ્ર વચ્ચે ખિતાબી જંગ રમાઈ હતી. જેમાં સૌરાષ્ટ્રની ટીમે ઐતિહાસિક જીત મેળવી છે. સૌરાષ્ટ્રની ટીમે રણજી ટ્રોફીમાં પહેલીવાર જીત મેળવી છે. 76 વર્ષમાં પહેલીવાર સૌરાષ્ટ્રની ટીમે રણજી ટ્રોફીનો ખિતાબ જીત્યો છે
સૌરાષ્ટ્ર પહેલીવાર સૌથી મોટી ઘરેલુ ટુર્નામેન્ટમાં ચેમ્પિયન:
જાણકારો મુજબ બંને ટીમે બીજી ઇનિંગ ન રમી શકી તેથી પહેલી ઇનિંગમાં લીડના આધારે ટેક્નિકલ રીતે સૌરાષ્ટ્ર રણજી ટ્રોફી ચેમ્પિયન બન્યું છે. આ સાથે સૌરાષ્ટ્રે પહેલીવાર સૌથી મોટી ઘરેલુ ટુર્નામેન્ટમાં ચેમ્પિયન બન્યું છે. આપણે જણાવી દઈએ કે ચોથા દિવસના અંત સુધી બંગાળે પહેલી ઇનિંગમાં 161 ઓવરમાં 10 વિકેટ ગુમાવી 381 રન બનાવ્યા હતા. રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ પર રમાયેલ આ મેચમાં સૌરાષ્ટ્રે ટોસ જીતી પહેલા બેટિંગ કરવા નિર્ણય લીધો હતો. સૌરાષ્ટ્રે પેહલી ઈનિંગમાં 10 વિકેટ ગુમાવી 425 રન બનાવ્યા હતા.
અર્પિત વસાવડાએ શાનદાર બેટિંગ:
સૌરાષ્ટ્રની આગેવાની પોરબંદર ના પનોતા પુત્ર જયદેવ ઉનડકટના હાથોમાં હતી. જ્યારે બંગાળની કેપ્ટન્સી અભિમન્યુ ઇશ્વરન કરી રહ્યો હતો. બંગાળની ઇનિંગમાં સૌરાષ્ટ્ર તરફથી ધર્મેન્દ્ર સિંહે 3 વિકેટ જ્યારે જયદેવ ઉનડકટ અને પ્રેરક માંકડે 2-2 વિકેટ ઝડપી. સાથે ચેતન સાકરીયા અને ચિરાગ જાનીએ પણ એક-એક વિકેટ મેળવી હતી. સૌરાષ્ટ્રના બેટિંગની વાત કરીએ તો પહેલી ઇનિંગમાં અર્પિત વસાવડાએ શાનદાર બેટિંગ કરી સદી(106) ફટકારી હતી. જ્યારે ચેતેશ્વર પુજારા (66), વિશ્વરાજ જાડેજા(54) અને અવી બારોટ(54) અડધી સદી ફટકારી હતી. સૌરાષ્ટ્રની ટીમે 10 વિકેટ ગુમાવી 425 રન બનાવ્યા હતા.
76 વર્ષમાં પહેલીવાર સૌરાષ્ટ્ર રાણજી ટ્રોફીનો ખિતાબ જીત્યો:
રણજી ટ્રોફીમાં બંગાળ સામે જીત સાથે સૌરાષ્ટ્રની ટીમે ક્રિકેટ જગતમાં ઇતિહાસ રચ્યો છે. 76 વર્ષમાં પહેલીવાર સૌરાષ્ટ્ર રાણજી ટ્રોફીનો ખિતાબ જીત્યો છે. આ પહેલા સૌરાષ્ટ્ર 1936માં નવાનગર તરીકે અને 1943માં વેસ્ટર્ન ઇન્ડિયા તરીકે રમીને ચેમ્પિયન બન્યું હતું. અગાઉ બંને વખત ફાઇનલમાં બંગાળને માત આપી હતી. નિયમ અનુસાર મેચ ડ્રો થાય તો ફર્સ્ટ ઇનિંગ્સ લીડના આધારે ચેમ્પિયન જાહેર કરવામાં આવે છે.
૧૯૫૦-૫૧થી સૌરાષ્ટ્રની ટીમ રણજીમાં ભાગ લેતી થઈ હતી અને તેઓ વર્ષ ૨૦૧૨-૧૩માં અને ત્યાર બાદ વર્ષ ૨૦૧૫-૧૬માં રણજીની ફાઈનલમાં પ્રવેશ્યા હતા, પણ મુંબઈ સામે હાર્યા હતા.આમ સૌરાષ્ટ્રની ટીમ ત્રણ વખત ફાઇનલમાં પહોંચવામાં સફળ રહી હતી. પરંતુ ટ્રોફી પોતાને નામ કરી શકી ન હતી.અને ૭૬ વરસ બાદ પ્રથમ વખત રણજી ટ્રોફી માં વિજેતા બની શકી છે અને આ જીત માં ગાંધીભુમી પોરબંદર નો સિંહફાળો રહ્યો છે કારણ કે સૌરાષ્ટ્ર ની ટીમ ના કેપ્ટન પોરબંદર ના જયદેવ ઉનડકટ છે જેની આગેવાની માં ટીમે આ ચેમ્પીયનશીપ જીતી છે અને કોચ નીરજ ઓડેદરા છે જેના માર્ગદર્શન અને કોચિંગ વડે આ જીત મેળવી શકાઈ છે તો આ ટુર્નામેન્ટ માં સૌથી વધુ વિકેટ હાંસલ કરી ને જયદેવ નો વ્યક્તિગત દેખાવ પણ ખુબ ઉત્તમ રહ્યો છે. જેથી પોરબંદર ખાતે જયદેવ ના પરિવારજનો માં ખુશી નું મોજું ફરી વળ્યું છે જયદેવના પિતા દીપકભાઈ ઉનડકટ પણ સ્વીમીંગ અને સાયકલીંગ સહીત ના સ્પોર્ટ્સ માં અગ્રેસર હોય છે તેમણે પોરબંદર ટાઈમ્સ સાથે વાતચીત માં એવું જણાવ્યું હતું કે આજે આપણા સૌરાષ્ટ્રવાસીઓ માટે અને ખાસ કરીને ક્રિકેટપ્રમીઓ માટે સોનેરી અવસર આવ્યો છે. સૌરાષ્ટ્રના ક્રિકેટ ઇતિહાસમાં ૭૬ વર્ષ બાદ દેશની સૌથી પ્રતિષ્ઠિત એવી રણજી ટ્રોફી ની ફાઈનલ મેચ માં બંગાળની ટીમને હરાવી સૌરાષ્ટ્રે કમાલ કરી બતાવી છે.દેશભરની ૩૮ ટીમોમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. ૩ માસ ચાલેલી આ ટુર્નામેન્ટ માં કેપ્ટન જયદેવ ઉનડકટ નું પ્રદર્શન શ્રેષ્ઠ રહ્યું. તેણે રણજી ટ્રોફી માં ફાસ્ટ બોલર્સ નો હાઈએસ્ટ વિકેટનો રેકોર્ડ બનાવ્યો. એક પિતા તરીકે આ મારા માટે ગૌરવ ની ક્ષણ છે. ઘણી મેચોમાં તેણે ટીમ માટે તારણહાર બની પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરી બતાવ્યું. તેના આ પ્રદર્શનથી રાષ્ટ્રીય ટીમ માટે પોતાનો મજબૂત દાવો નોંધાવ્યો છે. આપણે સૌ આ માટે તેને શુભેચ્છાઓ આપીએ.
તો પોરબંદર ના પૂર્વ રણજી પ્લેયર રાજેશભાઈ જાડેજા એ પોરબંદર ટાઈમ્સ સાથે વાતચીત માં જણાવ્યું હતું કે જયદેવ ની આગેવાની માં સૌરાષ્ટ્ર ની ટીમ ચેમ્પિયન બની છે જે ખુબ ગર્વ ની વાત છે પોરબંદર ના મહારાણા નટવરસિંહજી બાદ જયદેવ પોરબંદર નો એવો ખેલાડી બન્યો છે જેણે ક્રિકેટ ક્ષેત્રે ઉચ્ચ સિદ્ધિ હાંસલ કરી છે જેથી પોરબંદર ના દરેક પૂર્વ રણજી પ્લેયરો માં ખુબ ખુશી ની લાગણી થાય છે અને આ જીત ના પાયા માં જે કોચ નું માર્ગદર્શન છે તે નીરજ ઓડેદરા પણ પોરબંદર ના હોવાથી બેવડી ખુશી થાય છે.
જયદેવ ના આ ઐતિહાસિક પ્રદર્શન બાબતે પોરબંદર લોહાણા મહાજન ના પ્રમુખ સંજયભાઈ કારિયા ,સેક્રેટરી રાજેશભાઈ લાખાણી અને લોહાણા મિત્ર મંડળ ના પ્રમુખ પરિમલભાઈ ઠકરાર સહીત ના અગ્રણીઓ એ પણ તેને અભિનંદન પાઠવ્યા હતા અને વધુ ને વધુ પ્રગતી કરી ગાંધીભુમી પોરબંદર નું નામ વિશ્વભર માં રોશન કરે તેવી શુભેચ્છા પાઠવી હતી.

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે