પોરબંદર જીલ્લા માં બી એલ ઓ ને લગતા વિવિધ પ્રશ્નો ના નિરાકરણ માટે પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા કલેકટર ને રજૂઆત કરાઈ છે.
રાષ્ટ્રીય પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ સંલગ્ન પોરબંદર પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના જિલ્લા પ્રમુખ લાખાભાઇ ચુંડાવદરાએ કલેકટરને રજૂઆત કરતા જણાવ્યું છે કેપોરબંદર જિલ્લાના પ્રાથમિક શાળાના શિક્ષકો કે જેઓ શિક્ષણની સાથે સાથે બી.એલ.ઓ. તરીકે વધારાની કામગીરી કરી રહ્યા છે. તેમના તરફથી મળતા વખતો વખતના પ્રશ્નો છે જેનું નિરાકરણ થતું નથી.
જેમાં જિલ્લા ફેરબદલી થયેલ બી.એલ.ઓ. શિક્ષકોને છુટા કરવા માટે તા. ૨૬-૭-૨૩ના રોજ નાયબ જિલ્લા ચુંટણી અધિકારી સાથે મુલાકાત અને તા. ૨૭-૭-૨૩ના રોજ લેખિત રજૂઆત પણ કરેલ છે. આમ છતાં આજ સુધી કોઇ પ્રત્યુત્તર મળેલ નથી. હાઉસ ટુ હાઉસ સર્વેની કામગીરી ૨૧-૮-૨૩ સુધીમાં પૂર્ણ થવાની થાય છે. આમ છતાં દબાણથી ૧૦-૦૮-૨૩ સુધીમાં પૂર્ણ નહી કરવામાં આવે તો રૂબરૂ બોલાવવામાં આવશે. એવા મેસેજથી બિનજરૂરી હેરાનગતિ કરવામાં આવે છે.
સઘન ઝુંબેશ વખતે બી.એલ.ઓ.ની જે એપ ચાલતી નથી. જેની વ્યાપક ફરિયાદો આવે છે.ચુંટણી પંચના સ્થાયી આદેશ મુજબ બી.એલ.ઓ. તરીકે તમામ વિભાગના કર્મચારીઓને આદેશ કરવાના થાય છે. પરંતુ આ કામગીરી મોટે ભાગે શિક્ષકોને સોંપવામાં આવે છે. હાલ શિક્ષકો શૈક્ષણિક અને અન્ય કામગીરીના ભારણને લીધે ખુબજ તકલીફ વેઠી રહ્યા હોય, જેની ગંભીર અસર શિક્ષણકાર્ય પર પડી રહી છે.ત્રણ વર્ષ બી.એલ.ઓ.ની કામગીરી કરનાર શિક્ષકને ફરજ પરથી મુક્તિ આપવાની થાય છે. પરંતુ લેખિત રજુઆતો કરવા છતાં મુક્તિ આપવામાં આવતી નથી,બી.એલ.ઓ. શિક્ષક ફરજમાંથી મુક્તિ માટે લેખિત રજૂઆતો કરે છે ત્યારે સામે અન્ય વ્યક્તિ મેળવી આપવા જણાવવામાં આવે છે.
બી.એલ.ઓ.ની ફરજ જે તે લાગુ પડતા બુથના કર્મચારીને આપવાની થાય છે. પરંતુ આવું ઘણી વખત બનતું નથી.આદર્શ પરિસ્થિતિમાં જો આ સમસ્યાનું નિવારણ કરવું હોય, તો જે તે બુથના તમામ વિભાગના કર્મચારીઓની એક યાદી બનાવવી જોઇએ અને તેને આધારે જ બી.એલ.ઓ. નિમણુંક કરવી જોઇએ.બી.એલ.ઓ.ની કામગીરી શાળા સમય બાદ કરવાની થતી હોય છે. પરંતુ વિભાગ ચાલુ શાળાના સમયે મીટીંગો, સાહિત્ય લેવા, સાહિત્ય આપવા વગેરે કામ સબબ બોલાવવામાં આવે છે.
દૂરના વિસ્તારના બી.એલ.ઓ.ને જરૂરી કામ સબબ મામલતદાર કચેરી બોલાવવામાં આવે છે. ખરેખર આ કાર્ય બી.એલ.ઓ. સુપરવાઇઝરનું છે.બી.એલ.ઓ.ને મામલતદાર કચેરીએ જ્યારે બોલાવવામાં આવે ત્યારે નિયમ મુજબ ટી.એ.ડી.એ. મળવાપાત્ર થાય છે.બી.એલ.ઓ.ને વળતર રજા, મહેનતાણુ સમયસર મળવામાં વિલંબ થાય છે.ઉપરોકત તમામ પ્રશ્નોની ચર્ચા માટે અમો આપની મુલાકાતે તા. ૧૦-૮-૨૩ને ગુરુવારે સાંજે ૫:૩૦ કલાકે આવનાર હોય યોગ્ય કરવા માંગ છે તેમ પણ જણાવ્યું છે.