પોરબંદર
પોરબંદર માં અનેક વિસ્તારો માં શેરી – ગલીઓમાં સ્થાનિકો દ્વારા લોખંડના ગેઇટ મૂકી રસ્તા બંધ કરાયા છે.જે અંગે જીવદયાપ્રેમી દ્વારા ઉચ્ચ કક્ષા એ રજૂઆત બાદ રાજકોટ થી આવેલ પ્રાદેશિક કમિશ્નર કચેરી ના અધિકારી એ સર્વે હાથ ધરી આવા રસ્તાઓ ખુલ્લા કરવા સુચના આપી છે.
પોરબંદરમાં વિવિધ વિસ્તારોમાં શેરી -ગલીઓમાં સ્થાનિકો દ્વારા લોખંડના ગેઇટ મૂકી ગલી પેક કરી દેવામાં આવી છે. આથી આવી ગલીઓ માં ગાય- કુતરા જેવા મૂંગા પશુઓ ને જે થોડો ખોરાક મળતો હતો તે પણ બંધ થઇ ગયો હતો.જે અંગે સામાજિક કાર્યકર અને જીવદયા પ્રેમી રમેશભાઈ ઓડેદરાએ બે વર્ષ પહેલા પાલિકા ને રજુઆત કરી આ રીતે ગેઇટ મૂકી પેક કરાયેલ ૧૪ થી વધુ શેરી ગલીઓ ખુલ્લી કરવા માંગ કરી હતી.
પરંતુ પાલિકા દ્વારા કોઈ કાર્યવાહી ન થતા રમેશભાઈએ આરટીઆઈ કરતા પાલિકાએ એ એવું જણાવ્યું હતું કે પાલિકા હસ્તકની ગલીઓમા લોખંડના ગેઇટ ગેરકાયદેર કહેવાય.આર ટી આઈ માં જવાબ આપ્યા બાદ કોઈ કામગીરી ન થતા રમેશભાઈ એ ઉચ્ચ કક્ષા એ રજૂઆત કરતા ચીફ ઓફિસર દ્વારા સ્થાનિકોને ગેઇટ દૂર કરવા નોટિસો ફટકારી હતી.અને આખરી નોટિસ પણ આપી હતી.આમ છતાં ગેઇટ દૂર ન થતા રમેશભાઈ એ તાલુકા સ્વાગત કાર્યક્રમ અને પ્રાદેશિક કમિશ્નર કચેરી એ પણ બે વખત રજુઆત કરી હતી.
જેથી રાજકોટથી પ્રાદેશિક કમિશ્નર કચેરી ના કાર્યપાલક ઈજનેર પી.એ. સોમપુરા આવી શેરીઓ ના સર્વે માટે પોરબંદર આવ્યા હતા.અને ચીફ ઓફિસર તથા અરજદારને સાથે રાખી સર્વે કામગીરી કરી હતી.અને ત્યાર બાદ તેઓએ જણાવ્યું હતું કે,જે ગલીઓ બન્ને તરફથી ખુલ્લી હોય તે સ્થળે ગેઇટ ન મૂકી શકાય.આથી આ અંગે કાર્યવાહી કરવા પાલિકા ને સુચના આપી છે.જો કે જે ગલીઓ માં બીજી તરફ રસ્તો ન હોય તેવી ગલીઓ પણ પેક કરવી ગેરકાયદેસર હોવાનું જણાવી રમેશભાઈ એ તમામ ગલીઓ ખુલ્લી કરાવવા માંગ કરી છે.
જુઓ આ વિડીયો