પોરબંદર
પોરબંદરમાં આવેલ પૌરાણિક ભોજેશ્વર મહાદેવને શિવરાત્રીના દિવસે સોનાના આભૂષણોથી શૃંગાર કરવામાં આવ્યો હતો.જે દર્શન નો લાભ મોટી સંખ્યા માં શિવભકતો એ લીધો હતો.
પોરબંદરના ભોજેશ્વર પ્લોટ માં આવેલ ભોજેશ્વર મહાદેવ ના મંદિર ની સ્થાપના વિક્રમ સંવંત ૧૮૭૯ માં કરવામાં આવી હતી.આ મંદિર ૨૦૦ વરસ જુનું છે.આ મંદિરે રાજાશાહી જમાનાથી ભગવાન શિવજીને શિવરાત્રી નિમિત્તે ૨૪ કલાક માટે સવા કિલો વજનના સોનાના દાગીનાઓ ચડાવવામાં આવે છે.સ્ટેટના વખતથી ચાલી આવતી આ પરંપરા અંગે પુજારી ઉપેન્દ્રભાઈ જોશી એ જણાવ્યું હતું કે વરસો અગાઉ પોરબંદર સ્ટેટના મહારાજા વિક્રમાતસિંહજી (ભોજરાજસિંહજી)એ આ શિવાલયમાં ભગવાન શિવજી તથા માતા પાર્વતીજી માટે સવા કિલો વજનના સોનાના દાગીના બનાવડાવ્યા હતા અને તેઓના હસ્તે શિવરાત્રીના તથા શ્રાવણ માસમાં દાગીના ભગવાન શંકરને ચડાવવામાં આવતા હતા.અને ત્યારથી આ પરંપરા હજુ પણ શિવરાત્રીના દિવસે યથાવત રહી છે.
ત્યારે આ વખતે પણ શિવરાત્રી નિમિતે મામલતદાર પાસેથી ટ્રેઝરીમાંથી દાગીના કાઢીને ૨૪ કલાક માટે શિવજીને ચડાવવામાં આવ્યા હતા.જેમાં આ એક એક દાગીનો મામલતદાર દ્વારા ગણીને, ચકાસીને પૂજારીને આપવા માં આવ્યો હતો.જેમાં સોનાની બંગડી ,બિલીપત્ર, સોનાના કંદોરો, ટોપ, કળશ, પગના ઝાંઝર, મુગટ, સહિતના આભૂષણો વડે પરંપરાગત શણગાર કરવામાં આવ્યા હતા.કુલ સવા કિલો સોનાના આભૂષણનો શણગાર કરવામાં આવતા મંદિર ખાતે સવાર થી જ ભક્તો ની કતાર લાગી હતી.અને મોટી સંખ્યામાં ભક્તજનોએ આ દર્શનનો લાભ લીધો હતો.
મંદિર ખાતે પોલીસ બંદોબસ્ત પણ પુરતો રાખવામાં આવ્યો હતો.શિવરાત્રીના બીજા દિવસે એટલે કે આજે સવારે દાગીનાનો શણગાર ઉતારી અને ચૂસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મામલતદારને દાગીના સોંપવામાં આવ્યા હતા.અને આ આભૂષણો પાછા ટ્રેઝરીમાં મુકવામાં આવ્યા હતા.એ સિવાય અહી હોમાત્મક લઘુરુદ્ર ,ભજન સંધ્યા,મહા પ્રસાદ,સાયં આરતી તથા રાત્રે ૧૨ વાગ્યે મહા આરતી પણ યોજાઈ હતી.
જુઓ આ વિડીયો