પોરબંદર ની વનાણા જી.આઇ.ડી.સી.માં પીવાના પાણી જેવી પાયાની સુવિધા પણ ઉપલબ્ધ નથી. ઉપરાંત થ્રી ફેઝ પાવરમાં પણ વારંવાર વિક્ષેપ સર્જાતો હોવા અંગે વનાણા ઈન્ડસ્ટ્રીયલ એસોસીએશન દ્વારા ગાંધીનગર થી આવેલા ડેલીગેશન ને રજૂઆત કરાઈ છે.
પોરબંદર ના વનાણા જીઆઇડીસી ની મુલાકાતે ગાંધીનગર સ્થિત જીઆઇડીસી ની હેડ ઓફીસ થી ડેલીગેશન આવ્યું હતું જેને ઈન્ડસ્ટ્રીયલ એસોસીએશનના પ્રમુખ દિલીપભાઈ સુંડાવદરા,ઉપપ્રમુખ કરશનભાઈ સલેટ, સેક્રેટરી જયરાજભાઈ સુંડાવદરા અને ખજાનચી ભાવેશભાઈ ચૌહાણ સહીત ના હોદેદારો એ રજૂઆત કરી જણાવ્યું છે કે વનાણા ઔદ્યૌગિક વસાહત શહેરથી ૯ કી.મી. દુર આવેલ છે.અને નિગમ દ્વાર વસાહતને પુર્ણ વિકસીત વસાહત જાહેર કરેલ છે. જેથી વસાહતમાં ખુબ જ મોટા ઔદ્યોગિક એકમો કાર્યરત થઇ ગયા છે.
પરંતુ વસાહતનાં ઉદ્યોગકારોને પીવાનું પાણી જે પાયાની મુળભૂત જરૂરીયાત છે. તે હજુ સુધી ઉપલબ્ધ થઇ નથી. આ બાબતે ઘણી જ રજૂઆતો કરાઈ હોવા છતા હજુ સુધી તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી હાથ ધરાઈ નથી. ૨૦૧૨ માં રાણાવાવ પાણી પુરવઠા બોર્ડને રજૂઆત કરવામાં આવી હતી. તથા એ જ સાલમાં ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રકચર લી. ગાંધીનગરને અરજી કર્યા બાદ ૧૦,૦૦૦ રૂપિયાની ફી ભરી આપી હતી. ત્યારબાદ પણ નકકર કાર્યવાહી નહી થતા અત્યાર સુધીમાં અનેકવખત પત્રવ્યવહાર કરવામાં આવ્યો હતો. તેમ છતા નકકર કાર્યવાહી થઇ ન હતી.
ત્યારબાદ પાણી પુરવઠા બોર્ડ દ્વારા એવું જણાવાયું હતું કે પાણીની વ્યવસ્થા પોરબંદર નગરપાલીકા પાસેથી કરવાની રહેશે. ત્યારબાદ નગરપાલીકાને રજૂઆત કરતા એપ્રિલ-૨૦૨૨ માં પોરબંદર નગરપાલીકાના તંત્રએ એ જગ્યાએ કોઈ ડીસ્ટ્રીબ્યુશન પીવાના પાણીનું નેટવર્ક નહી હોવાથી અન્ય સ્ત્રોતમાંથી પાણીની સુવિધા મેળવી લેવા જણાવ્યું હતું. ત્યારબાદ હજુ સુધી પીવાના પાણીની કોઇ જ સૂવીધા ઉપલબ્ધ થઇ નથી.
ઉપરાંત વનાણા ઈન્ડસ્ટ્રીયલ વસાહતમાં થ્રી ફેઝ પાવર વારંવાર ચાલુ બંધ થાય છે. જેથી ઉદ્યોગગૃહોને મોટું નુકશાન થઇ રહ્યું છે. ઘણી કલાકો સુધી વીજળી ગુલ થઇ જાય છે. ત્યારે વધુ હેરાન થવું પડે છે. જેથી આ પ્રશ્નોનું નિરાકરણ કરવા રજૂઆત માં જણાવ્યું છે.