ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય દ્વારા દેશના વિવિધ જિલ્લાઓમાં યુવા ઉત્સવ-૨૦૨૩નું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે પોરબંદર જિલ્લા કક્ષાનો ‘જિલ્લા યુવા ઉત્સવ’ સંયુક્ત કાર્યક્રમ બાલુબા સ્કુલ, પોરબંદર ખાતે નેહરૂ યુવા કેન્દ્ર,પોરબંદર દ્વારા સાંસદ રમેશભાઈ ધડુકના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.આ પ્રસંગે સાંસદ રમેશભાઈ ધડુકે જણાવ્યું હતું કે, યુવા ઉત્સવ સહિત અનેક સ્પર્ધાઓના માધ્યમ થકી યુવાનોમા રહેલી સુષુપ્ત પ્રતિભાઓ બહાર લાવવાનું કામ કેન્દ્ર સરકાર દ્વારા કરાયું છે. તેમણે તમામ સ્પર્ધકોને આવી સ્પર્ધાઓમાં જીતવા કરતા વધારે મહત્વનું ભાગ લેવું છે એમ સમજ આપી હતી.
તેમણે રાજ્યસરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ ગરીબો અને વંચિતોને કેન્દ્રમાં રાખીને જ ઘડવામાં આવે છે એમ ઉમેર્યું હતું. વધુમાં તેમણે G-20 અંતર્ગત ‘પંચ પ્રાણ’ની પ્રતિજ્ઞાના પાંચ સિધ્ધાંતોને સમજાવ્યા હતા. સાંસદશ્રીએ સ્પર્ધકો અને શાળાના વિધાર્થીઓને ફિલ્ડ એટલે નિશ્વાર્થ સેવા એમ સમજ કેળવી પોતાના પરિવાર અને સમાજને ઉચ્ચ કામગીરી દ્વારા ગૌરવ અપાવવા આહવાન કર્યું હતું. જિલ્લા પંચાયતના પ્રમુખ મંજુબેન કારાવદરા દ્વારા યુવા ભાઈઓ બહેનોને કારકિર્દીલક્ષી માર્ગદર્શન અપાયું હતું.પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયાએ પ્રાસંગિક ઉદદ્બોધન કરતા જણાવ્યું હતું કે, ભારત દેશમાં સૌથી વધુ યુવાનો છે. વર્તમાન સરકાર યુવા ઉત્કર્ષલક્ષી વિવિધ યોજનાઓ દ્વારા યુવાનોને આત્મનિર્ભર બનાવે છે. જેના થકી યુવાનો પોતાનું અને પોતાના સમાજ સહિત દેશનું ભાવી ઉજ્જવળ બનાવી શકે છે.તેમણે તમામ સ્પર્ધકોને પોતાની અંદર રહેલ સુષુપ્ત શક્તિઓને વિકસાવવા અનુરોધ કર્યો હતો.
નોંધનિય છે કે, આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીમાં ‘યુવા શક્તિ થી જનભાગીદારી’ નો ઉદ્દેશ છે. ત્યારે વડાપ્રધાનના ‘પાંચ પ્રણ’ ની થીમ પર નેહરૂ યુવા કેન્દ્ર,પોરબંદરના નેતૃત્વમાં આયોજિત યુવા ઉત્સવમાં યુવાનો પોતાની સુષુપ્ત પ્રતિભા બહાર લાવી શકે એવા આશયથી કાવ્યલેખન, ચિત્રકામ, વકતૃત્વ, ફોટોગ્રાફી તેમજ સાંસ્કૃતિક સ્પર્ધા (ગ્રુપ ડાન્સ) જેવી અલગ અલગ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મહાનુભાવોએ વિવિધ સ્પર્ધાઓ નિહાળી કલાકારોને પ્રોત્સાહિત કર્યા હતા.અંતે ઉપસ્થિત સૌએ ‘પાંચ પ્રણ’ ની થીમ પર દેશના વિકાસમા સહભાગી થવા પ્રતિજ્ઞા લીધી હતી.
નહેરુ યુવા કેન્દ્રના જિલ્લા યુવા અધિકારી મેઘા બેન સનવાલ દ્વારા કાર્યક્રમ વિશે માહિતી આપવામાં આવી હતી.આ કાર્યક્રમમાં સાંસદ રમેશભાઈ ધડુક,જિલ્લા પંચાયતના પ્રમુખ મંજુબેન કારાવદરા, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખરીયા, પોરબંદર નગરપાલિકાના પ્રમુખ સરજુભાઈ કારીયા, નવયુગ એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટી વિશાલભાઈ ઓડેદરા, બાલુબા સ્કૂલના આચાર્ય અરુણાબેન મારુ, નવયુગ એજ્યુકેશન ટ્રસ્ટના મંત્રી હરીશભાઈ મહેતા, વગેરે મહાનુભાવોએ કાર્યક્રમમાં હાજરી આપી તમામ વિજેતાઓને શિલ્ડ આપી બિરદાવ્યા હતા.આ તકે નહેરુ યુવા કેન્દ્ર વતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન કંદર્પ જોશી દ્વારા કરવામાં આવ્યું હતું.સાથે સાથે નહેરુ યુવા કેન્દ્ર ના સ્વયંસેવકો ચિરાગ સોલંકી, કાના ઓડેદરા,હિતેશ પરમાર,ભૂમિકા રાઠોડ,મયુરી રાવલિયા તથા વિશાળ સંખ્યામાં સ્પર્ધકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.






