રાણાવાવના ડૈયર ગામે પચીસ વર્ષ પહેલા થયેલ મારામારીના કેસમાં મહિલા સહિત ત્રણ આરોપીઓને બે વર્ષની સાદી કેદની સજા ફટકારવામાં આવી છે.
ગઇ તા. ૨૬-૩-૧૯૯૭ના રોજ આ ૧૨ આરોપીઓએ ફરિયાદી અરજણ વાલજીભાઈ કુકડીયાઓની વાડીએ સર્વે નં ૧૨૧ની જમીન હરરાજીમાં લીધેલ હોય, જે જમીન બાબતનું મનદુઃખ રાખી, તે જમીનમાં આ કામના કુલ ૧૨ જેટલા આરોપીઓએ પ્રવેશ કરી, જમીન પચાવી પાડવાના હેતુથી ફરીયાદી અરજણ વાલજીભાઈ કુકડીયાના ખેતરમાં પ્રવેશ કરી, આ કામના ફરીયાદીને લાકડીઓ વડે માથામાં તથા ડાબા ખભામાં પાછળના ભાગે માર મારી આરોપીઓએ એકબીજાને મદદગારી કરી ફરીયાદીને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપેલ તે મુજબનો ગુન્હો રાણાવાવ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ.
જે કેસ રાણવાવ કોર્ટમાં ચાલી જતા દસ્તાવેજી પુરાવા તથા નજરે જોનાર સાહેદોના પુરાવાના આધારે આ કામે વિ.એ.પી.પી. જયેશ એલ. ઓડેદરાઓની દલીલના આધારે આ કામના આરોપીઓ પૈકી બટુક નાથા કાનગડ, ભીખન રાણા કાનગડ તથા રાંભીબેન વા.ઓ. ગાંગા કરશન રાડા, આઇ.પી.સી. કલમ-૩૨૩ મુજબ એક વર્ષની સાદી કેદની સજા અને રૂ।. ૫૦૦નો દંડ તથા આઇ.પી.સી. કલમ-૩૨૪ મુજબ બે વર્ષની સાદી કેદની સજા અને રૂા. ૧૦૦૦નો દંડ કરવાનો હુકમ રાણાવાવ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટકલાસ, કોર્ટના જજ જી.ટી.સોલંકી દ્વારા હુકમ કરવામાં આવેલ છે. આ કામે આસીસ્ટન્ટ પબ્લીક પ્રોસીકયુટર તરીકે જયેશ લાખણશીભાઇ ઓડેદરા રોકાયેલા હતા.