પોરબંદર નજીકના બરડા પંથકના મોઢવાડા ગામની વી.જી. કારીયા હાઈસ્કૂલનું બોર્ડનું પરિણામ સર્વશ્રેષ્ઠ આવ્યુ છે ત્યારે મહત્વની વાત એ છેકે જયારે શિક્ષણનું ખૂબજ ઓછું પ્રમાણ હતુ ત્યારે ૬૪ વર્ષ પહેલા ઇ.સ. ૧૯૬૧માં બરડા વિસ્તારની સ્થપાયેલી પ્રથમ હાઇસ્કૂલમાં આજે પણ શ્રેષ્ઠ શિક્ષણ અપાઈ રહ્યું છે.
મોઢવાડા ગામની સ્વ. વલ્લભદાસ ગોરધનદાસ કારીયા હાઇસ્કૂલ પોરબંદર તાલુકાના બરડા વિસ્તારની પ્રથમ હાઇસ્કૂલ છે. જેની સ્થાપના ૧૯૬૧માં મોઢવાડા ગામના તત્કાલીન સરપંચ સ્વ. જીવાભાઇ કાળાભાઈ ઓડેદરા દ્વારા કરવામાં આવી હતી. મોઢવાડા ગામના પનોતા પુત્ર અને કેન્યા સ્થિત ઉદ્યોગપતિ સ્વ. વી.જી. કારીયાના માતબર અનુદાનથી તે જમાનાનું સારું કહી શકાય તેવું બિલ્ડીંગ બનાવવામાં આવ્યુ હતુ. ત્યારની પેઢીના બરડા વિસ્તારના અને અન્ય વિસ્તારના મોટાભાગના વિદ્યાર્થીઓએ હાઇસ્કૂલ કક્ષાનું શિક્ષણ મોઢવાડામાં લઇને અત્યારે ધંધા, રોજગાર અને વિદેશમાં સ્થાયી થઇને પોતાની આગવી ઓળખ ઉભી કરી છે અને આજના દિવસે પણ તેઓ મોઢવાડા ગામના વિદ્યાર્થીકાળના ઘડતરને જીવનનો શ્રેષ્ઠ સમય ગણાવે છે. વોલીબોલ, ખોખો, કબડ્ડી, બરછાફેંક, રનીંગ જેવી રમતો દ્વારા શારીરિક ઘતર ખૂબજ કરવામાં આવતુ હતુ.
તે સમયમાં લેજીમ, ડંબેશ જેવી રમતો પણ નિયમિત રીતે વિદ્યાર્થીઓને રમાડવામાં આવતી હતી. કલ્ચરક્ષેત્રે પણ હાઇસ્કૂલના વિદ્યાર્થીઓએ તેમની આગવી ઓળખ આખા વિસ્તારમાં ઉભી કરી હતી.
તે સમયમાં ૧૫મી ઓગસ્ટ અને ૨૬મી જાન્યુઆરીના રોજ હાઇસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા ભજવાતા નાટકો જોવા માટે આજુબાજુના ગામમાંથી લોકો ગાડા જોડીને આવતા હતા. એ સમયમાં ગામમાં મહાજનની સંખ્યા પણ ખૂબજ મોટી હતી. ૧૫મી ઓગસ્ટ અને ૨૬મી જાન્યુઆરીએ સમયમાં મોટા તહેવારની જેમ ગામમાં ઉજવાતા હતા. એ સમયમાં ગામના વેપારીઓ અન્ય સક્ષમ લોકો દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓને અને અન્ય સિધ્ધિઓ મેળવનારને પ્રોત્સાહન રૂપે ઇનામ પણ આપવામાં આવતા હતા.
તત્કાલીન સરપંચ સ્વ. જીવાભાઈ ઓડદરા ખુદ પોતે હાઈસ્કૂલ અને પ્રાથમિક શાળાનું મોનીટરીંગ કરતા હતા. તે વખતે ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસીએશન અને તાલુકા ખરીદ વેચાણ સંઘની સ્થાપના પણ સ્વ. જીવાભાઇએ કરેલ હતી અને જુનાગઢ જિલ્લામાં સહકારી આગેવાન તરીકે અને શિક્ષણના માણસ તરીકેની તે આગવી ઓળખ તેમણે ઉભી કરી હતી.
૧૯૯૭માં વી.જી. કારીયા હાઇસ્કૂલ ગ્રામ પંચાયત સંચાલિત હતી. ૧૯૯૭ મોઢવાડા ગામના તત્કાલીન સરપંચ મસરીભાઈ મોઢવાડીયાએ ઠરાવ કરીને મોઢવાડા કેળવણી મંડળને વહીવટ સોંપવા માટેનો ઠરાવ કર્યો હતો. અને સમસ્ત ગામના લોકો દ્વારા પ્રમુખ તરીકે રામદેવભાઈ મઢવાડીયા અને મંત્રી તરીકે પરબતભાઈ મોઢવાડીયા નિયુકત થયા હતા અને ટ્રસ્ટી તરીકે મોહન ભગવાનજી થાનકી, દેવશીભાઇ સીસોદીયા, પોલાભાઈ કારાભાઈ મોઢવાડીયા અને પોપટભાઈ મોઢવાડીયા, વણઘાભાઈ મોઢવાડીયાને ટ્રસ્ટી તરીકે નિયુકત કર્યા હતા. તે પછી અત્યારે સંચાલન મોઢવાડા કેળવણી મંડળ દ્વારા થઇ રહેલ છે. આ વર્ષે મોઢવાડા હાઇસ્કૂલનું ધો. ૧૨નું પરિણામ ૧૦૦% જેટલું આવ્યુ છે. જયારે ધોરણ ૧૦નું પરિણામ ૬૮.૭૨% જેટલુ આવેલ છે.
સુંદર પરિણામ લઇ આવવા બદલ વિદ્યાર્થીઓને મોઢવાડા કેળવણીમંડળના પ્રમુખ રામદેવભાઈ મોઢવાડીયા અને ટ્રસ્ટીગણે અભિનંદન પાઠવ્યા હતા. અને હાઇસ્કૂલના ઇન્ચાર્જ આચાર્ય મનોજભાઈ મોઢવાડીયા અને તેમની ટીમના શિક્ષકોને પણ અભિનંદન પાઠવ્યા હતા.
બરડા પંથકમાં શિક્ષણની જયોત પ્રજવલિત કરનાર સંસ્થાનું સુંદર સંચાલન
પોરબંદરના બરડા પંથકમાં શિક્ષણની જ્યોત પ્રજવલિત કરનારી સંસ્થા વી.જી. કારીયા
હાઇસ્કૂલ મોઢવાડામાં શિક્ષણની ધુણી ધખાવીને બેઠી છે અને રામદેવભાઈ મોઢવાડીયા સહિત તેમની ટીમ દ્વારા તેનું સુંદર સંચાલન થઈ રહ્યુ છે તેથી ધોરણ ૧૦ અને ૧૨માં ઉત્કૃષ્ટ પરિણામ લાવવા બદલ શિક્ષકો, વિદ્યાર્થીઓ સહિત ટીમવર્કથી થતુ કામ વગેરે પરિબળો કારણભૂત હોવાથી ગ્રામજનો દ્વારા રામદેવભાઈ મોઢવાડીયા સહિત ટ્રસ્ટીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.