પોરબંદરના ખારવાવાડ વિસ્તાર માં આવેલ શહીદચોક કમ્પાઉન્ડમા જીએમબી દ્વારા બનાવાયેલ મહિલા શૌચાલય 10 વર્ષથી બંધ હાલતમાં હોવાથી અહીં વસતા 50 પરિવારોની મહિલાઓ નજીક માં આવેલ દીવાલ પાછળ જાહેરમાં શૌચક્રિયા કરતી હતી. આ દીવાલ તોડી પાડવામાં આવતા સ્થાનિકો માં ભારે રોષ જોવા મળે છે. અને વિપક્ષ ના નેતા એ પણ આ મામલે ઉગ્ર રજૂઆત કરી છે.
પોરબંદરના ખારવાવાડ માં આવેલ શહીદચોક કમ્પાઉન્ડ જૂની એસીસી પાછળ જીએમબી દ્વારા મહિલા શૌચાલયનું નિર્માણ કર્યું હતું. જે છેલ્લા એક દાયકા થી બંધ હાલતમાં છે. જેથી આસપાસ ના વિસ્તાર માં રહેતા ૫૦ પરિવાર ના પુરુષો બંદર વિસ્તારમાં શૌચક્રિયા કરવા જાય છે. જ્યારે મહિલાઓ નજીક માં આવેલ દીવાલ પાછળ જાહેરમાં શૌચક્રિયા કરવા જતી હતી. પરંતુ નજીક માં આવેલ ઓવરહેડ ટેંક ની દીવાલ બનાવવા માટે પાલિકા દ્વારા આ દીવાલ તોડી નખાઈ છે. જેથી મહિલાઓને શૌચક્રિયા કરવા જવા માટે મુશ્કેલી નો સામનો કરવો પડે છે.
સ્થાનિક મહિલાઓએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે મહિલા શૌચાલયને સમારકામ કરી શરૂ કરવાની બદલે એક નાની મુતરડી બનાવી દીધી છે. જેથી દીવાલની આડશે જાહેરમાં શૌચક્રિયા કરવી પડે છે. તંત્ર દ્વારા આ બાબત ને ગંભીરતાથી લઈ મહિલા શૌચાલયનું સમારકામ કરવું જોઈએ. અથવા દીવાલ બનાવી દેવી જોઈએ તેવી માંગ કરી છે. પાલિકાના વીપક્ષના ના નેતા જીવનભાઈ જુંગી એ જણાવ્યું હતું કે, સરકારે ચાર વર્ષ પહેલા પોરબંદર ને ખુલ્લા માં શૌચક્રિયા થી મુક્ત જાહેર કર્યું છે. પરંતુ વાસ્તવિકતા કઈ અલગ જ છે. આથી આ અંગે તેઓએ ચીફ ઓફિસર ને પણ બંધ શૌચાલય ને વહેલીતકે ચાલુ કરવા રજૂઆત કરી છે.


