ખંભાળા ની સીમશાળા ના આચાર્ય ને બીએલઓની કામગરી સોપવાની હતી. પરંતુ તેઓ એ કામગીરી ન સંભાળતા મામલતદારે વોરંટ કાઢી પોલીસ ની મદદ લઇ બોલાવ્યા હતા જેના વિરોધ માં પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા રજૂઆત કરાઈ છે.
રાણાવાવ ના ખંભાળા ગામે આવેલ બિલનાથ સીમશાળા ના આચાર્ય કાનજીભાઈ ભુવા ને બીએલઓ તરીકે ની કામગીરી સોપવા આદેશ થયો હતો તેમ છતાં તેઓ ચાર્જ ન સંભાળતા મામલતદારે વોરંટ કાઢી પોલીસ ની મદદ લઇ તેઓને બોલાવ્યા હતા. જેને લઇ ને પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા કલેકટર ને લેખિત રજૂઆત કરાઈ છે જેમાં જણાવ્યું છે કે આચાર્ય કાનજીભાઈ રાણાવાવ મામલતદાર તરફથી બીલેશ્વર ખાતે બી.એલ.ઓ.નો આદેશ કરવામાં આવ્યો હતો. આ આદેશ પ્રોપર ચેનલ મોકલવાને બદલે માત્ર વોટસઅપથી સુપરવાઈઝર મારફત જાણ કરી હતી.
આચાર્યએ રજુઆત કરી હતી કે શાળામાં ૨ શિક્ષકોની ઘટ છે. તેમજ તેમની પાસે આચાર્યનો ચાર્જ પણ છે. તેમણે અગાઉ બી.એલ.ઓ. તરીકે કામગીરી પણ કરેલ છે. આચાર્યનું રેવન્યુ વિલેજ ખંભાળા ગામ છે. પરંતુ તેને જે બી.એલ.ઓ. બુથની કામગીરી કરવા આદેશ કરેલ છે તે અન્ય રેવન્યુ વિલેજ બિલેશ્વરમાં છે. અને બિલેશ્વર ગામ અને તેની પેટા શાળામાં શિક્ષકો ઉપલબ્ધ છે. આવી યોગ્ય લેખિત રજુઆત હોવા છતાં મામલતદારે તા ૧ ના રોજ પોલિસ મોકલી ચાલુ શિક્ષણકાર્ય દરમ્યાન તેની ધરપકડ કરી મામલતદાર કચેરી અને પોલિસ સ્ટેશન લઈ આવ્યા હતા. શિક્ષકો પ્રત્યેક કામગીરીમાં સહકાર આપતા હોવાથી આવું કરવું યોગ્ય જણાતું નથી. જેથી આ બાબતે યોગ્ય કરવા રજૂઆત માં જણાવ્યું છે. મહાસંઘ ના અધ્યક્ષ લાખાભાઈ ચુંડાવદરા એ એવું જણાવ્યું હતું કે રાષ્ટ્રીય પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ આ ઘટનાને સખત શબ્દોમાં વખોડે છે. કાનજીભાઈ જેવી ઘટના બીજા શિક્ષક સાથે ના બને એટલા માટે તા. 4 ને સોમવારે સાંજે 5:30 કલાકે કલેક્ટર ને મળીને આવેદન આપવાનું નક્કી કરાયું છે.