પોરબંદર જીલ્લા માં યોગ ને જન જન સુધી પહોંચાડવામાં અથાગ પ્રયત્ન કરનાર જીલ્લા યોગ કો-ઓર્ડીનેટરે વિશ્વ યોગ દિવસે જ એકાએક પોતાના પદ પરથી રાજીનામું આપતા ચકચાર મચી છે.
પોરબંદર જીલ્લા માં યોગ ને જન જન સુધી પહોંચાડવામાં અને વ્યાપક પ્રચાર પ્રસાર માં મહત્વ નો ફાળો આપનાર જીલ્લા યોગ કો ઓર્ડીનેટર જીવાભાઈ કરશનભાઈ ખુંટી એ વિશ્વ યોગ દિવસે જ પોતાનું રાજીનામું આપ્યું છે. યોગ બોર્ડ ના ચેરમેન શીશપાલ ને તેઓએ રાજીનામા પત્ર માં જણાવ્યું છે કે જીલ્લામાં રાજ્ય યોગ બોર્ડ દ્વારા તમામ કાર્યક્રમો આપવામાં આવે તેમાં યોગ કોચનો કોઈ પણ પ્રકારનો સહયોગ મળતો નથી. અને અન્ય યોગ કોચ અને ટ્રેનરોને કાર્યક્રમ માં ન આવવા બાબતે ઉશ્કેરવામાં આવે છે.
યોગ કોચ હાર્દિકભાઈ તન્ના, યોગ કોચ શાંતિબેન ભૂતિયા, યોગ કોચ રાજેશભાઈ કકકડ, યોગ કોચ ગોરધનભાઈ ચાવડાના નામ જોગ તેઓએ જણાવ્યું છે કે તેનો કાર્યક્રમમાં સહયોગ મળતો ન હોવાથી કાર્યક્રમ કરવામાં ઘણી મુશ્કેલીઓ પડે છે. તેમજ આ બાબતે વારંવાર રજૂઆત કરતા કોઈ પણ પ્રકારની કાર્યવાહી યોગ બોર્ડ દ્વારા કરવામાં આવી નથી. યોગ શિબિર હોય, યોગ સંવાદ હોઈ, કોમન કાઉન્ટડાઉન યોગ પ્રોટોકોલ નો પ્રોગ્રામ હોઈ કે ૨૧ જુન વિશ્વ યોગ દિવસ હોઈ, કોઈ પણ પ્રકારનો કોચ દ્વારા સહયોગ મળતો નથી અને ખોટા પ્રશ્નો ઉભા કરવામાં આવે છે. અને ખોટી રીતે યોગ ટ્રેનરોને ઉશ્કેરવામાં આવે છે.
જીલ્લામાં તમામ પ્રોગ્રામમાં જીલ્લા કોર કમિટીના સભ્ય કેતનભાઈ કોટિયા અને જીલ્લા કોર કમિટીની ટીમના સહયોગથી કાર્યક્રમો સફળ થાય છે.૨૧ જુન વિશ્વ યોગ દિવસ નાં યોગ પ્રોટોકોલ જીલ્લા કક્ષાના કાર્યક્રમમાં જીલ્લા કોર કમિટીની ટીમના સહયોગથી ઉજવણી કરવામાં આવી હતી. ૫૦% યોગ ટ્રેનરો અને સાધકોના સહયોગ મળ્યો હતો. આ બાબતને ધ્યાનમાં રાખતા નૈતિકતાના ધોરણે તેઓએ પોતાના પદ પર થી રાજીનામું આપ્યું છે. જેના પગલે ચકચાર મચી છે.
ઉલ્લેખનીય છે કે જીવાભાઈ ખુંટી એ જીલ્લા યોગ કો ઓર્ડીનેટર તરીકે ની જવાબદારી સંભાળી ત્યાર થી નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ બજાવી છે. અને જીલ્લા માં યોગ ના પ્રચાર પ્રસાર માં અને ઘર ઘર અને જન જન સુધી યોગ ને પહોંચાડવા માં ખુબ જહેમત ઉઠાવી છે.ત્યારે તેઓએ એકાએક રાજીનામું આપી દેતા અનેક ચર્ચાઓ જાગી છે.જીવાભાઈ ઈમાનદારી પૂર્વક પોતાની ફરજ બજાવતા હતા જે કેટલાક લોકો ની આંખ માં કણા ની જેમ ખૂંચતું હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.