Saturday, July 27, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદરના શિવભક્ત રાજવીએ કરાવ્યું હતું અનેક શિવમંદિરનું નિર્માણ અને જીર્ણોધાર:જાણો સંપૂર્ણ વિગત

પોરબંદર ના પરમ શિવભક્ત મહારાણા ભોજરાજજી ઉર્ફે વિકમાતજી ખીમાજી જેઠવા એ અનેક શિવમંદિરો નું નિર્માણ અને જીર્ણોધ્ધાર કરાવ્યો હતો. આ અંગે માહિતી આપતા ઇતિહાસકાર વિરદેવસિંહ પી જેઠવા એ જણાવ્યું હતું કે રાણા ખીમાજીના મૃત્યુ થયુ ત્યારે આ બાળરાજા વિકમાતજીની ઉંમર માત્ર 8 વર્ષની હતી. તેથી રાજ્યનું તમામ કામ તેમના માતૃશ્રી રૂપાળીબાએ ચલાવ્યુ. રાજમાતા રૂપાળીબા સાહેબ ચુડાના ઝાલા ઠાકોર હઠીજીના કુંવરી હતા પછી પવિત્ર રાજમાતા રૂપાળીબા સાહેબનો સ્વર્ગવાસ થતા રાજ્યની બધી જવાબદારી રાણાશ્રીને માથે આવી પડી આ સમયે તેમની ઉંમર 18 વર્ષની હતી.

ઈ.સ. 1841માં રાજમાતા રૂપાળીબાએ આંખ મીચી તે પછીથી પોતાના હાથમાં રાજ વ્યવસ્થા લીધી હતી. અને વધુ કડક હાથે રાજકારભાર તથા જાહેર શિસ્તનો આગ્રહ રાખ્યો હતો. તેઓ બગી કે ઘોડાગાડી હોવા છતાં ઘોડા ઉપર બેસીને જનતાની સુખાકારી જાણવા પૂછતા કચેરીમાં જતા આરંભના વર્ષોમાં હવેલીએ દર્શન કરવા જતા વિકમાતજીનુ ધાર્મિક જીવન ઋષીમુનીઓ જેવુ હતુ. ઈ.સ 1867 વિકમાતજીએ પોતાના નામપરથી શ્રી ભોજેશ્વર મહાદેવ મંદિરનુ નિર્માણ કરાવ્યુ.સાથે સવાકિલો સોનાનો શર્ણગાર મંદિરમા અર્પણ કર્યો.જેમા ભોજેશ્વર મહાદેવના દાગીનામા સોનાનો કંદોરો નંગ એક જેમાં 59 ઘુઘરી જે પૈકી 6 અડધી છે સોનાનો કળશ સોનાનો ટોપ અને બીલીપત્ર સોનાનો પગના ટોળા ઝાંઝર જેમાં ચપટી ઘૂઘરી આઠ આઠ નંગ છે ચાર બલોયા સોનાનો મુગટ જયપુરી જડતરનો ચાંદલો જેમાં છ લટકણીયા છે આ સંપૂર્ણ શણગાર ભોજેશ્વર દાદા ને અને માતા પાર્વતીજીને અર્પણ કર્યો અને પૂજારીને વર્ષાસન બાધી આપ્યુ હતુ.

બિલેશ્વર ગામે ઐતિહાસિક મંદિર શ્રી બિલનાથ મહાદેવ મંદિરનો જીણોદ્વાર કર્યો અને રાણાશ્રી વિકમાતજીએ મહંત પરિવારને જીવાય રૂપે બીલેશ્વર ગામ ધર્માદામાં લખી આપ્યુ હતુ. મંદિરના રક્ષણ માટે બે હથીયાર બંધ સિપાહી રહેતા હતા. અને પોતાની રાજમુદ્રામાં ‘ બિલનાથ સેવક રાણા ‘ એમ લખતા હતા. પોરબંદર સ્ટેટ સિમ્બોલમાં પણ ઉપર ભગવાન શિવના વાહન નંદીને સ્થાન આપ્યુ અને સૂત્ર લખ્યુ શ્રી વૃષભ ધ્વજાય નમઃ જે રાણા વિકમાતજીની શિવભક્તિનુ પ્રમાણ આપે છે.

રાણાશ્રી વિકમાતજીના કોમળ હૃદય ઉપર તેમનાં માતા રૂપાળીબાએ સદાચરણવાળા પવિત્ર જીવનની એવી તો ઊંડી છાપ પાડેલી હતી કે તેને લીધે રાણાશ્રી વિકમાતજીનું આખું જીવન પ્રેરણારૂપ પવિત્ર જીવન બની રહ્યુ હતુ. સાદો પોષાક પહેરતા. રાણાશ્રી વિકમાતજીનું જીવન એ તો એક આદર્શરૂપ રાજર્ષિનું જ જીવન હતું ઋષિ-મહાત્માઓની પેઠે જે સમયે જે સ્થિતિ પ્રાપ્ત થાય તેમાં તેઓ આનંદે રહેતા. સવારના પાંચ થી છ વાગ્યાની વચ્ચે તેઓ ઉઠતા હંમેશા ઠંડા પાણીએ સ્નાન કરતા એક પ્રહર લગી સંધ્યાવંદન.જપ.પાઠ. અને ધ્યાન કરતાં વૃદ્ધાવસ્થામાં પોતાનું શરીર જવાબ દેતુ હતું તો પણ સવાર સાંજ ઘોડે બેસી પહેલા તેઓ પોતાના કુળદેવી શ્રી વિંધ્યવાસીની માતાજીના દર્શન કરવા છાંયા જતા ત્યાથી કેદારનાથ. સુદામાજી. અને ભોજેશ્વરના દર્શન કરી આવતા દર્શન કરી આવ્યા વિના તેઓ જમતા પણ નહીં અને મહિનામાં એકવાર તેઓ શ્રી બીલનાથ મહાદેવના દર્શન કરવા બિલેશ્વર જતા. શ્રાવણ માસમાં તેવો ફક્ત એક સમય ફલાહાર કરતા અન્ન લેતા નહિ. રેશમી વસ્ત્રો અને અલંકાર તેઓ પહેરતા નહિ ગળામાં રુદ્રાક્ષની માળા ધારણ કરતા હતા.

રાણાશ્રી વિકમાતજીનું આચરણ ઘણું પવિત્ર અને અનુકરણીય હતું તેમજ તેમનું હૃદય અપાર ટેકીલું તેમજ અપૂર્વ ક્ષાત્રતેજપૂર્ણ હતું તેમ છતાં તેઓશ્રી દેશનું વિચારી વર્તનારા દક્ષ રાજનીતિજ્ઞ હતા. 77 વર્ષની આયુ ભોગવીને પવિત્ર રાજવીનો કૈલાશવાસ તારીખ 21/ 4/ 1900 ના રોજ ચૈત્ર વદ 6 ને શનિવારના દિવસે થયો હતો.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે