પોરબંદર જિલ્લામાં તા. ૨૬ થી ૨૮ જૂન સુધી શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાશે. પ્રવેશોત્સવમાં આઈસીડીએસના કમિશનર ડો. રણજીત કુમાર અને જિલ્લા કલેકટર સહિત પદાધિકારીઓ જોડાશે. જિલ્લાની ૩૦૫ પ્રાથમિક શાળા અને ૬૩ માધ્યમિક શાળામાં ૧૧૮૧૦ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવશે. બાલવાટિકામાં ૨૮૫૩, પહેલા ધોરણમાં ૪૩૩૪ નવમા ધોરણમાં ૨૭૨૩ અને ૧૧ માં ધોરણમાં ૧૯૦૦ વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે.
પોરબંદર જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ -૨૦૨૪ અંતર્ગત શહેરી અને ગ્રામ્ય વિસ્તારનો સંયુક્ત કાર્યક્રમ તા. ૨૬,૨૭ અને ૨૮ જૂનના રોજ યોજનાર છે. ગુજરાત સરકાર દ્વારા શાળા અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત રાજ્યમાં ૧૦૦% નામાંકનના લક્ષ્યાંકને સિદ્ધ કરવા માટે શાળા પ્રવેશોત્સવ અંતર્ગત શાળામાં પ્રવેશપાત્ર બાળકોને એક સાથે જ પ્રવેશ આપવામાં આવશે. ભારતીય સંસ્કૃતિ ઉત્સવાભિમુખ સંસ્કૃતિ છે. માનવ જીવનમાં અનેક પ્રસંગોની ઉજવણીએ આપણી પરંપરા છે. બાળકની નામકરણ વિધિ તમામ માટે ઉત્સવ છે. ઘર અને શેરી છોડીને પહેલીવાર શાળામાં આવતા બાળકોનો શાળા પ્રવેશોત્સવ આજ સુધી કુટુંબ ઉજવતો હતો. આ ઉજવણી બાળકોને નવા કપડા, કપાળમાં કુમકુમ તિલક, ચોખા, હાથમાં શ્રીફળ અને સાકરનો પડો, બાળકોને ચોકલેટ, મીઠાઈ પતાસાની વહેચણી આ દ્રશ્ય અનેક ગામોમાં જોવા મળતા અને મળે છે. પરંતુ પ્રવેશોત્સવ દ્વારા શાળા પરિવાર અને સમાજ શાળામાં આવતા દરેક પ્રવેશાર્થી બાળકનું સ્વાગત કરી આવકાર આપે છે.
શાળા પ્રવેશોત્સવ એ સમગ્ર ગામનો ઉત્સવ બની રહે તે આવશ્યક છે. રાજ્ય સરકાર શ્રી આ માટે તમામ સ્તરે સઘન આયોજન અને અમલીકરણ માટે પ્રયત્ન કરી રહી છે. આ વર્ષે પોરબંદરની તમામ બાળવાટિકાઓ, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, જ્ઞાન શક્તિ રેસીડેન્સીયલ સ્કૂલમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આયોજન કરાયું છે. તા. ૨૬,૨૭ અને ૨૮ -૨૦૨૪ દરમિયાન પોરબંદર જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારના સંયુક્ત કાર્યક્રમની ઉજવણી કરવામાં આવશે. જેમાં પોરબંદર જિલ્લાની ૩૦૫ પ્રાથમિક શાળા અને ૬૩ માધ્યમિક શાળામાં મળી કુલ ૧૧૮૧૦ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવશે. બાલવાટિકામાં ૨૮૫૩, પહેલા ધોરણમાં ૪૩૩૪ નવમા ધોરણમાં ૨૭૨૩ અને ૧૧ માં ધોરણમાં ૧૯૦૦ વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે. બાલવાટિકામાં ૧૪૭૫, પ્રથમ ધોરણમાં ૨૨૧૬, ધોરણ નવમાં ૧૫૫૬, ધોરણ ૧૧ માં ૧૧૩૧ કન્યાઓ સહિત ૬૩૭૮ કન્યાઓને આ પ્રવેશોત્સવમાં પ્રવેશ આપવામાં આવશે.
જેમાં આઈસીડીએસના કમિશનર ડો. રણજીત કુમાર , પોરબંદર જિલ્લા કલેકટર કે.ડી. લાખાણી, જિલ્લા વિકાસ અધિકારી કે. બી. ઠકકર તેમજ ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા અને જિલ્લા પંચાયતના પ્રમુખ પરબતભાઈ પરમાર વગેરે અધિકારી શ્રી તથા પદાધિકારીશ્રીઓ આ શાળા પ્રવેશોત્સવમાં જોડાશે. આ કાર્યક્રમના આયોજનની તૈયારી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી વિ.કે. પરમાર અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે.
પોરબંદરમાં ધોરણ-૮ સુધીનો અભ્યાસ પૂર્ણ કરનાર જિલ્લાની ૧૦૩ કન્યાઓને ૩.૬૦ લાખના વિદ્યાલક્ષ્મી બોન્ડની રકમ ચૂકવાશે
ધોરણ-૧ માં પ્રવેશ મેળવનાર ૪૯૩ કન્યાઓને ૨,૦૦૦ રૂપિયા લેખે ધોરણ ૮માં વ્યાજ સાથે વિદ્યાલક્ષ્મી બોન્ડ અપાશે. ગ્રામ્ય વિસ્તારમાં ૫૦ ટકાથી નીચો સાક્ષરતા દર ધરાવતા ગામોને તથા શહેરી વિસ્તારમાં બીપીએલ કાર્ડ ધરાવતા વાલીની દીકરીને વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજનાનો લાભ મળવા પાત્ર છે
પોરબંદરમાં ધોરણ-૮ સુધીનો અભ્યાસ પૂર્ણ કરનાર જિલ્લાની ૧૦૩ કન્યાઓને ૩.૬૦ લાખના વિદ્યાલક્ષ્મી બોન્ડની રકમ ચૂકવાશે. અને ધોરણ-૧ માં પ્રવેશ મેળવનાર ૪૯૩ કન્યાઓને ૨,૦૦૦ રૂપિયા લેખે ધોરણ ૮માં વ્યાજ સાથે વિદ્યાલક્ષ્મી બોન્ડ અપાશે. કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ -૨૦૨૪ હેઠળ ધોરણ-૮ સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો છે તેવી, પોરબંદર જિલ્લાની ૧૦૩ કન્યાઓને પાકતી મુદતે ૩,૬૦,૫૦૦ રૂપિયાના વિદ્યાલક્ષ્મી બોન્ડની રકમ ચૂકવવામાં આવશે. આ સાથે ધોરણ -૧ માં પ્રવેશ મેળવનાર જિલ્લાની ૪૯૩ કન્યાઓને ૨૦૦૦ રૂપિયા લેખે વિદ્યાલક્ષ્મી બોન્ડ આપવામાં આવશે. કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત રાજય સરકાર દ્વારા શરુ કરવામાં આવેલ વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજનાનો લાભ ગ્રામ્ય વિસ્તારમાં ૫૦ ટકાથી નીચો સાક્ષરતા દર ધરાવતા ગામોને તથા શહેરી વિસ્તારમાં બીપીએલ કાર્ડ ધરાવતા હોય તેવા વાલીની દીકરી કે જે ધોરણ-૧માં પ્રવેશ મેળવતી હોય તેવી કન્યાઓને ૨૦૦૦ રૂપિયાના વિદ્યાલક્ષ્મી બોન્ડ મળવાપાત્ર હોવાનું જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી વિનોદ પરમાર દ્વારા જણાવવામાં આવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના હેઠળ જે કન્યાઓ ધોરણ- ૮ સુધીનો અભ્યાસ પૂર્ણ કરે તેવી કન્યાઓને પાકતી મુદ્દતે વિદ્યાલક્ષ્મી બોન્ડની રકમ ૨૦૦૦ રૂપિયા ઉપરાંત નિયત વ્યાજના રકમની ચૂકવણી કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકાર દ્વારા શરુ કરવામાં આવેલા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવથી શાળા નામાંકન દર ૭૫ ટકાથી વધીને ૧૦૦ ટકા નજીક પહોંચ્યો છે.