ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા ઓક્ટોબર 2024માં લેવાયેલ બી.એ.ની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. જેમાં સરકારી વિનયન કોલેજ, રાણાવાવનું બી.એ. સેમ-5નું 95.92% જેટલું ઊંચું પરિણામ રહ્યું છે. ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓ પૈકી મનોવિજ્ઞાન વિષયમાં 15, સમાજશાસ્ત્રમાં 9, ઈતિહાસમાં 3, ગુજરાતીમાં 2 અને અંગ્રેજીમાં 1 મળીને કુલ 47 માંથી 30 વિદ્યાર્થીઓએ ડિસ્ટિકશન જ્યારે 14 વિદ્યાર્થીઓએ ફર્સ્ટ કલાસ પ્રાપ્ત કરેલ છે. વ્યક્તિગત પરિણામ પણ અત્યંત ધ્યાનાકર્ષક છે. સેમ-5માં નિરાલી બાબુભાઈ છાયા 86.43% (મનોવિજ્ઞાન) કોલેજમાં પ્રથમ, રેખા ભીખાભાઈ બાલસ 84.00% (મનોવિજ્ઞાન) દ્વિતીય, સાજણ લાખાભાઈ ઓડેદરા 82.71% (મનોવિજ્ઞાન) તૃતીય, ક્રિષ્ના ભરતભાઈ બાપોદરા 81.86% (સમાજશાસ્ત્ર) ચતુર્થ અને દિવ્યા કાનજીભાઈ શિયાણી તથા લીરી ખીમાભાઈ મોરી 81.14% (મનોવિજ્ઞાન) પાંચમો ક્રમ પ્રાપ્ત કરેલ છે.
સેમ-5માં શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કરનાર તમામ વિદ્યાર્થીઓને કોલેજના આચાર્યશ્રી ડો. કે. પી. બાકુ તથા સમગ્ર સ્ટાફ દ્વારા અભિનંદન અને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. વર્ષ 2012થી પોરબંદર જિલ્લાના ઐતિહાસિક રાણાવાવ નગરમાં શરૂ થયેલી આ વિસ્તારની એકમાત્ર મોડેલ ડિગ્રી કોલેજ સરકારી વિનયન કોલેજ રાણાવાવ કોલેજ સ્થાપના વર્ષથી જ ઉત્તમ પરિણામ આપી રહી છે. પોરબંદર જિલ્લામાં સૌથી વધુ વિષય પસંદગીની સ્વતંત્રતા આપતી આ સરકારી કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કોલેજના અધ્યાપકોની દ્રષ્ટાંતરૂપ નિષ્ઠા અને સામર્થ્ય થકી ઉજ્જવળ કારકિર્દી તરફ આગળ ધપે છે. સરકારી વિનયન કોલેજ રાણાવાવમાં આર્ટ્સ વિદ્યાશાખાના વિષયોનો અભ્યાસ કરાવવામાં આવે છે.
આ કોલેજ દ્વારા ચાર ભાષા (ગુજરાતી, હિન્દી, સંસ્કૃત અને અંગ્રેજી) તથા ત્રણ સામાજિક વિજ્ઞાનના વિષયો (સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન અને ઇતિહાસ) એમ કુલ સાત જેટલા વિષયોનો અભ્યાસ કરાવવામાં છે. કલા-આર્ટ્સના વિષયો દ્વારા પણ વિદ્યાર્થીઓ પોતાની ઉત્તમ કારકિર્દીનું નિર્માણ કરી શકે છે. કોલેજનું ઉત્તમ પરિણામ આ બાબતની સાબિતી આપે છે. કોલેજ વિશેની વધુ વિગત માટે કોલેજની વેબસાઈટ governmentartscollegeranavav.edu.in પર મુલાકાત લેવા અનુરોધ છે.