પોરબંદરના દુલિપ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ ની તાલીમ મેળવી આગળ વધેલા યુવરાજસિંહ ડોડીયાએ એશિયા કપની ભારતીય ક્રિકેટ ટીમ-એ માં સ્થાન મેળવ્યું છે. અગાઉ રણજી ટ્રોફીમાં શ્રેષ્ઠ પ્રદર્શન દાખવ્યા બાદ હવે વૈશ્વિક સ્તરે પ્રતિભાને ઉજાગર કરશે.
મુળ ગીરસોમનાથના મંડોર ગામનો તથા છેલ્લા એકાદ દાયકાથી પોરબંદરની દુલીપ ક્રિકેટ સ્કુલ ખાતે તાલીમ મેળવીને શ્રેષ્ઠ પ્રદર્શન દર્શાવતા યુવરાજસિંહ ધીરુભાઈ ડોડીયા નામના ૨૨ વર્ષીય યુવા ક્રિકેટર ની એશિયા કપ માટે ભારતીય ક્રિકેટ ટીમ-એ માં પસંદગી થઇ છે. યુવરાજસિંહ ની જુનીયર ક્રિકેટ કમિટી દ્વારા શ્રીલંકાના કોલંબો ખાતે ૧૪ થી ૨૩ જુલાઈ દરમિયાન રમાનારી એ.સી.સી. મેન્સ ઈમેજીંગ ટીમ્સ એશિયા કપ-૨૦૨૩ માટે ભારતીય એ ટીમમાં પસંદગી કરવામાં આવી છે.
એશિયાના આઠ દેશો વચ્ચે ૫૦-૫૦ ઓવરના ફોરમેટમાં રમાનારી આ ટુર્નામેન્ટમાં પોરબંદરના ક્રિકેટર નો સમાવેશ થતા ક્રિકેટ જગતમાં ખુશીની લહેર જોવા મળે છે. યુવરાજસિંહ તાજેતરમાં જ સૌરાષ્ટ્રની ટીમ વતી મુંબઇ સામેની મેચ રમ્યો હતો. અગાઉ વીજય મરચન્ટ અન્ડર-૧૬, કુચ બિહાર અન્ડર ૧૯, કર્નલ સી.કે. નાયડુ ટ્રોફી અન્ડર -૨૩ ઉપરાંત ૨૦૨૨ માં સી કે . નાયડુ ટ્રોફી અન્ડર ૨૫ માં તે રમી ચુકયો છે. અને બરોડાની ટીમ સામે ૮ વિકેટ ઝડપી હતી. ત્યારથી તેણે સીલેકટરનું ધ્યાન ખેંચ્યું હતું. અને ૨૦૨૨-૨૩ ની સૌરાષ્ટ્રની રણજીટ્રોફીની ટીમમાં સ્થાન મેળવ્યું છે.
ઇ.સ. ૨૦૧૬માં વિજય મરચન્ટ ટ્રોફી રમીને ક્રિકેટ કારકિર્દીની શરૂઆત કરનાર આ યુવાને એન.સી.એ. ઓલ ઈન્ડીયામાંથી ૨૦ પ્લેયર અને ઝોન ઓલ ઈન્ડીયાની ચાર ટીમમાં સ્થાન મેળવ્યું હતું. એશિયન ક્રિકેટ કાઉન્સિલ દ્વારા જાહેર કરવામાં આવેલ ટુર્નામેન્ટમાં ૧૪ થી ૨૩ જુલાઈ દરમ્યાન એશિયાના આઠ દેશો વચ્ચે ૧૫ મેચ રમાશે, જેમાં ઇન્ડિયા-એ, પાકિસ્તાન-એ, શ્રીલંકા- એ, બાંગ્લાદેશ-એ, અફઘાનિસ્તાન એ, નેપાળ, ઓમાનઅને યુનાઈટેડ આરબ અમીરાત ની ટીમ વચ્ચે ૫૦-૫૦ ઓવરની મેચ રમાશે. ત્યારે આ ટુર્નામેન્ટ માં પણ યુવરાજસિંહ ઉત્તમ પ્રદર્શન કરે તેવી જિલ્લા ક્રિકેટ એસોસિયેશન ના રણછોડભાઈ શિયાળ, સેક્રેટરી મોહનભાઈ, રાજેશભાઈ જાડેજા સહિતના સભ્યો અને ખેલાડીઓ એ શુભેચ્છા પાઠવી છે.