પોરબંદરના ગ્રાન્ટેડ નવયુગ વિદ્યાલયનું નવીનીકરણનું કાર્ય અંતિમ તબક્કામાં છે. ત્યારે સંપૂર્ણપણે કામ સંપન્ન થઇ જશે એટલે રાષ્ટ્રીય સંત પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના હસ્તે નૂતન લોકાર્પણ કરવામાં આવશે.
પ્રખ્યાત કવિ પૂ. સ્વ. દેવજીભાઈ મોઢા સ્થાપિત અને નવયુગ એજ્યુકેશન સોસાયટી પોરબંદર સંચાલિત નવયુગ વિદ્યાલયનું નવીનીકરણ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને શિક્ષણપ્રેમી દાતાઓના યોગદાનથી છેલ્લા બે વર્ષથી થઇ રહેલ છે. આ નવીનીકરણ એ ભૂતપૂર્વ વિદ્યાર્થી સંગઠન- નવયુગ એલુમની એસોસીએશનના નેજા હેઠળ થઈ રહેલ છે.
શાળાની ઐતિહાસિક મુખ્ય બિલ્ડીંગ, કોમર્સ અને કોમ્પ્યુટર બિલ્ડીંગના પૂર્ણ થવાના આરે આવેલ નવીનીકરણના અવલોકન માટે એલુમની એસોસીએશનના મંત્રી ડો. ઉષાબેન દેકીવાડીયા (મુંબઈ), ટ્રેઝરર ગીરીશભાઈ બખાઇ(અમદાવાદ), સભ્ય ગજરાજભાઈ રાણાવાયા (લંડન-દુબઇ), સભ્ય અર્જુનભાઈ ઓડેદરા(રાજકોટ), તથા શાળાના તમામ સીવીલ વર્કનું માર્ગદર્શન આપનાર પોરબંદરના અનુભવી અને વિદ્વાન સીવીલ એન્જીનીયર તથા સભ્ય પી.વી.ગોહેલ દ્વારા સતત ત્રણ દિવસ સુધી આવેલ. તમામ હોદેદારોએ થયેલ રીપેરીંગનું અવલોકન કરીને હજી પણ જરૂરી કામ પૂર્ણ થયા બાદ શાળાના વિદ્યાર્થીઓ માટે વધુ શૈક્ષણિક સુવિધા માટે ટેબલ ટેનીસ, બાસ્કેટ બોલ રમતો માટે અનુદાન ખર્ચ કરવા નિર્ણય કરેલ હતો.
શાળાની મુલાકાત દરમ્યાન મંત્રી ડો. ઉષાબેને વિદ્યાર્થીઓને ઉદ્બોધન કરતા શાળાની સ્વચ્છતા અને થયેલ નવીનીકરણને જાળવી રાખવા પોતાના ઘરની જેમ શાળામાં રહેવા અપીલ કરી હતી. મુંબઇથી ખાસ પધારેલ વિદ્વાન સી.એ. એચ.વી.જોબનપુત્રાએ પણ તમામ વિદ્યાર્થીને ઉચ્ચ અભ્યાસ માટે મુંબઈ આવવા અને પોતાનો સહયોગ આપવા તૈયારી બતાવી હતી. અન્ય મહેમાનો યોગેશ ઠક્કર (મુંબઈ), એલુમની વિજયભાઈ ઉનકડટ, પ્રવિણભાઈ પાબારી, કિશોરભાઈ ઉનડકટ (ગાંધીધામ) તથા રાજીવભાઈ વ્યાસે પ્રેરણાદાયી હાજરી આપી હતી. આ મુલાકાતમાં નાદુરસ્ત તબીયતને લીધે મુંબઇથી આવી નહીં શકનાર સભ્ય મહેશભાઈ શેઠે તમામને શુભેચ્છા પાઠવી હતી.
વિદ્યાર્થીઓને પ્રેરણા આપવા મુંબઇના સુવિખ્યાત મોટીવેશનલ સ્પીકર મારીષા પારેખનું વકતવ્ય યોજવામાં આવેલ જેમાં તેઓ દ્વારા વિદ્યાર્થીઓને જીવનમાં સફળ થવા માટે સંઘર્ષ કરવા પ્રેરણા આપવામાં આવી હતી. સભ્ય અને સફળ બિઝનેશમેન ગજરાજ ભાઈ રાણાવાયાએ પોતાના વક્તવ્યમાં પોતાના જીવનમાં કારની સફાઇથી સંઘર્ષ શરૂ કરી આજે ઘણાં દેશોમાં પોતાના વ્યવસાય સુધી સફળ સંઘર્ષયાત્રા જણાવીને વિદ્યાર્થીઓને પ્રેરિત કર્યા હતા.
શાળાના ધોરણ. ૯ના વિદ્યાર્થીઓના વાલીઓની મીટીંગમાં એલુમની એસોસીએશનના ટ્રેઝરર ગીરીશભાઈ બખાઈએ વાલીઓને પોતાના સંતાનોને વધુ અભ્યાસ માટે કેમ પ્રેરવા અને સંતાનના ઉચ્ચ ભાવિ માટે વાલીએ લેવાની કાળજીઓ વિશે વિસ્તૃત વક્તવ્ય આપેલ હતું.તમામ સભ્યોની મીટીંગમાં શાળાનું જૂથ બાકી રહેલ નવીનીકરણ પૂર્ણ થયા બાદ આ ઈમારતનું લોકાર્પણ રાષ્ટ્રીય સંત પૂજય રમેશભાઈ ઓઝાના પાવન હસ્તે કરવાનું નક્કી કરવામાં આવેલ. જેની તારીખ બાદમાં જાહેર કરવામાં આવશે.
શાળાની મુલાકાતે અને અવલોકને સતત ત્રણ દિવસ સુધી આવેલા તમામ એલુમની મહેમાનોની લાગણી અને શાળા પ્રેમને નવયુગ એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ સામતભાઈ ઓડેદરા તથા મંત્રી હરીશભાઈ મહેતાએ બિરદાવી હતી અને એસોસીએશનના તમામ સભ્યોનો આભાર માન્યો હતો. તમામ કાર્યક્રમો અને સેમીનારનું સફળ આયોજન શાળાના આચાર્ય તુષારભાઈ પુરોહિતે અને શિક્ષકોની ટીમે સફળતાપૂર્વક કરેલ હતું.



