પોરબંદરની ડો. વી. આર. ગોઢાણિયા મહિલા કોલેજમાં ફરજ બજાવતા અધ્યાપકે જીલ્લાના દરિયાકાંઠાના વિસ્તારોમાં ઉત્પન્ન થતી ક્ષારની સમસ્યાઓ વિશે સંશોધન કરીને મહાશોધ નિબંધ રજૂ કરતા ભકત કવિ નરસિંહ મહેતાએ તે માન્ય રાખીને તેમને પીઅચે.ડી.ની ડિગ્રી એનાયત કરી છે.
પોરબંદર શહેરની ડો. વી. આર. ગોઢાણિયા મહિલા કોલેજમાં વીઝીટીંગ લેક્ચરર તરીકે ફરજ બજાવતા કાજલબેન દિલીપભાઈ ખુંટી એ માર્ચ ૨૦૨૩ માં ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં જુનાગઢની બહાઉદિન કોલેજના ડો. દિનાબેન લોઢીયાના માર્ગદર્શન હેઠળ ૨૦૦૮ બાદ દરિયાકિનારાના વિસ્તારોમાં ક્ષાર પ્રવેશની ખેતીક્ષેત્ર પર અસર—પોરબંદર જિલ્લાના સંદર્ભમાં’ વિષય પર મહાશોધ નિબંધ રજૂ કર્યો હતો.
આ મહાશોધ નિબંધમાં તેણીએ પોરબંદર જિલ્લાના ૧૦૬ કીમી લાંબા દરિયાકિનારાના ૩૦ જેટલા ગામોને આવરી લીધા હતા. આ ૩૦ ગામોના ૩૦ ખેડૂતોની મુલાકાત લઈને તેમણે આ મહાશોધ નિબંધ તૈયાર કર્યો હતો. તેમના આ સંશોધનથી ખેડૂતોને જાગૃત કરવામાં આવે તો આ વિસ્તારમાંથી ક્ષારની સમસ્યા પર અંકુશ મેળવી શકાય છે અને બરડા પંથક તથા ઘેડ પંથકના વિસ્તારોમાં જોવા મળતી ક્ષારની સમસ્યાઓ પર કાબુ મેળવીને ઘણા પાકો મેળવી શકાય છે. તેમના આ મહાશોધ નિબંધને ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીએ માન્ય રાખીને તેમને ડોકટરેટની પદવી આપવામાં આવેલ છે.
સંસ્થાના પ્રમુખ ડો. વિરમભાઈ ગોઢાણિયાએ જણાવ્યું હતું કે પીએચ.ડી. અંગેનું સંશોધન ફક્ત ડિગ્રી પ્રાપ્ત કરવા માટેનું નહી પરંતુ સમાજને ઉપયોગી થાય તેવું સંશોધન કાર્ય કરવું જોઈએ. આ તકે સંસ્થાના પ્રમુખ ડો. વિરમભાઈ ગોઢાણિયા, એકેડમીક ટ્રસ્ટી હિનાબેન ઓડેદરા, ડાયરેકટર ડો. એ. આર. ભરડા, કોલેજના પ્રિન્સીપાલ ડો. કેતન શાહ તથા તમામ સ્ટાફગણે તેમને અભિનંદન પાઠવ્યા હતા.