ગુજરાત રાજ્ય અને ખાસ તો સૌરાષ્ટ્ર કચ્છ સંભવિત બિપરજોય વાવાઝોડાં અસરને પગલે પોરબંદર જિલ્લામાં પી.જી.વી.સી. એલ. વિભાગ દ્વારા વાવાઝોડાં અસરને પહોંચી વળવા માટે સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે.
પી.જી.વી. સી.એલ વિભાગની તૈયારીઓ અંગે નાયબ એન્જીનીયર એન.એચ.પરમારે જણાવ્યું હતું કે, વાવાઝોડાંની અસરને પહોંચી વળવા માટે વિભાગ દ્વારા સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે. જેમાં પોરબંદર ડીવીઝનમાં કુલ ૦૯ સબ ડીવીઝન આવેલા છે. જેમાં પોરબંદર શહેરમાં ૦૪ અને પોરબંદર ગ્રામ્યમાં ૦૫ છે. હાલમાં ૦૯ સબ ડીવીઝનમાં વીજ પુરવઠો ખોરવાય નહિ અને તાત્કાલિક વીજ પુરવઠો શરૂ કરી શકાય તે માટે જરૂરી સમાન જેમ કે થાંભલા, ટ્રાન્સફોર્મર જેવી વસ્તુઓ હાજરમાં છે.
વધુમાં જણાવ્યું હતું કે, વાવાઝોડાની અસરને પગલે પી.જી.વી.સી.એલ વિભાગ દ્વારા પોરબંદર શહેર ડીવીઝનમાં ૨૩ ટીમ અને ગ્રામ્ય ડીવીઝનમાં ૨૬ ટીમ એમ કુલ ૪૯ ટીમો અને બંને ડીવીઝનમાં મળીને કુલ ૨૦૦ કરતા વધારે કર્મચારીઓ રેસ્ટોરેશન માટે ખડેપગે છે. તેમજ ૨૮ કોન્ટ્રાક્ટર ટીમો અને ૧૪૦ કરતા વધારે કર્મચારીઓ ખડેપગે છે.
વધુમાં પરમારે જણાવ્યું હતું કે, વાવઝોડાની અસરને કારણે જિલ્લામાં ૧૧ કે.વી.ના ૨૫ અને અન્યના ૧૫ એમ કુલ મળી ૪૦ જેટલા થાંભલા પડી ગયા હતા. જેને પગલે વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે ૨૧ જેટલા થાંભલાઓ ઊભા કરી દેવામાં આવ્યા છે. જ્યારે ૨ વીજ ટ્રાનસફોર્મરનું રેસ્ટોરેશન કરી દેવામાં આવ્યું છે. જો જ્યોતિગ્રામ ફીડરની વાત કરીએ તો કુલ ૭૩ જેટલા ફીડર અસર થઈ હતી તેમાંથી ૭૦ જેટલા ફીડરઓનું રેસ્ટોરેશન કરી દેવામાં આવ્યું છે.
ખેતીવાડીના ફીડરની વાત કરીએ તો કુલ ૨૦૭ જેટલા ફીડર માંથી ૧૭૦ જેટલા ફીડર અને શહેરી વિસ્તારમાં ૨૦ જેટલા ફીડરઓનું રેસ્ટોરેશન કરી દેવામાં આવ્યું છે.
હાલમાં વાવાઝોડાની અસરને પગલે ભારે પવન તથા વરસાદને કારણે અત્યાર સુધીમાં કુલ ૧૩૦૦ કરતા વધારે ફરિયાદો નોંધાઇ હતી જેમાંથી ૬૦૦ કરતા વધારે ફરિયાદોનું નિવારણ કરવામાં આવ્યું છે જ્યારે વહેલાંમાં વહેલી તકે બાકીની ફરિયાદોનું નિવારણ લાવવામાં આવશે. સંભવિત બિપરજોય વાવાઝોડાંની અસરને પહોંચી વળવા માટે પોરબંદર પી.જી.વી.સી.એલ વિભાગ સંપૂર્ણ સજ્જ છે.