પોરબંદરની સિવિલ હોસ્પિટલ ની વધુ એક બેદરકારી સામે આવી છે. જેમાં મેલ વોર્ડ માં મૃત્યુ પામેલા દર્દી ના બદલે બાજુ માં સારવાર લઇ રહેલા ગ્રામ્ય વિસ્તાર ના દર્દી ના સ્વજનને દર્દી મૃત્યુ પામ્યા ની જાણ કરતા દોડધામ મચી ગઈ હતી જો કે બાદ માં સાચી હકીકત સામે આવતા મામલો થાળે પડ્યો હતો.
પોરબંદરની સરકારી હોસ્પિટલ માં અવારનવાર કોઈ ને કોઈ બેદરકારી સામે આવતી હોય છે. ત્યારે હોસ્પિટલ ના મેલ વોર્ડ માં સારવાર લઇ રહેલા અજાણ્યા પુરુષનું કોઈ કારણોસર મોત થયું હતું. જે બાબતની જાણ નર્સિંગ સ્ટાફને થતા તેમણે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પરંતુ સ્ટાફ દ્વારા મૃતક અને તેની બાજુમાં સારવાર લઈ રહેલ દર્દી ની ફાઈલો અદલા બદલી થઈ જતા મૃતકની બાજુમાં માથા માં ઈજા હોવાથી તથા ચક્કર આવતા હોવાથી સારવાર લઈ રહેલ આદીતપરા ગામના દર્દી ને મૃત સમજી તેને મૃત જાહેર કરવાની કાર્યવાહી પૂર્ણ કરી હતી. અને તેના પરિવારના સભ્યોના ઘરે જાણ કરતા તેઓમાં પણ શોક વ્યાપી ગયો હતો. અને દોડધામ મચી ગઈ હતી. આદીતપરા ના દર્દી ની સાથે તેના પત્ની પણ સિવિલ હોસ્પીટલે હોવાથી ગામડે રહેલ પરિવારના સભ્યો ને તેઓએ ફોન કરતા મહિલા એ પોતાના પતી જીવિત હોવાનું જણાવતા પરિવારજનો એ રાહત નો શ્વાસ લીધો હતો. અને ત્યાર બાદ હોસ્પિટલ ના તંત્ર સામે રોષ પણ વ્યક્ત કર્યો હતો.