પોરબંદરમાં આંગણવાડીના બાળકો ૧૦:૩૦ પછી પ્રવેશે તો તે બાળકોની હાજરી નહી ગણવાની સુચના આપવામાં આવતા કોંગ્રેસ દ્વારા તેનો વિરોધ કરાયો છે. જો કે આ સુચના બાળકો ના હિત માં જ હોવાનું પ્રોગ્રામિંગ ઓફિસરે જણાવ્યું છે.
પોરબંદર કોગ્રેસના સિનિયર આગેવાન રામદેવભાઈ મોઢવાડીયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને કરેલી રજૂઆત માં જણાવ્યું છે કે, પોરબંદર જીલ્લા ની આંગણવાડી બહેનોને અને બાળકોને વિચિત્ર પ્રકારના ફતવા દ્વારા હેરાન કરવામાં આવી રહ્યા છે. આંગણવાડી બહેનોને સતત માનસિક ત્રાસ આપવામાં આવે છે. સવારે ૧૦:૩૦ વાગ્યે ટાઇમ ડેટ સેટ વાળા ફોટા ફરજિયાત ગ્રુપમાં મુકવા અને ૧૦:૩૦ વાગ્યા પછી કોઇ બાળક આવે તો તેની હાજરી પુરવાની નહીં અને નાસ્તો પણ આપવાનો નહીં તેવું પ્રોગ્રામિંગ ઓફિસર દ્વારા જણાવાયું છે.
આંગણવાડીના બાળકો ત્રણ વર્ષથી પાંચ વર્ષની ઉંમરના હોય છે. અમુક બાળકો સવારે મોડા ઉઠે તો ૧૦-૧૫ મિનીટ મોડા પણ આવે છે. તે બાળકની હાજરી પૂરવા નથી દેતા, નાસ્તો પણ ઉઘારવા નથી દેતા અને હકીકતમાં સરકારનો ૧૦ વાગ્યે ટાઇમ-ડેઇટના ફોટા મુકવાનો કોઈ પરિપત્ર છે જ નહી વાડી-વિસ્તારમાં નેટ પ્રોબ્લેમ હોય તેમ છતાં ફોટા પાંચ મિનિટ મોડા મૂકે તો પગાર કાપી નાખવામાં આવે છે. પ્રોગ્રામ ઓફિસરના આવા ત્રાસથી આંગણવાડીની બહેનો કંટાળી ગઇ છે.
કોઈપણ જિલ્લામાં આવું નથી. જે દિવસે ફોટો મોકલવામાં આવે નહિ ત્યારે પગાર કાપી લેવામાં આવશે તેવી પણ સુચના અપાઈ છે. તથા બાળકોની હાજરી ૧૦:૩૦ પછી શુન્ય ગણવામાં આવશે. તેવું જણાવાયું છે અને ૯૦ ટકાથી ઉપર હાજરી હોવી જરૂરી છે. નહીતર આંગણવાડી કેન્દ્ર ફરજીયાત સ્થગિત કરવાની કાર્યવાહી કરવામાં આવશે તેમ પણ જણાવ્યું છે તથા ફોટાનું સઘન મોનીટરીંગ અધિકારીઓ કરશે અને ગેરહાજર બાળકનું નામ અને વાલીનો મોબાઈલ નંબર પણ ફરજીયાત મોકલવા જણાવાયું છે. તેથી આ પ્રકારની નિતી અયોગ્ય હોવાનું રજૂઆત માં જણાવ્યું છે.
આ અંગે પ્રોગ્રામિંગ ઓફિસર ભાવનાબેન જીડીયા ને પૂછતા તેઓએ એવું જણાવ્યું છે કે તેઓએ થોડા મહિના અગાઉ જ ચાર્જ સંભાળ્યો છે. અને તેના ફિલ્ડ વર્ક દરમ્યાન એવું સામે આવ્યું છે કે આંગણવાડી કેન્દ્ર ખાતે ૨૫ વિદ્યાર્થીઓ નોંધાયેલા હોય તેમાંથી માત્ર 5 જ બાળકો હાજર હોય છે. આંગણવાડી ખાતે 10 થી 2 પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવામાં આવે છે. તેમાં બાળકો ફરજીયાત હાજરી આપે અને પ્રવૃત્તિ કરે તે માટે આ સુચના અપાઈ છે. આંગણવાડી કેન્દ્ર નો નોંધાયેલા તમામ બાળકો ને લાભ મળે,બાળકો કેન્દ્ર ખાતે સમયસર હાજર રહે અને આંગણવાડી કેન્દ્રો ખાતે બાળકો ની પુરતી સંખ્યા રહે તે માટે સુચના આપી હોવાનું જણાવ્યું છે. અને બાળકો ના હિત માં જ આ સુચના આપી હોવાનું પણ જણાવ્યું છે.