પોરબંદર માં ટ્રાફિક નિયમોનું પાલન કરનારા વાહનચાલકોને ટ્રાફિક પોલીસ અને જેસીઆઈ દ્વારા સન્માનપત્ર આપીને બિરદાવવામાં આવ્યા હતા.
સડક એ દેશ અને દુનિયાની પ્રગતિનું એક અવિભાજ્ય અંગ છે, પરંતુ હાલ આ સડકો પર થઇ રહેલા અકસ્માતો આપણા માટે ચિંતા અને ચિંતનનો વિષય બની ગયા છે. માર્ગ સલામતી માસની ઉજવણી અંતર્ગત પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા અને નાયબ પોલીસ અધિક્ષક ઋતુ રાબા ના માર્ગદર્શન હેઠળ પોરબંદર પોલીસ અને જેસીઆઇ પોરબંદર દ્વારા સતત એક મહિના સુધી આ માર્ગ અકસ્માતોને કેવી રીતે નિવારી શકાય તેની જાગૃતિ લાવવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
જેસીઆઇ અને પોરબંદર પોલીસ દ્વારા નરસંગ ટેકરી ખાતે ઉભા રહીને ત્યાંથી પસાર થતા વાહનોનું નિરીક્ષણ કર્યું હતું તેમાં હેલ્મેટ પહેરીને, સીટબેલ્ટ લગાવીને વગેરે માર્ગ સલામતીના નિયમોનું પાલન કરીને વાહન ચલાવતા વાહન ચાલકોને પ્રોત્સાહિત કરવા સન્માન પત્રો અર્પણ કરી તેમને એક જાગૃત નાગરિક અને આદર્શ વાહન ચાલક તરીકે બહુમાન કરવામાં આવ્યું હતું. આ બહુમાન પ્રાપ્ત થતા વાહન ચાલકોમાં પણ આનંદની લાગણી જોવા મળી હતી.
આ કાર્યક્રમમાં ટ્રાફિક પીએસઆઇ કે.બી.ચૌહાણ, પીએસઆઇ કે.એન.અઘેરા, જેસીઆઇ પોરબંદરના પ્રમુખ આકાશ ગોંદીયા, સંદીપ કાનાણી, સંજય કારીયા, નિલેશ જોગીયા, કેતન કંટારીયા, અર્જુન કોટેચા, રુચિત ગંધા, એએસઆઈ ડી.ડી.વાઢીયા, એએસઆઈ કાનભાઈ જોગલ, હેડ કોન્સ્ટેબલ અજયસિંહ જાડેજા, ટીઆરબી રામભાઈ ઓડેદરા, રાજેશભાઈ જોડ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.







