પોરબંદર જીલ્લા માં કોરોના ના વધતા જતા કેસો ને ધ્યાને લઇ કોવીડ કેર સેન્ટર શરુ કરવા તંત્ર દ્વારા તૈયારી કરવામાં આવી છે.
પોરબંદર જિલ્લામાં કોરોના મહામારીના કેસ સંદર્ભે જિલ્લા કલેકટર અશોક શર્માએ ભાવસિંહજી જનરલ હોસ્પિટલની મુલાકાત લઈને કોરોના સ્થિતિ અંગે સમીક્ષા કરી જણાવ્યું હતું કે, કોરોનાના વધતા કેસને ધ્યાને લઇ આત્મા સેન્ટર ખાતે જિલ્લા તંત્ર દ્વારા કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવશે.
વધુમાં કલેક્ટરએ જણાવ્યું કે,પોરબંદરમાં કોરોના કેસની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે.જુલાઇ માસમાં ૯૬ જેટલા કેસો નોંધાયા હતા. છેલ્લા ચાર દિવસ એટલે કે તા.૨૨,૨૩,૨૪ અને ૨૬ મા ૩૬ જેટલા કેસો નોંધાયા છે. હાલમાં જિલ્લામાં એક્ટિવ કેસોની સંખ્યા ૪૨ છે. જેમાં ૬ દર્દીને હોસ્પિટલ માં અને ૩૬ દર્દી હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. તેમજ ગંભીર પરિસ્થિતિને પહોંચી વળવા માટે હોસ્પિટલ ખાતે ૨૦ આઈ.સી.યુ બેડ તથા ૧૦ ઓક્સિજન બેડની વ્યવસ્થા કરવામાં આવેલી છે. હાલમાં કોઇ પણ દર્દી ઓક્સિજન સપોર્ટ પર નથી જે રાહતની વાત છે.
કોરોનાના વધતા કેસોને ધ્યાને લઇને આત્મા સેન્ટર ખાતે જિલ્લા તંત્ર દ્વારા કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવશે. જ્યાં સામાન્ય તથા હળવા લક્ષણો વાળા દર્દીઓ રાખવામાં આવશે. અને ગંભીર લક્ષણવાળા દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે. તેમજ જિલ્લામાં નિયમિત રીતે ૭૫૦ થી ૮૦૦ જેટલા કોવીડ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. તે સિવાય હોસ્પિટલ ખાતે કોવિડ સિવાય અન્ય જનરલ દર્દીઓની સેવા નિયમિત રીતે શરૂ રહેશે જેથી નાગરિકોને કોઈ પણ તકલીફ ન થાય.
વધુમાં કલેકટરએ કહ્યું હતું કે, જિલ્લામાં વેક્સિનેશનની કામગીરી પણ પૂરજોશમાં ચાલી રહી છે. જિલ્લામાં ૯૦ ટકાથી વધારે વેક્સિનેશનની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. તેમજ ૧૮ થી ૫૯ વર્ષની વયના નાગરિકોને પ્રીકોશન ડોઝ આપવાની કામગીરી પણ ખૂબ ઝડપથી આગળ વધી રહી છે. તેમજ જો કોઈ દર્દી પોઝિટિવ આવ્યો હોય તો તેના સંપર્કમાં આવેલા લોકોને ટ્રેશ કરવામાં આવી રહ્યા છે.
કલેકટર અશોક શર્મા દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી કે ભીડભાડ વાળી જગ્યા પર માસ્ક પહેરવું તેમજ સોશ્યલ ડિસ્ટન્સ રાખવું. જો કોઈ વ્યક્તિને શરદી, તાવ કે ઉધરસ જેવા લક્ષણો જણાય તો કોઈ પણ પ્રકારની ચિંતા કર્યા વગર કોરોના ટેસ્ટ કરાવે જેથી તેમના સંપર્કમાં રહેલા વ્યક્તિઓને ચેપગ્રસ્ત થતા અટકાવી શકાય. તમામ લોકોએ કોવિડ પ્રોટોકોલ પાલન કરવું જોઈએ જેથી બધા સાથે મળી કોરોનાને હરાવી શકાય.