પોરબંદર માં સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા વિવિધ અધિકારીઓ ને સાયબર ક્રાઈમ અંગે મહત્વ નું માર્ગદર્શન આપ્યું હતું.
મોબાઈલનો વપરાશ વધતા અને મોબાઈલ પર ફાઇનાન્સિયલ ટ્રાન્ઝેક્શન તેમજ સોશિયલ મીડિયાના દુષપ્રભાવને લીધે આજકાલ સાયબર ક્રાઇમ ના કિસ્સાઓ વધતા જાય છે. ત્યારે પોરબંદર જિલ્લા કલેકટર કે.ડી.લાખાણી અને જિલ્લા પોલીસવડા ભગીરથસિંહ જાડેજાના માર્ગદર્શનમાં પોરબંદર જિલ્લાના અધિકારીઓએ જિલ્લામાં કઈ રીતે સાયબર ક્રાઇમ પર છેતરપિંડી થઈ રહી છે તેના કિસ્સાઓ જાણી પોતે તેમજ આસપાસના પરિચિત સગા સંબંધીઓ લોકો છેતરપિંડીનો ભોગ ન બને તે માટેની માહિતી મેળવી હતી. જિલ્લા ફરિયાદ સંકલન ની બેઠકમાં આ અંગેની વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી.
પોરબંદર સાયબર ક્રાઇમ સેલના પી.આઈ એન.એન તળાવીયા અને પી.એસ.આઇ સુમનબા જાડેજાએ પ્રેઝન્ટેશનથી કઈ રીતે સાયબર ફ્રોડના બનાવો બને છે અને કેટલા પ્રકારની સાવચેતી રાખવી જોઈએ તેની વિસ્તૃત વિગતો આપી હતી.સાયબર ક્રાઇમની પોલીસ ટીમે જણાવ્યું હતું કે સાઇબર ફ્રોડ કે નાણાકીય છેતરપિંડી ધ્યાને આવે કે તુરત હેલ્પ લાઈન 1930 અથવા તો સ્થાનિક સાયબર સેલનો સંપર્ક કરવાથી કેટલાક કિસ્સાઓમાં પૂર્ણ કે અશતઃ રિકવરી થઈ શકે છે.
મોબાઈલનો સંપૂર્ણ ડેટા અમુક પ્રકારની લીંક ઓપન કરવાથી છેતરપિંડી કરનાર પાસે જતો રહે છે. મોબાઈલ ફોન , સોશિયલ મીડિયા અકાઉન્ટ હેક થઈ શકે છે.જેથી અજાણી લિંક ને પરમિશન ના આપવા, ઓનલાઇન ઇન્વેસ્ટમેન્ટના નામે છેતરપિંડી થાય છે જેથી લાલચમાં ન આવવા, શંકાસ્પદ ઓનલાઇન ગેમમાં યુપીઆઈ દ્વારા બાળકો ટ્રાન્જેક્શન ન કરે તેની તકેદારી રાખવા, જુદા જુદા પ્રકારના પાસવર્ડ એકસરખા કે સાવ આસાન ન રાખવા, બને ત્યાં સુધી પાસવર્ડ ઓટોમેટીક મોબાઈલ પર સેવ ન થાય અને મેન્યુઅલી રાખવા, ટુ સ્ટેપ ઓથેન્ટિકેસન રાખવા, કેવાયસીના નામે કે કોઈપણ પ્રકારના ક્રેડિટકાર્ડ વગેરે અંગેના ફોન પર પાસવર્ડ ન આપવા સહિતની સમજણ આપવામાં આવી હતી.
પોરબંદર સાયબર સેલ પોલીસની ટીમે લોકોને પણ ખાસ કરીને સિનિયર સિટીઝન વડીલોને મોબાઇલમાં જરૂરી તકેદારી રાખવા તેમજ કોઈપણ અજાણ્યો વિડીયો કોલ રિસીવ ન કરવા પણ અનુરોધ કર્યો છે.આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી કે.બી ઠક્કર, અધિક કલેકટર મેહુલ જોશી તેમજ પ્રાંત અધિકારીઓ અને વિવિધ કચેરીના વડા ઉપસ્થિત રહ્યા હતા.