Sunday, May 19, 2024

|| तुम रक्षक काहू को डरना ||

વન વિભાગ પોરબંદર આવી ચડેલા સિંહને પકડી સ્થળાંતર નહીં કરે તો ત્રણ ગામના લોકો વન વિભાગ ની કચેરી એ નાખશે ધામા

પોરબંદર નજીકના રતનપર અને ઓડદર સહિત ઇન્દિરાનગર વિસ્તાર સુધીમાં સિંહે અનેક પશુઓના શિકાર કર્યા છતાં વન વિભાગ દ્વારા સિંહનું સ્થળાંતર કરવા કાર્યવાહી થતી નથી. ત્યારે આ વિસ્તારના ત્રણ ગામના સરપંચો સહિત આગેવાનોએ લેખિતમાં ડી.એફ.ઓ.ને આવેદન પાઠવી ચેતવણી આપી છે કે,વન વિભાગ સિંહનું સ્થળાંતર નહી કરે તો ત્રણ ગામના લોકો જંગલ ખાતાની કચેરીમાં રહેવા આવી જશે. તેમજ વ્યક્તિ ઉપર જીવનું જોખમ ઉભું થાય ત્યારે સ્વરક્ષણ માટે મારવાનો અધિકાર આપ્યો હોવાનું લેખિતમાં જણાવીને ઉમેર્યું છે કે,સ્વબચાવમાં ગ્રામજનો કાઈપણ કરશે તો તેની સંપૂર્ણ જવાબદરી જંગલખાતાની રહેશે તેવું જણાવી દેવાયું છે.

પોરબંદરના કલેકટર અને ડી.એફ.ઓ.ને ત્રણ ગામના સરપંચો સહિત આગેવાનોએ આવેદન પાઠવ્યું છે.આ આવેદનપત્રમાં દેવશીભાઈ કરશનભાઈ ઓડેદરા સરપંચ રતનપર ગ્રામપંચાયત, ઓડદર તાલુકા પંચાયત સદસ્ય રામભાઈ ઓડેદરા, સીણીબેન કરશનભાઈ છેલાણા સરપંચ ઓડદર ગ્રામપંચાયત, લાલજીભાઈ ટુકડીયા સરપંચ ટુકડા (ગોસા) ગ્રામપંચાયત, કરશનભાઈ છેલાણા, પ્રતાપભાઈ કેશવાલા, રામદેભાઈ હાજા, કેશુભાઈ લીલા, મનાભાઈ ભગા, લીલાભાઈ હમીર, લખુભાઈ ચના, અરજનભાઈ ગોરસેરા, દેવશીભાઈ બોખીરીયા, મુળુભાઈ કેશવાલા, અરજનભાઈ પોલા, કશ્યપભાઈ જીવા ઉપસ્થિત રહ્યા હતા.તેઓએ લેખિતમાં એવું જણાવ્યું છે કે, પોરબંદર જીલ્લાના રતનપર ગામની બાજુમાં સરકારી પડતર જગ્યા આવેલી છે, જે પડતર હોવાથી તેમાં મોટા પ્રમાણમાં ગાંડા બાવળ ઉગી ગયેલ છે, જેમાં છેલ્લા અંદાજે બે મહિનાથી એક સિંહ આવી વસવાટ કરી ગયેલ છે. જે અમારા ગામ ઉપર જોખમરૂપ છે. જેથી અમારા જુદા જુદા મુદાને ધ્યાને લઇ આ સિંહને તાત્કાલીક પકડી તેના વસવાટવાળા વિસ્તારમાં અથવા તો તે આવ્યો છે તે દરીયાઈ પટ્ટી ઉપર મુકી આવવા અપીલ છે.

જંગલ વિસ્તાર નથી રહેણાંક વિસ્તાર છે
સિંહને વસવાટ માટે મોટા ચોરસ કિલોમીટર એરીયા જગ્યાની જરૂરીયાત હોય છે. જયારે અહીંયા આવો કોઈ મોટો વિસ્તાર કે જંગલ આવેલ નથી, જેની હિંસાબે આ સિંહ અવાર નવાર ખેતીવાડી વિસ્તારમાં તથા ગામના રહેણાંક વિસ્તારમાં ઘુસી આવે છે. સિંહને રહેવા માટે સારા જંગલની જરૂરીયાત હોય છે. જયારે અહીંયા ગાંડા બાવળનું જ જંગલ છે તથા કોઈ ફોરેસ્ટનો રક્ષિત વિસ્તાર નથી. જેથી તેમાં સિંહ રહી શકે તેવી કોઈ શકયતા નથી.

રતનપર ગામમાં સિંહના આંટાફેરા
હાલમાં અમારા ગામની નજીકનું બીજું ઓડદર ગામએ પોરબંદર-છાયા નગરપાલીકા સંચાલિત ગૌ- શાળામાં આ સિંહ ઘુસી ૬-૮ ગાયોના મારણ કરેલ છે. અમારા ગામ રતનપરમાં ગામની અંદર ઘુસી આવેલ છે. અમારા ગામના વતની કેશુ દેવશીભાઇ ઓડેદરાના ઘરે લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરામાં રેકોર્ડ થઇ ગયેલ છે. જે અમારા ગામ માટે ખુબ જ જોખમી છે. પોરબંદર જીલ્લામાં કોઈ જગ્યાએ સિંહ વસવાટ કરતાં નથી.

તમારી કચેરીમાં કુશળ સ્ટાફ પણ નથી
જેથી કરી આપના વિભાગના અધિકારીઓ તથા કોઈ પણ સ્ટાફ આ સિંહની કોઈ પણ રીતે જાળવણી કરી શકે અથવા તેનું સારું રખોપું કરી શકે તેવા કુશળ સ્ટાફ પણ અહીંયા ઓફીસમાં નથી તથા કોઈ એવા આધુનિક ઉપકરણો પણ આપના ઓફીસમાં નથી અહીંયા આ સિંહ વસવાટ કરતી જગ્યાએ બીજા કોઈ પ્રકારના જંગલી જાનવરો વસવાટ કરતા નથી. જેથી કરી આ સિંહને શિકાર મળી રહે તેવું કોઈ શકયતા નથી. જેથી કરીને આ સિંહ ફકત પાળેલા પશુઓ ઉપર જ નિર્ભર રહે તેવી પરિસ્થિતિ છે જે અમારા ગામ માટે ખુબ જ જોખમી છે.

ખેડૂતો-માલધારીઓના જીવ ઉપર જોખમ

અહીંયા આજુબાજુ ખેતીવાડી વિસ્તાર હોય અત્યારે શિયાળુ પાકની સીઝન હોય જેમાં ખેડૂતોએ પાણી પીવડાવવાનો સમય હોય જેમાં ખેડૂતોને સરકાર તરફથી વીજળી ૮ દીવસ દીવસે આપવામાં આવે છે. જયારે ૮ દિવસ રાત્રે વીજળી આપવામાં આવે છે. આ રાત્રીના સમયે ખેડૂતોને ખુબ જ મોટું જીવનું જોખમ ઉભું થાય છે. આ સિંહના હિસાબે અમારા તથા આજુબાજુના બીજા ગામના ખેતી વિહોણા માલધારી લોકો પોતાના માલ, ઢોર કે ઘેટાં-બકરા કયાંક ચરાવવા જઈ શકતા ના હોય. જેથી કરી આ હજારો મુંગા પશુઓને પણ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ માલધારીઓ માટે આપના વિભાગ તરફથી તાત્કાલીક ઘાસની વ્યવસ્થા કરી હજારો મુંગા પશુઓના જીવ બચાવવા આપના વિભાગની જવાબદારી છે.

વારંવાર થઇ છે રજૂઆત
ઉપરોકત બાબતે વધુમાં જણાવવાનું કે આ બાબત અમારા વિસ્તારના અનેક સામાજીક સંસ્થાઓ તથા આગેવાનોને સિંહને પકડવા અને યોગ્ય કાર્યવાહી કરવા આપના વિભાગમાં અનેક રજૂઆતો કરવામાં આવેલ છે. પરંતુ આપના વિભાગ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવેલ નથી. સ્વરક્ષણ માટે કાંઈપણ થાય તે પહેલા તમે જાગો
જયારે વધુમાં જણાવવાનું કે આ સિંહ અમારા તથા આજુબાજુના ગામ લોકોના જીવ ઉપર જોખમ સ્વરૂપ છે. જયારે ભારતીય બંધારણની જોગવાઈ મુજબ જયારે વ્યકિતને પોતાના જીવ ઉપર જોખમ ઉભું થાય ત્યારે સમય સંજોગ પરિસ્થિતિ જોઇ પોતાના સ્વરક્ષણ માટે કોઈને પણ મારી નાખવાનો અધિકાર પણ આપવામાં આવેલ છે. જે બાબત આવું કરનાર વ્યક્તિને નિર્દોષ ગણવાની જોગવાઈ આઇ.પી.સી. માં પણ કરવામાં આવેલ છે.

જેથી ઉપરોકત અમારા તમામ મુદાઓ અતિગંભીર હોય જે ધ્યાને લઇ તાત્કાલીક ધોરણે આ સિંહને પકડી તેના મુળભુત વસવાટની જગ્યાએ અથવા તો આપના વિભાગ તરફથી વ્યવસ્થા કરેલ કોઈ પણ જગ્યાએ મુકવા અમારી માંગણી છે. સિંહને નુકશાન થશે તો લોકો નહિ, વનવિભાગ ગુનેગાર ઉપર જણાવ્યા મુજબ અમારા ગામ લોકોને અથવા અમારા માલ ઢોરને આ સિંહ દ્વારા કોઈ પણ જાતનું નુકશાન પહોંચાડવામાં આવશે તો તેનું જવાબદાર આપનો વિભાગ ગણાશે અને પોતાના સ્વ બચાવમાં અમારા ગામ લોકો તરફથી આ સિંહને કાઈ પણ કરવામાં આવશે તો પણ અમારા કોઈપણ ગામના લોકો ગુનેગાર નહીં ગણાય અને તેની જવાબદારી આપના વિભાગની રહેશે.

વનવિભાગની કચેરીમાં લેશો આશરો
ઉપરોકત બાબતે તાત્કાલીક ઘટતી કરી કાર્યવાહી કરવામાં નહિ આવે તો અમારા તથા આજુબાજુના ગામના ગામલોકો તથા અમારા ગામના માલ ઢોર સાથે ના છુટકે અમો આપની કચેરીની અંદર સુરક્ષિત રીતે આશરો મેળવવા મજબુર બનશું અને આ સિંહ નકકી પકડાય અને અમે ખુઘ્ને સુરક્ષિત નહીં અનુભવીએ ત્યાં સુધી આ જગ્યા છોડશું નહિ. આવું કાંઈપણ કરવા અમને મજબુર કરશો. તેના જવાબદાર આપની કચેરી રહેશે તેવી પણ ચેતવણી લેખિતમાં વનવિભાગને આપી દીધી છે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે