પોરબંદર ની સાયન્સ કોલેજ ના વનસ્પતિશાસ્ત્ર ના વડા લિનિયન સોસાયટી ઓફ લંડનના ફેલો તરીકે ચૂંટાયા છે.જે બદલ તેઓ પર અભિનંદનવર્ષા થઇ રહી છે.
ધ્રાફા ના વતની અને મહર્ષિ દયાનંદ સાયન્સ કોલેજ, પોરબંદરના વનસ્પતિશાસ્ત્ર વિભાગના વડા અને સંશોધન માર્ગદર્શક ડૉ. ભુપેન્દ્રસિંહ જાડેજા ને લંડનની વિશ્વપ્રસિદ્ધ વૈજ્ઞાનિક સંસ્થા લિનિયન સોસાયટી ઓફ લંડન ના ફેલો તરીકે ચૂંટવામાં આવ્યા છે. 26 જૂન, 2025 ના રોજ સોસાયટીની બેઠકમાં તેમને સત્તાવાર રીતે ફેલો તરીકે ચૂંટવામાં આવ્યા હતા. આ ઐતિહાસિક અને પ્રતિષ્ઠિત માન્યતા તેમને વનસ્પતિવિજ્ઞાન ક્ષેત્રમાં તેમની ઊંડાણપૂર્વકની સેવાઓ, સંશોધન કાર્ય તેમજ વિદ્યાર્થીઓમાં વનસ્પતિશાસ્ત્ર પ્રત્યે જાગૃતિ ફેલાવવાના તેમના યોગદાન માટે આપવામાં આવી છે. તેઓએ પૌધાઓના સ્વરૂપશાસ્ત્ર, કોષવિજ્ઞાન, એથ્નોબોટની અને સંરક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર સંશોધન કર્યું છે.
લિનિયન સોસાયટી, જેની સ્થાપના 1788માં થઈ હતી, તેમાં ચાર્લ્સ ડાર્વિન અને અલ્ફ્રેડ રસેલ વોલેસ જેવા વૈજ્ઞાનિકોએ પણ ફેલોશીપ મેળવી હતી. ડૉ. જાડેજાને મળેલી ફેલોશીપ માત્ર વ્યક્તિગત સિદ્ધિ નહીં પણ ભારતીય વનસ્પતિવિજ્ઞાનને વૈશ્વિક માન્યતા મળવાનું ઉદાહરણ છે. આ પ્રસંગે મહર્ષિ દયાનંદ સાયન્સ કોલેજના પ્રિન્સિપાલ ડૉ. વી. ટી. થાનકી, નવયુગ એજ્યુકેશન સોસાયટી, તથા ગુજરાત એડવાન્સ્ડ એસોસિએશન ઓફ બોટનીના પ્રમુખ ડૉ. એન. કે. પટેલ એ ડૉ. જાડેજાને અભિનંદન પાઠવ્યાં છે અને તેમને ભવિષ્ય માટે શુભેચ્છાઓ આપી છે. કોલેજ પરિવાર, વિદ્યાર્થીઓ તથા વૈજ્ઞાનિક સમુદાય આ મહાન સિદ્ધિ પર ડૉ. જાડેજાને હાર્દિક અભિનંદન પાઠવે છે.