Thursday, May 15, 2025

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર માં સરકારી નોકરી અપાવવાની લાલચ આપી રૂપિયા સાડા આઠ લાખની છેતરપીંડી:રકમ પરત માંગતા એટ્રોસિટી ના ખોટા કેસ માં ફસાવી દેવાની ધમકી

પોરબંદરમાં સરકારી નોકરી અપાવી દેવાની લાલચ આપી ૩ લોકો સાથે માતા પુત્ર સહીત ત્રણે સાડા આઠ લાખ રૂપિયાની છેતરપીંડી કરી હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પોરબંદરના છાયાચોકીથી નિરમા ફેકટરી તરફ જતા રસ્તે સિગ્મા સ્કૂલની બાજુમાં ત્રણ માળીયા ખાતે રહેતા હંસાબેન ઉમેશભાઈ વાંદરીયા(ઉવ ૪૯)એ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તેઓ મચ્છીનો વેપાર કરે છે અને બે વર્ષ પહેલા છાયના ભીમરાવચોકમાં રહેતો કમલેશ કારા શીંગરખીયા અવારનવાર મચ્છી લેવા આવતો તેથી તેની સાથે હંસાબેનને સારી ઓળખાણ થઇ હતી.કમલેશે હંસાબેનને એવું જણાવ્યુ હતુ કે કોઈને સરકારી નોકરી જોઈતી હોય તો કહેજો મારા જાણીતા અસ્મિતાબેન ભરતભાઈ જોષી જેઓ નોકરી અપાવે છે અને તેમની સાથે મારે સારા સંબંધ છે.

હંસાબેના ભાભીના બહેનનો દીકરો કૃપેશ વિપુલભાઈ લોઢારી કે જે ભારતીય વિદ્યાલય પાસે રહે છે અને આઇ.ટી.આઇ.નો અભ્યાસ કર્યો છે આથી તેને નોકરી કરવાની છે તેવી વાત કરતા કમલેશે રેલ્વેમાં પાર્સલના આપ-લે કરવા માટે સુપરવાઈઝર તરીકેની નોકરી અપાવવાની વાત કરી હતી અને તેના માટે રૂપિયા ૧ લાખ ૫૦ હજાર આપવાનું જણાવ્યુ હતુ. ત્યારબાદ કમલેશ આ કૃપેશ લોઢારીને જૂનાગઢ ખાતે અસ્મિતાબેન ભરત જોષી પાસે લઇ ગયો હતો અને રૂપિયા ૧ લાખ ૫૦ હજાર તેમજ જરૂરી ડોક્યુમેન્ટ કમલેશના કહેવા મુજબ અસ્મિતા જોષીને આપી દીધા હતા.

ત્યારબાદ હંસાબેનનો ગાંધીનગર રક્ષા યુનિવર્સીટી ખાતે અભ્યાસ કરતો કશ્યપ નામનો પુત્ર વેકેશન હોવાથી પોરબંદર આવ્યો હતો અને કમલેશ ફરીયાદી હંસાબેનના ઘરે મચ્છી લેવા આવ્યો ત્યારે તેણે દીકરાના શિક્ષણ વિશે પૂછયુ હતુ. અને ‘કૃપેશ લોઢારીને રેલ્વેમાં સુપરવાઇઝર તરીકે અસ્મિતાબેન મારફતે નોકરી મળી જશે.’ એજ રીતે તમારા દીકરાને પણ જો સરકારી નોકરી કરવી હોય તો હું અપાવી દઇશ. એમ વાત કરીને વિશ્વાસમાં લીધા હતા.

ફરીયાદીના પુત્ર કશ્યપને કોસ્ટગાર્ડના ઉચ્ચ અધિકારી સાથે આસીસ્ટન્ટ તરીકે રહેવાની ઇચ્છા હોવાથી કમલેશ શીંગરખીયાને વાત કરતા તેણે વિશ્વાસ અપાવીને ‘તમારી મનપસંદ નોકરી તમને અપાવી દઇશ’ તેમ કહેતા હંસાબેન અને તેનો પુત્ર કમલેશની વાતોમાં આવી ગયા હતા અને બે લાખ રૂપિયાની માંગણી કરી હતી. પરંતુ એટલી રકમ હંસાબેન પાસે નહી હોવાથી ૧ લાખ ૩૦ હજાર જેટલી રકમ ની વ્યવસ્થા કરી આપીશ તેમ કહેતા કમલેશે એવુ જણાવ્યુ હતુ કે, ‘તમારા દીકરા કશ્યપને કોસ્ટગાર્ડમાં તેને મનગમતી નોકરી અપાવી દઈશ’ તેમ જણાવીને કશ્યપનેજરૂર ડોકયુમેન્ટ સાથે વીરપુર લઇ જવાયો હતો. વીરપુર ખાતે ‘સાહેબને મળવા જવુ છે અને નોકરીનું થઈ જશે’તેમ કહીને કમલેશ કશ્યપને ત્યાં લઇ ગયા બાદ મોઢા પર માસ્ક પહેરેલ અજાણ્યો માણસ કે જેનું નામ રોયલ પરમાર જણાવ્યુ હતુ તેને ૧ લાખ ૩૦ હજાર રોકડા આપ્યા હતા. અને વીરપુરથી તેઓ પરત આવ્યા બાદ કમલેશે એવુ જણાવ્યુ હતુ કે, ‘તમારા દીકરાનો સરકારી નોકરીનો ઓર્ડર થોડા દિવસોમાં આવી જશે.

પરંતુ ઘણા દિવસો વીતી જવા છતાં કમલેશનો ફોન આવ્યો ન હતો અને નોકરીનો ઓર્ડર પણ આવ્યો ન હતો. કશ્યપને અભ્યાસ ચાલુ હોવાથી તે ગાંધીનગર જતો રહ્યો હતો. ત્યારબાદ કમલેશનો સંપર્ક થતા તેણે એવુ જણાવ્યુ હતુ કે તમારા દીકરા કશ્યપને પોરબંદર બોલાવી લો’ આથી હંસાબેને તેમના પુત્ર કશ્યપને અભ્યાસ અધૂરો મુકીને ગાંધીનગરથી પોરબંદર તેડાવી લીધો હતો. ત્યારબાદ કમલેશ શીંગરખીયા અવારનવાર બહાના કાઢીને કટકે-કટકે ૭૦ હજાર રૂપિયા લઈ ગયો હતો. આમ કુલ બે લાખ રૂપિયા હંસાબેન વાંદરીયા પાસેથી લઇ ગયા બાદ પણ હજુ સુધી કોઈ નોકરી અપાવી ન હતી.

એકાદ વર્ષ પહેલા તેમના સંબંધી કૃપેશભાઈ વિપુલભાઈ લોઢારીએ પણ જણાવ્યુહતુ કે આ કમલેશ કારા શીંગરખીયા રેલ્વેમાં સુપરવાઇઝર તરીકે નોકરી અપાવવા પહેલા દોઢ લાખ અને પછી કટકે-કટકે એક લાખ જેવી રકમ મળી કુલ અઢીલાખ જેવી રકમ લઇ ગયો હતો. અને ત્યારબાદ ડોકયુમેન્ટ મેળવી લીધા પછી હજુ સુધી નોકરી અપાવી ન હતી અને કૃપેશભાઇએ કમલેશભાઈને મળતા ‘હું અનુસૂચિત જાતિનો માણસ છુ એટલે જો તું હવે મને ફોન કરીશ કે પૈસાની માંગણી કરીશ તો એટ્રોસીટીના ખોટા કેસમાં ફસાવી દઇશ’ તેવી ધમકી આપી હતી.

હંસાબેન ઉમેશભાઈ વાંદરીયાએ આ મુદ્દે તપાસ કરતા એવુ જાણવા મળ્યુ હતુ કે તેઓ જયાં રહે છે તેની પાછળ શિક્ષક કોલોનીમાં રહેતા જગદેવભાઈ માવજીભાઈ મસાણીના દીકરા અને દીકરીને નોકરીઅપાવવાના બહાને એક લાખ રૂપિયા જેવી રકમ લઈ ગયો હતો. મુંદ્રા કચ્છના સમા ઘોઘા ગામે રહેતા ભાવિન શૈલેશ મકવાણાને પણ નોકરી અપાવવાના બહાને ત્રણ લાખ રૂપિયા મેળવી લીધા હતા પરંતુ ત્યારબાદ હજુ સુધી કોઈને નોકરી પણ મળી નથી અને પૈસા પણ પરત આપ્યા નથી.

છેતરપીંડીનો ભોગ બનેલાએ તપાસ કરતા એવુ જાણવા મળ્યુ હતુ કે કમલેશ કારા સીંગરખીયા તથા જેને જુનાગઢ મળવા ગયા હતા તે અસ્મિતા ભરત જોષી પોરબંદરના છાયા વિસ્તારમાંજ રહેતી હતી અને વીરપુર જેને મળવા ગયા હતા તે રોયલ પરમાર જેનુ સાચુ નામ ઓમ ભરત જોષી છે તે અસ્મિતાનો જ પુત્ર છે તેવુ જાણવા મળ્યુ હતુ. આથી અંતે હંસાબેન ઉમેશ વાંદરીયાએ છાયાના કમલેશ કારા શીંગરખીયા, અસ્મિતાબેન ભરત જોષી અને ઓમ ભરત જોષી સામે સાડા આઠ લાખ રૂપિયાની છેતરપીંડી કર્યાનો ગુન્હો દાખલ કરાવ્યો છે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે