દરિયાઇ પ્રદૂષણ વધી રહ્યું છે. તે સિવાય પણ અન્ય અનેક કારણોને લીધે પોરબંદરનો માછીમારી ઉદ્યોગ મરણપથારીએ પહોંચી ગયો છે. તેથી માછીમારોને વધુ માછલા પકડવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવા સમજ આપવામાં આવી હતી.
પોરબંદર ખાતે ફિશરીઝ વિભાગ અને રીલાયન્સ ફાઉન્ડેશન ઇન્ફોર્મેશન સર્વિસીઝનાં સંયુકત ઉપક્રમે બોટ એસોસીએશન ઓફિસમાં માચ્છીમારોને મત્સ્ય કેચ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ગુજરાતમાં ૧૬૦૦ કિ.મી. લાંબો દરિયાકિનારો ધરાવતા મત્સ્યોદ્યોગ અનેક લોકોને રોજગારી પૂરી પાડીને સરકારને કરોડો રૂપિયાનું હૂંડિયામણ રડી આપે છે. છેલ્લા કેટલાક સમયથી ડીઝલનાં વધતા જતા ભાવ અને માછલીની ઓછી કેચ તેમજ માછલીના પૂરતાં ભાવ નહીં મળતા હોવાથી આવી સ્થિતિમાં માચ્છીમારોની આર્થિક પરિસ્થિતિ ખૂબજ દયનીય હાલતમાં છે.
ત્યારે માચ્છીમારોની હાલની પરિસ્થિતિને ધ્યાને લઈને નવા પરિવર્તન માટે સાગરખેડૂને પણ દરિયામાં પી.એફ.ઝેડ (પોટેન્સીયલ ફિશીંગ ઝોન)ના આધારે સારી મચ્છીની કેચ જી.પી.એસ. દ્વારા મળે અને દરિયામાં માચ્છીમારી કરી રહેલ સાગરખેડૂને હવામાન અંગે ડાયરેકટ માહિતી મળી રહે તે માટે રીલાયન્સ ફાઉન્ડેશન ઇન્ફોર્મેશન સર્વિસીઝ વેરાવળના થેમેટીક એકસપર્ટ અમિતભાઇ મસાણી અને પોરબંદરના આસી. સુપ્રીટેન્ડેન્ટ ઓફ ફિશરીઝ ડો. પરવેઝ દ્વારા સાગરખેડૂને જાણકારી આપવામાં આવી છે. અને આવતા દિવસોમાં ટ્રોલીંગ ફિશીંગના બદલે હુક (વાધા) ફિશીંગ, કેજ ફિશીંગ, જાળ જેવી ફિશીંગમાં માચ્છીમારો આગળ વધે તેવું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં માચ્છીમાર બોટ એસોસીએશનના પ્રમુખ મુકેશભાઇ પાંજરી તેમજ કમિટિ સભ્યો, બોટ એસો. પૂર્વ પ્રમુખ નરશીભાઇ જુંગી, પૂર્વ વાણોટ સુનિલભાઈ ગોહેલ, સપ્લાયર્સ એસો.પ્રમુખ હર્ષિતભાઇ શિયાળ અને માચ્છીમારોએ હાજરી આપી હતી.

