પોરબંદર જિલ્લામાં અનેક સ્કૂલબસો અત્યંત ભંગાર હાલતમાં દોડી રહી હોવાથી અકસ્માત સર્જાય તો વિદ્યાર્થીઓના જીવ ઉપર જોખમ થઇ શકે તેમ હોવાનું જણાવી શાળા સંચાલક મંડળ દ્વારા લેખિત રજૂઆત કરાઈ છે.
અખિલ ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળ સંલગ્ન પોરબંદર જિલ્લા શાળા સંચાલક મંડળના મહામંત્રી કરશનભાઈ ઝેડ. મોઢાએ વાહનવ્યવહારમંત્રી સહિત પોરબંદરના કલેકટર, રાજ્યના રોડ સેફટી કમિશ્નર વગેરેને લેખિત ફરિયાદ કરી આક્ષેપ સાથે જણાવ્યુ છે કે પોરબંદર આર.ટી.ઓ. કચેરી દ્વારા સ્કૂલ બસોના પાસીંગ કરવામાં આવે છે. તેમાં રાજય સરકાર અને વાહન વ્યવહાર વિભાગ દ્વારા વખતોવખત થયેલ સુચનાઓનું પાલન કર્યા વગર વાહન પાર્સીંગ (જુનાવાહનો) કરવામાં આવે છે.
આ બાબતે આપને ધ્યાન દોરવા માંગુ છું કે પોરબંદર જિલ્લામાં ઘણી બધી શાળાઓ આવેલ છે. જેમાં શાળાના વિદ્યાર્થીઓની સંખ્યા કરતા શાળાઓ પાસે નિયત કરતા વધુ બસો ધરાવે છે. જેમાં ૩૦% થી વધુ સ્કૂલ બસો, સ્કૂલ વાહનો સાવ ભંગાર હાલતમાં છે. રાજ્ય સરકારના સરકારી વાહનો ૧૫ વર્ષ કે નિયત કરેલ કિલોમીટર પૂરા થાય તો તેને રોડ પર ચલાવવાની મંજૂરી આપવામાં આવતી નથી પરંતુ ૧૫ વર્ષ કે જુના નિયત થયેલ કિલોમીટરનો વપરાશ થયેલ સ્કૂલ બસો, સ્કૂલવાહનો આર.ટી.ઓ. કચેરી દ્વારા પોતાના વચેટીયા અજન્ટો મારફત ભ્રષ્ટાચાર કરી આવી ખરાબ ભંગાર બસોનું પાર્સીંગ કરી આપવામાં આવે છે. તેમાં દેશના ભવિષ્યને ૨૫ થી ૬૦ કિ.મી. આશરે સ્કૂલ રૂટ મુસાફરી અભ્યાસ અર્થે કરવામાં આવે છે. જે બાળકો બીચારા નિર્દોષ હોય, અકસ્માતનો ભોગ બને છે. આવા વાહનો ચાલી શકે કે ભંગાર ખરાબ છે. લાઇટો, બ્રેક્લાઇટો, બાળકોને બેસવાની સીટો વગેરે આવા સ્કૂલ વાહનમાં વિદ્યાર્થી સુરક્ષિત છે કે કેમ? એ પણ ચકાસવામાં આવતુ નથી.
આવી એક બસ પાસિંગ કરવાના તેમના વચેટીયા એજન્ટો મારફત રૂા. ૩૦૦૦ થી રૂા. ૫૦૦૦ સુધીના ઉઘરાણા કરવામાં આવે છે. તે જ રીતે સ્કૂલવાહનો ચલાવવા (પરવાનો) પરમીટ આપવામાં આવે છે. આથી મારી આપને અરજ છેકે આવી ભંગાર, ખરાબ, સ્કૂલ વાહનોનું પાસીંગ આર.ટી.ઓ. અધિકારી દ્વારા આપવામાં આવેલ તેને રદ કરવામાં આવે તેમજ આવા અધિકારીઓને વિરુધ્ધ સસ્પેન્ડ સુધીના પગલા ભરવામાં આવે તેવી માંગ કરી છે.