આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ઉર્જા અને પેટ્રોકેમિકલ વિભાગ ગુજરાત અને ભારત સરકારના વિદ્યુત મંત્રાલય દ્વારા પોરબંદર ખાતે વીજળી મહોત્સવનું આયોજન કરાયું હતું. જે અંતર્ગત પોરબંદરના બિરલા હોલ ખાતે ઉજ્જવલ ભારત, ઉજ્જવલ ભવિષ્ય હેઠળ વીજળી મહોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વીજ ઉત્પાદનની ક્ષમતા તથા પાવર સેક્ટરની મુખ્ય સિધ્ધિઓને પ્રકાશિત કરવાની સાથે વર્ષ ૨૦૪૭ ના લક્ષ્યાંક વિશે વિડિયો પ્રદર્શન યોજવાની સાથે વીજ ઉત્પાદન અને વીજ બચત થાય તે હેતુથી માહિતી અને મનોરંજનમાં નાટક પણ યોજવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા જિલ્લા કલેકટર અશોક શર્માએ જણાવ્યું હતું કે, એક સમયે રાત્રે વીજળીના સ્ત્રોત તરીકે કેરોસીનના દિવા, ફાનસ કે મીણબત્તીનો ઉપયોગ થતો હતો. અત્યારે ૨૪ કલાક વીજળી ગામે ગામ મળી રહી છે. દેશને ઝળહળતો રાખવા માટે ઉર્જા કર્મીઓનું યોગદાન અનેરું છે. આ તકે કલેકટર અશોક શર્માએ ઉર્જા કર્મીઓને અપીલ પણ કરી હતી કે સ્કૂલ, કોલેજ, સંસ્થાઓ સહિત સ્થળોએ વીજ બચતની માહિતી પૂરી પાડી લોકો વીજળીનું મહત્વ સમજે તે માટે વધુ પ્રયત્નશીલ રહેવા અપીલ કરી જણાવ્યું કે એક યુનિટ વીજળી બચાવવી એ એક યુનિટ વીજળીનું ઉત્પાદન કરવા બરાબર છે. તથા ઊર્જાનો બચતનો પ્રચાર પ્રસાર કરવા પણ જણાવી ચાલુ વરસાદમાં પણ સતત ફરજ બજાવતા વીજ કર્મીઓની સેવાઓને બિરદાવી હતી.
આ તકે ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયાએ કહ્યું કે, વીજળીના ઉત્પાદનમાં ભારતે છેલ્લા આઠ વર્ષમાં અનન્ય સિદ્ધિ મેળવી છે, તથા દેશના જે ગામડાઓમા વીજળી નતી ત્યાં વીજળી પહોંચાડી છે. ગામડાઓમાં ૩ફેઝ વીજળી ૨૪ કલાક આપનાર ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું છે. આ તકે ધારાસભ્યએ વૃક્ષનું મહત્વ પણ સમજાવી દરેક વ્યક્તિ વૃક્ષ વાવવા નિર્ધાર કરે તેવી અપીલ પણ કરી હતી. પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના નોડલ ઓફિસર હાર્દિક ભાઈ કલસારિયાએ સ્વાગત પ્રવચનમાં કાર્યક્રમની રૂપરેખા આપી હતી.
આ તકે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતિ મંજુબેન કારાવદરા, ઉપ પ્રમુખ ગોપાલભાઈ કોઠારી, નગરપાલિકાના પ્રમુખ સરજુભાઈ કારિયા, કાર્યપાલક ઇજનેરો, તાલુકા પંચાયતના પ્રમુખ પ્રતાપભાઈ કેશવાલા સહિત અન્ય મહાનુભાવો, પી.જી.વિ.સી.એલ.નો સ્ટાફ સહિત શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની આભારવિધિ સુપ્રિટેન્ડેન્ટ ઇજનેર ડી.બી કોડિયાતરે કરી કર્મચારીઓની કામગીરીને બિરદાવી હતી. તથા કાર્યક્રમનું સંચાલન મિલનભાઈ પોટાએ કર્યું હતું.

