Friday, August 1, 2025

|| तुम रक्षक काहू को डरना ||

બરડા માં સિંહો ની સંખ્યા માં ધરખમ વધારો:વાંચો આ ખાસ અહેવાલ

પોરબંદર ના બરડા ડુંગર માં પણ ૧૭ સિંહો ની ડણક સંભળાઈ રહી છે તાજેતર માં સિંહ ની વસ્તી ગણતરી બાદ આંકડા જાહેર થયા છે જેમાં પોરબંદર ને લગત બરડા માં ૧૬ અને દેવભુમી દ્વારકા લગત બરડા ડુંગર માં એક સિંહ નોંધાયો છે જેના પગલે સિંહપ્રેમીઓ માં ખુશી જોવા મળે છે.

પોરબંદર ના બરડા ડુંગર વિસ્તારમાં 143 વર્ષ પહેલાં સિંહ વસવાટ કરતા હોવાનું મનાય છે પરંતુ ત્યાર બાદ કોઈ કારણો સર આ વિસ્તારમાંથી સિંહ લુપ્ત થઈ ગયા હતા. 143 વર્ષ પછી આશરે 3-5 વર્ષનો યુવા નર સિંહ 18 જાન્યુઆરી, 2023ના રોજ બરડા વન્યજીવ અભયારણ્યમાં કુદરતી રીતે આવી ગયો હતો.અને ત્યાં કાયમી વસવાટ કર્યો હતો તેના સંગાથ માટે વન વિભાગે ૫ સિંહણ પણ છૂટી મૂકી હતી અને સૌ પ્રથમ એક સિંહણએ ૨ બચ્ચા ને જન્મ આપ્યો હતો અને તે રીતે બરડા માં પણ સિંહ પરિવાર વધતો ગયો અને અત્યારે તે આંકડો ૧૭ સુધી પહોંચ્યો છે.

આર એફ ઓ મલયભાઇ મણીયારે માહિતી આપતા જણાવ્યું હતું કે સિંહો ને બરડો સંપૂર્ણ માફક આવી ગયો છે અહી સારી સંખ્યામાં રોઝ અને જંગલી ભૂંડ છે, જે પણ સિંહના કુદરતી આહારનો ભાગ છે.આથી ખોરાક અને પાણીની પુરતી વ્યવસ્થા હોવાથી સિંહ- સિંહણ ને પુરતો ખોરાક મળી શકે છે.અને બિનજરૂરી ખલેલ પણ ન હોવાથી સાવજો અહી ખુશ છે સિંહ વસ્તી ગણતરી માં આ વખતે પોરબંદર જીલ્લા ને આવરી લેવામાં આવ્યો હતો અને ગણતરી પૂર્ણ થયા બાદ આજે આંકડા જાહેર થયા છે જેમાં પોરબંદર લગત બરડા ડુંગર માં ૧૬ સિંહ અને દેવભૂમિ દ્વારકા જીલ્લા માં આવેલ ભાણવડ નજીક ના બરડા ડુંગર માં એક સિંહ નોંધાયો છે ૨૦૨૩ માં એક સિંહ ના આગમન બાદ બે વર્ષ માં જ આંકડો ૧૭ એ પહોંચ્યો છે જેના લીધે સિંહપ્રેમી માં પણ ખુશી જોવા મળે છે. બીજી તરફએશિયાટિક લાયન ના જતન અને સંવર્ધન માટે બનાવવામાં આવેલ લાયન જીનપુલ સેન્ટર માં પણ હાલ ૮ સિંહો વસવાટ કરી રહ્યા છે આમ બરડા જંગલ ના સિંહો નો કુલ આંક તો ૨૫ થવા જાય છે.

સિંહ સંરક્ષણ અને સંવર્ધન માટે અનેક કામગીરી

આર એફ ઓ મણીયારે જણાવ્યું હતું કે પોરબંદર વન વિભાગ હેઠળ આવેલ બરડા અભયારણ્ય વિસ્તારમાં સિંહોની સંખ્યા નર-૦૧, માદા-૦૫, પાઠડા-૦૨, તથા બચ્ચા-૦૯ એમ મળીને કુલ ૧૭ સિંહનો પરિવાર બરડા અભયારણ્યનાં જંગલ ભાગમાં મુક્ત રીતે વિચરી રહ્યો છે. ૧૪૩ વર્ષ બાદ તા.૧૮/૦૧/૨૦૨૩ના સિંહે કુદરતી આગમન કરતા વન વિભાગ દ્વારા સિંહ સંરક્ષણ અને સંવર્ધન માટે વિવિધ કાર્યો હાથ ધરવામાં આવ્યા હતા જેમાં ૮૬ જેટલા કૃત્રિમ પાણીના પોઈન્ટ આવ્યા છે, ૧૦૦૦ હેક્ટર વિસ્તારમાં વન્યજીવ રહેઠાણનાં સુધારણાનાં કામો કરવામાં આવ્યા હતા જેમાં સિંહનાં મોનીટરીંગ માટે ૧૨ ટ્રેકરો, ૧ વેટરનરી ડોક્ટર તથા ૨ લાઈવ સ્ટોક ઈન્સ્પેકટરની ભરતી કરવામાં આવી હતી.

૩૦૦ થી વધુ ચિતલ ને મુક્ત કરાયા
તૃણાહારી પ્રાણીઓની સંખ્યા વધારવા હર્બીવોર ટ્રાન્સલોકેશન પ્રોગ્રામ હેઠળ ગીરનાં જંગલ વિસ્તારમાંથી બરડા અભયારણ્ય જંગલ ભાગમાં તબક્કાવાર કુલ ૩૦૦ થી વધુ ચિત્તલોને હાલ મુક્ત કરવામાં આવ્યા છે. તેમજ બરડા અભયારણ્ય વિસ્તારમાં સાંભર અને ચિત્તલ બ્રિડિંગ સેન્ટર પણ છે. જેમાંથી પણ તૃણાહારી પ્રાણીઓને સમયાંતરે બરડા અભયારણ્ય જંગલ ભાગમાં મુક્ત કરવામાં આવે છે.વન્યપ્રાણીઓના રક્ષણ માટે રેવન્યુ વિસ્તારમાં ખુલ્લા કુવાને ફરતે પેરાપેટ વોલ તથા ખેડૂતભાઈઓ માટે મંચાણ બનાવી આપવામાં આવે છે. તથા વન્યપ્રાણીઓ વિશે વધુ માહિતગાર થાય તે માટે વિવિધ અવેરનેસ પ્રોગ્રામ કરવામાં આવે છે. આમ, વિવિધ સંરક્ષણનાં પ્રયાસો અને જન ભાગીદારીથી આજે બરડા અભયારણ્ય સિંહોનાં બીજા ઘર તરીકે પુનઃસ્થાપિત થઈ રહ્યું છે.

સમગ્ર રાજ્ય ના સિંહ વસ્તી ગણતરી ના આંકડા મુખ્યમંત્રી દ્વારા કરાયા જાહેર

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં યોજવામાં આવેલી ૧૬મી સિંહ વસ્તી અંદાજના આંકડાઓની ગૌરવપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું કે, રાજ્યમાં સિંહોની સંખ્યા ૮૯૧ની થઈ છે.

આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ વધુ વિગતો આપતા કહ્યું કે, ૧૯૬ નર, ૩૩૦ માદા તથા પાઠડા અને બાળ સિંહ મળીને સમગ્રતયા ૮૯૧ સિહોની સંખ્યા આ ૧૬મી વસ્તી અંદાજના આંકડાઓમાં સામે આવી છે.

રાજ્ય સરકારના વન વિભાગ દ્વારા દર પાંચ વર્ષે ડાયરેકટ બીટ વેરિફિકેશન એટલે કે બ્લોક કાઉન્ટ પદ્ધતિથી સિંહની વસ્તી અંદાજની કામગીરી હાથ ધરવામાં આવે છે. આ વર્ષે તારીખ ૧૦ થી ૧૩ મે દરમિયાન ૧૧ જિલ્લાના ૫૮ તાલુકાના ૩૫ હજાર ચોરસ કિ.મી વિસ્તારમાં વનકર્મીઓ અને સરપંચો, ગ્રામજનો સહિત ૩૮૫૪નું માનવ બળ આ કામગીરીમાં જોડાયું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ વસ્તી અંદાજોના આંકડાઓની જાહેરાત કરી તે અવસરે વન મંત્રી મુળુભાઈ બેરા, રાજ્ય મંત્રી મુકેશ પટેલ, મુખ્ય સચિવ પંકજ જોષી, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ પણ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તત્કાલીન મુખ્યમંત્રી તરીકે રાજ્યમાં સિંહ વસ્તી અંદાજની અગાઉની પરંપરાગત પદ્ધતિને બદલીને ટોટલ કાઉન્ટ બાય ડાયરેક્ટ સાઈટિંગ એટ બ્લોક સિસ્ટમ પદ્ધતિ કરાવી હતી. તેમણે કહ્યું કે, વડાપ્રધાનએ ૭૪માં સ્વતંત્રતા દિવસે સિંહોના લાંબાગાળાના સંરક્ષણ અને સંવર્ધન માટે પ્રોજેક્ટ લાયનની કરેલી જાહેરાત અન્વયે તાજેતરમાં નેશનલ વાઇલ્ડ લાઇફ બોર્ડની ગુજરાતમાં યોજાયેલી બેઠકમાં પ્રોજેક્ટ લાયન ૨૦૪૭ના ભવિષ્યલક્ષી આયોજન અંગે પણ માર્ગદર્શન આપ્યું હતું. સિંહ જતન, સંવર્ધન અને સંરક્ષણ માટે વડાપ્રધાનશ્રીની પ્રતિબદ્ધતા આ પ્રોજેક્ટ લાયન ૨૦૪૭ વધુ સંગીન રીતે સાકાર કરશે તેવો વિશ્વાસ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દર્શાવ્યો હતો.

મુખ્યમંત્રીએ સ્પષ્ટ પણે ઉમેર્યું કે, ભૌગોલિક પરિસ્થિતિ અને આબોહવાની દ્રષ્ટિએ જ નહીં વન્ય પ્રાણી સંરક્ષણના સરકારના કાળજીભર્યા સાતત્યપૂર્ણ અભિગમથી જ સિંહનું સંખ્યાબળ ઉત્તરોત્તર વધ્યું છે. તેમણે આ અંગેની વધુ વિગતો આપતા કહ્યું કે, ૨૦૦૧માં સિંહની સંખ્યા ૩૨૭, ૨૦૦૫માં ૩૫૯, ૨૦૧૦માં ૪૧૧, ૨૦૧૫માં ૫૨૩ અને ૨૦૨૦માં ૬૭૪ હતી તે હવે વધીને ૮૯૧ થઈ છે.

મુખ્યમંત્રીએ સિંહની વસ્તીના અંદાજો મેળવવામાં જે મોર્ડન ટેકનોલોજીનો વિનિયોગ કરવામાં આવ્યો છે તેની વિસ્તૃત ભૂમિકા પણ આપી હતી. વ્યક્તિગત ઓળખમાં મદદ થાય તે હેતુથી ફોટોગ્રાફ્સ લેવા માટે ડિજિટલ કેમેરા, કેમેરા ટ્રેપ્સ જેવા વિવિધ ટેકનોલોજીકલ સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અમુક સિંહોને રેડિયો કોલર પણ પહેરાવવામાં આવ્યા હતા જેથી તે સિંહ તેમજ તેના ગૃપનુ લોકેશન મેળવવામાં મદદ મળી હતી.

આ ઉપરાંત, e-gujforest એપ્લીકેશન સિંહ અવલોકનના રિયલ ટાઇમ ડેટા એન્ટ્રી કરવામાં મદદરૂપ થઈ હતી. જેમાં જીપીએસ લોકેશન અને ફોટાનો સમાવેશ થવાથી ચોકસાઇ અને કાર્યક્ષમતામાં વધારો થયો હતો. જીઆઈએસ સોફ્ટવેરનો ઉપયોગ સર્વેક્ષણ વિસ્તારોને રેખાંકિત કરવા અને સિંહોની હિલચાલ, વિતરણ પેટર્ન અને રહેઠાણના ઉપયોગને ટ્રેક કરવા માટે વિગતવાર નકશા વિકસાવવા માટે કરવામાં આવ્યો હતો. જરૂર જણાય ફોટાનો ઉપયોગ કરી સિંહોની વ્યક્તિગત ઓળખ કરી શકતા AI આધારિત સોફ્ટવેરનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.

પ્રારંભમાં વન અને પર્યાવરણ અગ્ર સચિવ સંજીવ કુમારે વન વિભાગ દ્વારા સિંહની વસ્તી અંદાજો માટે જે ત્રિસ્તરીય કાઉન્ટ પદ્ધતિથી ડેટા એનાલિસિસ અને રિયલ લાયન ટ્રેકિંગ કર્યુ છે તેની વિગતો આપી હતી.આ પ્રસંગે અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ધ ફોરેસ્ટ ફોર્સ ડૉ. એ.પી.સિંઘ, અગ્ર મુખ્ય વન સંરક્ષણ ડૉ. જયપાલસિંહ અને વન વિભાગના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે