પોરબંદર સહીત ગુજરાતના સોળસો કિલોમીટર લાંબા દરિયા કિનારે મત્સ્યોદ્યોગ વિભાગમાં અનેક અધિકારીઓ અને કર્મચારીઓની જગ્યાઓ ખાલી છે જેના કારણે કામગીરીમાં મોટો વિક્ષેપ પડી રહ્યો છે અને માછીમારો ને મુશ્કેલી પડી રહી છે ત્યારે ગુજરાત ફિશરીઝ વિદ્યાર્થી એસો. દ્વારા કેબિનેટ મંત્રીઓ અને કમિશ્નરની રૂબરૂ મુલાકાત લઈને આ અંગેની વિસ્તૃત રજૂઆત કરવામાં આવી હતી.
ફિશરીઝ વિદ્યાર્થીઓના પડતર પ્રશ્નો અંગે ગુજરાત ફિશરીઝ વિદ્યાર્થી એસોસિએશનના પ્રમુખ ધવલભાઈ જુંગીની આગેવાની હેઠળની કેબિનેટ ટીમ મંત્રીઓ તથા કમિશ્નરની મુલાકાત કરવામાં આવી હતી.ગુજરાત રાજયની સૌપ્રથમ એવી ફિશરીઝ કોલેજની સ્થાપના રાજ્ય સરકાર દ્વારા વેરાવળ (જી. ગીર- સોમનાથ) ખાતે વર્ષ ૧૯૯૧-૯૨માં કરવામાં આવેલ. ત્યારબાદ વિદ્યાર્થી અને માછીમાર સમાજની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને અન્ય બે કોલેજ નવસારી અને હિંમતનગર ખાતે શરૂ કરવામાં આવી કે જે માછીમાર સમાજ, સંગઠનો તથા મત્સ્યોદ્યોગ સાથે ગાઢ રીતે સંકળાયેલ છે. આ કોલેજમાં સ્નાતક, અનુસ્નાતક અને પીએચ.ડી સુધી નો અભ્યાસ ક્રમ ચાલે છે.
કોલેજના સ્થાપના કાળથી હાલ સુધીમાં કુલ ૬૭૭ વિદ્યાર્થીઓએ મત્સ્ય વિજ્ઞાનમાં સ્નાતક, ૧૬૮ વિદ્યાર્થીઓએ અનુસ્નાતક અને ૩૩ વિદ્યાર્થીઓએ પીએચ.ડી. ની પદવી પ્રાપ્ત કરેલ છે. હાલમાં કોલેજમાં પ્રતિ વર્ષ સ્નાતક કક્ષાએ ૭૫ તથા અનુસ્નાતક અને પીએચ.ડી. કક્ષાએ અનુક્રમે ૩૦ અને ૧૦ જેટલા વિદ્યાર્થીઓની ઇન્ટેક છે, જે મુજબ હાલ કોલેજમાં આશરે ૩૫૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહેલ છે. ગુજરાત એ ભારત દેશનો સૌથી લાંબો ૧૬૦૦ કિ.મી. દરિયાકિનારો ધરાવતું રાજ્ય છે જ્યાં સંપૂર્ણ દરિયાઇ પટ્ટીનો વિસ્તાર માછીમારી ઉદ્યોગ પર નભેલ છે અને માછીમારી ઉદ્યોગનું સંપૂર્ણ કામકાજ ફિશરીઝ વિભાગની કચેરી પર આધારિત છે.
જેમ કે વેપારી માટે લાયસન્સ, બોટોના લાઇસન્સ કોલ વેરીફીકેશન, ડીઝલ કાર્ડ,સબસિડી વગેરે કામ આ ઓફિસ અને તેના વહીવટી અધિકારી એટલે ફિશરીઝ ઓફિસર પર આધાર રાખે છે પરંતુ છેલ્લા ૩ વર્ષ થી સંપૂર્ણ ગુજરાતના ફિશરીઝ વિભાગમાં મત્સ્યઉદ્યોગ વિભાગની ફિશરીઝ ઓફિસરની પોસ્ટ સંપૂર્ણ ખાલી છે અને તેમનું કામકાજ માત્ર ગાર્ડ
દ્વારા ચલાવવામાં આવે છે, જેથી માચ્છીમારોને હાલાકી ભોગવવી પડે છે અને ઉપરોકત કામ માટે નાછુટકે મુખ્ય ફીશરીઝ કચેરીના ધક્કા ખાવા પડે છે અને ત્યાં પણ કોઈ અધિકારી હાજર ન હોવાથી માચ્છીમારો ને ભારે મુશ્કેલીઓ નો સામનો કરવો પડે છે.છેલ્લે ૨૦૧૭માં ભરતી થઇ હતી અને હાલમાં રાજ્યમાં મત્સ્યોદ્યોગ અધિકારી (૧૦૦), મત્સ્યોદ્યોગના મદદનીશ અધિક્ષકની (૯૦ જગ્યાઓ), મદદનીશ મત્સ્યઉદ્યોગ નિયામકની (૧૦ જગ્યા) અને મત્સ્યોદ્યોગ અધિક્ષકની (૩૦ જગ્યાઓ) ખાલી છે.
એકવાકલ્ચર અને આંતરદેશીય મત્સ્યોદ્યોગના મહત્તમ વિકાસ માટે, દરિયાઈ મત્સ્યોદ્યોગ સંસાધનોનું સંચાલન કરવા, વિવિધ મત્સ્યોદ્યોગ સ્કીમનું ગામડાનાં સ્તર સુધી અમલીકરણ અને દેખરેખ, પ્રોસેસિંગ ક્ષેત્રમાં માછલી નિકાસની ગુણવત્તા વધારવા માટે ઉપરોક્ત હોદ્દાની જગ્યાઓ જરૂરી સમયાંતરે ભરવી જોઈએ. મત્સ્યોદ્યોગ વ્યવસાયિકો મત્સ્યોદ્યોગ ક્ષેત્રના વિવિધ પાસાઓનાં સાતત્ય વિકાસ માટે આવશ્યક ભૂમિકા ભજવી છે. આ માટે ગુજરાત ફિશરીઝ વિદ્યાર્થી એસોસીએશન વતી ફિશરીઝ વિદ્યાર્થીઓના પડતર પ્રશ્નો અંગે ગુજરાત ફિશરીઝ વિદ્યાર્થી એસોસિએશનના પ્રમુખ ધવલભાઈ જુંગીની આગેવાની હેઠળ સમગ્ર ગુજરાત ફિશરીઝ વિદ્યાર્થી એસોસિએશનની કેબિનેટ ટીમ દ્વારા કૃષિ અને મત્સ્યોદ્યોગના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ, મત્સ્યોદ્યોગ ના રાજ્યકક્ષાના મંત્રી પરષોત્તમભાઈ સોલંકી તથા મત્સ્યઉદ્યોગ કમિશ્નર નિતિન સાંગવાન સાથે ગાંધીનગર ખાતે મુલાકાત કરવામાં આવી હતી
આ મુલાકાત દરમિયાન મંત્રીઓ તેમજ કમિશ્રનર સમક્ષ વિદ્યાર્થીઓ ના ઉદભવતા તમામ પ્રશ્નો જેવાકે, ભરતી, ભરતી પ્રક્રિયામાં લઘુતમ માપદંડ તરીકે ફક્ત બી.એફ.એસ. સી. તથા તમામ વર્ગની ભરતીમાં ન્યૂનતમ પાત્રતા તરીકે ફક્ત સ્નાતક ડિગ્રી વગેરે બાબતે રજુઆત કરવામાં આવી હતી .ઉપરાંત જેતપુર નું કેમિકલ યુક્ત પાણી દરિયામાં ઠાલવવા ની યોજના રદ કરવા પણ રજૂઆત કરી હતી આ તકે, બંને મંત્રીઓ તેમજ કમિશ્નરે ખાતરી આપી છે કે તે તમામ બાબત ઉપર જરૂર ધ્યાન દોરશે અને જરૂરી પગલાં લેશે. આ પ્રકારની મુલાકાત ગુજરાત ફિશરીઝ કોલેજના વિદ્યાર્થીઓના ઇતિહાસમાં સૌ પ્રથમ કહી શકાય. રાજ્ય કક્ષાએ ગુજરાત ફિશરીઝ વિદ્યાર્થી એસોસિએશન સંગઠનનું આવું અદભુત પ્રતિનિધિત્વ સમગ્ર ફિશરીઝ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ લાભદાયક અને પ્રગતિવાન છે.
