પોરબંદર ખાતે લેન્ડ ગ્રેબિંગ કમિટી ની બેઠક માં ૬ સ્થળો એ થયેલ પેશકદમી માં પોલીસ ફરિયાદ દાખલ કરવા નિર્ણય લેવાયો છે. જયારે ૬ સ્થળો એ દબાણકારો એ સ્વેચ્છા એ પોતાનું દબાણ દુર કર્યું છે.
તા ૩૦ના રોજ પોરબંદર ખાતે કલેકટર અશોક શર્મા ની અધ્યક્ષતા માં ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ-૨૦૨૦ ની સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં સમિતિ સમક્ષ કુલ ૨૨ દરખાસ્તો તપાસ પૂર્ણ કરી રજૂ કરવામાં આવી હતી . જે પૈકી સરકારી જમીન પર ૧ અરજીમાં તથા ખાનગી જમીન પર પ મળી કુલ ૬ અરજીમાં જમીન પચાવી પાડનારા સામે પોલીસ ફરિયાદ દાખલ કરવા નિર્ણય કરવામાં આવ્યો છે.
સરકારી જમીન પર ૧ કેસમાં ૨૩૬૮ ચો મી જમીન કે જેની જંત્રી મુજબની કિંમત રૂ.૨૦.૪૩ લાખની જમીન પર એક શખ્સ દ્વારા ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું હોવાથી તેની સામે પોલીસ ફરિયાદ દાખલ કરવા જાણ કરવામાં આવી છે. તેમજ ખાનગી જમીન પર ૫ કેસમાં ૧૯૧૪૦ ચોમી જમીન પર ૧ર શખ્સો દ્વારા ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું છે. જે બાબતે અરજદારને પોલીસ ફરિયાદ દાખલ કરવા જાણ કરાઈ છે.
ઉપરાંત સરકારી જમીન પર ૩ કેસમાં ૨૧૪૯૭ ચોમી જમીન કે જેની જંત્રી મુજબ અંદાજિત કિંમત ૨૯.૮૯ લાખ ની જમીન પર ૧૪ શખ્સો દ્વારા કરવામાં આવેલ ગેરકાયદેસર દબાણ તપાસ શરૂ થતાની સાથે જ સ્વેચ્છા એ ખુલ્લુ કરવામાં આવ્યું છે. તથા ખાનગી જમીન પર ૩ કેસમાં ૬૩૬૨ ચોમી જમીન કે જેની જંત્રી મુજબ અંદાજિત કિંમત રૂ.૨૪.૭૯ લાખની જમીન પર ૯ શખ્સો દ્વારા દબાણ કરવામાં આવ્યું હતું. જે તપાસ શરૂ થવા સાથે જ દબાણદાર દ્વારા સ્વેચ્છાએ દૂર કરવામાં આવ્યું છે. અને જમીન મૂળ ફરિયાદીને પરત મળી છે.