પોરબંદરમા ગ્રામપંચાયતની ચૂંટણી, અષાઢીબીજની રથયાત્રા તથા ચોમાસાની પરિસ્થિતિ સંદર્ભે યોગ્ય આયોજન ઘડવા જિલ્લા પોલીસવડાના અધ્યક્ષસ્થાને ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં ગંભીર ગુન્હાનો ભેદ ઉકેલનારા પોલીસકર્મીઓને પ્રશંસાપત્ર એનાયત થયા હતા.
પોરબંદર જિલ્લા પોલીસવડા ભગીરથસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને મે માસ ની ક્રાઈમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા વધુ સુદ્રઢ બનાવવા સારુ તથા ટુંક સમયમાં યોજાનાર ગ્રામ પંચાયતની ચુંટણી તથા અષાઢી બીજની રથયાત્રા તથા નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાના પ્રશ્ન સંદર્ભે તથા ટ્રાફિક નિયમન અંગે જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ શરીર સંબંધી તથા મિલ્કત સંબંધી ગુન્હાઓનું પ્રમાણ ઘટાડવા એકશન પ્લાન અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ મે માસમાં ગંભીર ગુન્હાના ભેદ ઉકેલી તથા ધાડપાડુ ગેંગને પકડી પાડવાની તથા ઘણા વર્ષથી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવાની સારી કામગીરી કરનાર પોલીસ કર્મચારીઓને પ્રોત્સાહન મળે અને ભવિષ્યમાં સારી કામગીરી કરતા રહે તે માટે પ્રોત્સાહન રૂપે પ્રશંસાપત્ર એનાયત કરી બિરદાવવામાં આવ્યા હતા.
પ્રશંસાપત્ર મેળવનાર જવાનો ના નામ
એલસીબી ના હેડ કોન્સ્ટેબલ સલીમભાઈ વજરુદીનભાઈ પઠાણ, ભૂપેન્દ્રસિંહ વાઘુભા જાડેજા તથા નટવરભાઈ દુદાભાઈ ઓડેદરાએ ૧૦ વર્ષથી નાસતા ભાગતા ગુન્હેગારોને હરીયાણા ખાતેથી શોધી કાઢયા હતા.તથા એલસીબી ના રાજેન્દ્રભાઈ ભગવાનજીભાઈ જોષી, કોન્સ્ટેબલ વીરેન્દ્રસિંહ દશરથસિંહ પરમાર વગેરેએ બગવદર પોલીસમથકની હદના શરીર સંબંધી ગુન્હાના ૫ વર્ષથી નાસતા આરોપીઓને શોધી કાઢયા હતા.એલસીબીના હેડ કોન્સ્ટેબલ હીમાંશુભાઈ વાલાભાઈ મક્કા અને નટવરભાઈ દુદાભાઇ ઓડેદરાએ સાત વર્ષથી લાલશાહીથી નાસતા ફરતા આરોપીને શોધી કાઢયા હતા. પેરોલ ફર્લો સ્કવોડના હેડ કોન્સ્ટેબલ પીયુષભાઈ રણમલભાઈ સીસોદીયા અને વજશીભાઈ માલદેભાઇ વરૂએ પ્રોહીબીશન સહિતની કલમો હેઠળ ગુન્હામાં ૭ વર્ષથી નાસતા ફરતા ૩ આરોપીઓને શોધી કાઢયા હતા. કુતિયાણા પોલીસમથકના કોન્સ્ટેબલ અક્ષયકુમાર જગતસિંહ ઝાલા અને જશવંતસિંહ રાયસિંહ મોરીએ કચ્છ-ભુજની ધાડપાડુ ગેંગ કે જે પ્રાણઘાતક હથિયારો સાથે કુતિયાણા વિસ્તારમાં ધાડ પાડવાની તૈયારી સાથે આવી હતી તેને હથિયારો સાથે પકડી પાડી હતી તેથી આ તમામ પોલીસકર્મીઓ ને જિલ્લા પોલીસવડા ભગીરથસિંહ જાડેજાના હસ્તે પ્રશંસાપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.




