બગવદર માં હાઈવે પર ખડકી દેવાયેલ ૧૫ દુકાનો તોડી પાડતા અટકાવવાના મનાઈ હુકમ ની વેપારીઓ ની માંગ કોર્ટે રદ કરી છે.
પોરબંદરના બગવદર ગામે અડવાણાં તરફ જતા હાઈ-વે ઉપર ૧૫ વેપારીઓની અલગ અલગ દુકાનો કે જે નડતરરૂપ અને પેશકદમી કરી જગ્યા ઉપર બાંધકામ કર્યું હતું. જેથી પોરબંદર તાલુકા પંચાયત કચેરી દ્વારા જગ્યા ખાલી કરી આપવા નડતરરૂપ બાંધકામ તોડી પાડી જગ્યા ચોખ્ખી કરી આપવા માટે શો-કોઝ નોટિસ વેપારીઓને આપી હતી. જેની સામે તમામ વેપારીઓએ પોરબંદરની સિવિલ કોર્ટમાં દુકાનો તોડી ન પાડવા માટેનો મનાઈહુકમ મેળવવાની માંગણી કરી હતી.
અને એવુ જણાવ્યું હતુ કે, આ તમામ જગ્યા બગવદર ગ્રામ પંચાયત હસ્તકની છે. અને ગ્રામ પંચાયત દ્વારા જ ઠરાવ કરી ફાળવણી થતા જે-તે જગ્યા ઉપર બાંધકામ કરી તેના ઉપર કાયદેસર રીતે માલીકી હકક સ્થાપી ધંધા-રોજગાર શરૂ કર્યો છે. જેની સામે તાલુકા પંચાયતના વકીલ વિજયકુમાર પંડયાએ એવી રજુઆત કરી હતી કે આવી કોઇ માલીકીહકક, વેચાણ કે ટ્રાન્સફર ની સતા ખુદ ગ્રામ પંચાયતની છે જ નહી અને પી. ડબલ્યુ. ડી. હસ્તકની આ જગ્યા છે.
આમ પણ જયારે જાહેર રસ્તામાં કે સામાન્ય વહીવટ દરમ્યાન પ્રજાજનોને નડતરરૂપ સંજોગો સર્જાયેલ હોય ત્યારે સરકાર જાહેર હીતને લક્ષ્યમાં રાખી આ પ્રકારનુ ડીમોલીશન કરવાની સતા ધરાવે છે. જે દલીલો માન્ય રાખી વેપારીઓની મનાઇહુકમની અરજી કોર્ટે રદ ફરમાવી હતી. જેની સામે આ ૧૫ વેપારીઓએ અપીલ કરતા ત્યાં પણ એડવોકેટ પંડયાની દલીલોને ધ્યાને રાખી એડી. ડિસ્ટ્રીકટ જજે પણ સિવિલ કોર્ટે કરેલા હુકમને સમર્થન આપી “પેશકદમી કરનારા કબ્જેદારો ને કોર્ટ કોઇ જ પ્રકારની સલામતી કે રક્ષણ આપી શકે નહીં તેવું હુકમ માં ટાંકી મનાઈહુકમની અરજી રદ કરવાનુ યથાર્થ હોવાનુ ફરમાવ્યું છે.