પોરબંદરમાં જેસીબી માટે લોન લીધા બાદ આપેલ સાડા નવ લાખનો ચેક પરત ફરતા આરોપીને બમણી રકમનો દંડ અને બે વર્ષની સજા ફટકારવામાં આવી છે.
સમગ્ર ભારત દેશના દરેક શહેરમાં બ્રાન્ચ ધરાવતી અને પોરબંદર શહેરમાં કાર્યરત સૌથી મોટી નોન બેંકીંગ ફાયનાન્સ કંપની શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાયનાન્સ કંપની લિમિટેડ દ્વારા પોરબંદર પંથકમાં ઘણા વ્યક્તિઓને સેકન્ડ હેન્ડ ટ્રક તથા અન્ય નવા વાહનો પણ ફાયનાન્સ કરેલ છે. મોટા ભાગના ટ્રક ડ્રાયવરો શ્રીરામ ટ્રાન્સપોર્ટ કંપની પાસેથી લોન મેળવી વાહનમાલિકો બનેલ છે. પરંતુ જુજ ધારકો એવા હોય છે કે જે લોન ભરપાઇ કરતા નથી.
શ્રી રામ ટ્રાન્સપોર્ટ ફાયનાન્સ લીમીટેડ કંપની પાસેથી લોનધારક ભોજા લખમણ મોઢવાડીયા દ્વારા જે.સી.બી. વાહન માટે લોન લેવામાં આવી હતી. તેમની બાકી નીકળતી લોન પેટેની રકમના ચુકવણાના હેતુથી ચેક આપવામાં આવેલ હતો. જેની રકમ રૂપિયા ૯,૫૦,૦૦૦ અંકે રૂપિયા નવ લાખ પચાસ હજારનો ચેક આપવામાં આવેલ હતો. જે ચેક શ્રીરામ ફાયનાન્સ કંપની લિમીટેડ દ્વારા વસુલાત માટે બેન્કમાં રજૂ કરવામાં આવેલ હતો. પરંતુ આરોપી ભોજા લખમણ મોઢવાડીયા દ્વારા ચેક મુજબની રકમ બેંકમાં રાખેલ નહી જેથી ચેક વણચુકવ્યો વણવસુલાતે પરત ફરેલ જેથી ફરીયાદી કંપની દ્વારા તેમના વકીલ ધર્મેશ એમ. રૂપારેલીયા દ્વારા નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ મુજબ માંગણાની નોટીસ આપેલી હતી. તેમ છતાં આરોપીએ કોઇ રકમ આપેલ નહી. જેથી ફરીયાદી કંપની તરફથી પ્રિતેષ મુકેશ જાખરીયા દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવેલ પરંતુ કેસ ચાલતા સમય લાગેલ અને તે દરમ્યાન પ્રીતેષભાઇની બદલી થતા તેમના સ્થાને ફરીયાદી કંપનીના કલેકશન મેનેજર નિલેષભાઈ જાદવભાઈ જુંગીએ ફરિયાદ આગળ ચલાવવા અરજ કરેલ જેથી આરોપી તથા ફરીયાદીના વકીલોની લાંબા સમય સુધી દલીલો થયા બાદ ફરીયાદી કંપની તરફથી નિલેષભાઈ જાદવભાઈ જુંગીને ફરીયાદની કાર્યવાહી આગળ ચલાવવા મંજુરી મળેલ હતી.
ફરીયાદી કંપની તરફથી કેસ ચલાવવામાં આવેલ હતો. જેમાં નિલેષ જાદવભાઈ જુંગીની જુબાની બાદ જરૂરી સાક્ષીઓને તપાસેલ હતા તથા કેસ નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ મુજબનો હોય તથા આરોપીએ આપેલ ચેક, નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ છે. તેમજ આવો ચેક પરત ફરવાથી ભારત દેશની આર્થિક સ્થિતિને નુકશાન કર્તા હોય હાલમાં સમગ્ર દેશમાં વેચાણ વહેવાર હપ્તા ખરીદ તેમજ લોન મારફતે થતા હોય અને તેવા સમયે લોન લેનાર ચેક આપ્યા બાદ પણ રકમ ભરપાઈ ન કરે તો ભારત દેશની ઇકોનોમીને નુકસાન થાય તેમ હોય જે અંગે કંપનીના વકીલ ધર્મેશ રૂપારેલીયા મારફત ધારદાર દલીલ કરવામાં આવેલ તથા પાવર ઓફ એટર્ની દ્વારા આવા પ્રકારના કેસ ચલાવી શકાય તેમજ કોઇપણ સમયે પાવર ઓફ એટર્ની બદલાવી શકાય તે અંગે દલીલો સાથે હાલમા જ સુપ્રિમ કોર્ટ તથા ગુજરાત હાઇકોર્ટ દ્વારા પ્રસ્થાપિત થયેલ સિધ્ધાંતો સાથે દલીલો કરેલ તથા ફરીયાદીને વળતર પણ મળવુ જોઈએ તથા ભારતીય અર્થવ્યવસ્થાને નુકશાનકર્તા લોન ડીફોલ્ટર વિરૂધ્ધ કડક કાર્યવાહી થવી જોઇએ તેમ પણ જણાવેલ. તથા તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટ તેમજ હાઇકોર્ટ દ્વારા હાલ કેસ જેવા જ કેસમાં થયેલ સજાઓ અંગેના ચુકાદાઓ રજુ કરેલ. જે દલીલો કરવામાં શ્રીરામ ટ્રાન્સપોર્ટ કંપનીના લો ઓફિસર વિશાલ સોલંકી તેમજ સાથે વકીલ વિપુલ એન. ભેસારા, રાહુલ પી. મજીઠીયા, પ્રવીણભાઇ એમ. રાઠોડ તથા કમલેશ એલ. જોષી અને કેતન એલ. કોટેચાએ જહેમત ઉઠાવેલ હતી.
ઉપરની હકીકતે તમામ દલીલો સાંભળી પોરબંદરના જજ જે.એસ.જોષી દ્વારા આરોપીને દોષિત જાહેર કરેલ હતો અને તે સમયે ફરીયાદી કંપની વતી વકીલની દલીલો સાંભળ્યા બાદ આરોપીને ૯,૫૦,૦૦૦ના ચેકની સામે બમણી રકમ ૧૯,૦૦,૦૦૦ (અંકે રૂપિયા ઓગણીસલાખ પૂરા)નો દંડ કરેલ તથા આરોપીને બે વર્ષ પૂરાની સજા કરવામાં આવેલ છે. ઉપરાંત આરોપી દંડ ચુકવવામાં નિષ્ફળ જાય તો વધુ સજા કરવાનો પણ હુકમ કરેલ છે. તથા આરોપીની અંગત મિલ્કતોમાંથી ફરીયાદી એવી રકમની જમીન મહેસુલીના બાકી લેણા જે રીતે વસુલ કરવામાં આવે છે તેવી રીતે જ રકમ પરત મેળવી શકશે તેવો પણ આદેશ કરેલ છે.
આમ,જે રીતે નાગરીકો લોન લીધા બાદ લોનની રકમ ભરવાનો ઇન્કાર કરતા હોય તેમને ભારત સરકારે બનાવેલ ફાયનાન્સ કંપનીઓ માટેના ખાસ હેતુ સાથેના કાયદાનું ભાન કરાવેલ છે. જેથી જાણી જોઈને લોન ન ભરનાર વીલકુલ લોન ડીફોલ્ટરોમાં ફફડાટ વ્યાપી ગયેલ છે.