દિલ્હી ખાતે યોજાનાર પ્રજાસતાક દિવસ ની પરેડ માં પ્રથમ વખત પોરબંદર ના મહેર સમાજ ની બહેનો દ્વારા ભાતીગળ રાસડા રજુ કરવામાં આવશે.
દિલ્હી ખાતે આગામી 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવશે જ્યાં વિવિધ રાજ્યો તેની અનોખી અને વૈવિધ્યસભર કલા, પરંપરા અને સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરશે. આ અવસરે ગુજરાત તરફથી મહેર સમાજ ના યુવાનો દ્વારા “મહેરનો મણિયારો રાસ” અને પ્રથમ વખત બહેનો દ્વારા “ભાતીગળ રાસડા” રજૂ કરવામાં આવશે, જે ગુજરાતના લોકજીવનના રંગો અને પરંપરાના સમૃદ્ધ વારસાને સમગ્ર દેશ સમક્ષ રજૂ કરશે. નિલેશભાઈ પરમાર અને મહેર રાસ મંડળ તેમજ સંગીત નાટક અકાદમી ના સંકલન હેઠળ, આ વિશિષ્ટ કાર્યક્રમ માટે ઉત્સાહપૂર્વક તૈયારીઓ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે “મહેરનો મણિયારો રાસ” પહેલેથી જ વિશ્વપ્રસિદ્ધ છે અને હવે “ભાતીગળ રાસડા” પણ રાષ્ટ્રીય કક્ષાએ રજૂ થશે, જે માત્ર મહેર સમાજ જ નહીં, પણ સમગ્ર ગુજરાતનું ગૌરવ વધારશે.આ રાસનું ખાસ આકર્ષણ એ છે કે મહેરની દીકરીઓ પ્રથમવાર ભાતીગળ રાસડા રજૂ કરશે, જે સ્ત્રીશક્તિ, પરંપરા અને નવીનતાનું સમન્વય હશે. મહેર સમાજ ની દીકરીઓ દ્વારા રાસડા ની પ્રસ્તુતિ ગુજરાતની સંસ્કૃતિ અને વારસાની ઓળખને વધુ મજબૂત બનાવશે અને દેશ-વિદેશમાં પોરબંદર અને ગુજરાતનું ગૌરવ વધારશે.
