પોરબંદર જીલ્લા માં મતદાન અવસર રથ નું કલેકટર દ્વારા પ્રસ્થાન કરાવાયું છે. આ રથ જ્યાં ઓછુ મતદાન થતું હોય તેવા વિસ્તારો માં ફરી મતદાન કરવા લોકો ને જાગૃત કરશે.
પોરબંદર જીલ્લા ની બન્ને વિધાનસભા બેઠકો માં પ્રથમ તબક્કા દરમ્યાન ૧ ડિસેમ્બરે મતદાન યોજાશે. ત્યારે તમામ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના પર્વમાં જોડાઈને વધુને વધુ લોકો મતદાન કરે તે માટે તંત્ર એ કમર કસી છે. ગત વિધાનસભાની સામાન્ય ચૂંટણી માં જે વિભાગના મતદાન મથકોમાં ઓછું મતદાન થયું હતું તેવા મતદાન મથકો ધરાવતા વિસ્તારમાં અવસર રથ દ્વારા ‘‘સ્વીપ’’(સીસ્ટમેટિક વોટર એજયુકેશનલ એન્ડ ઇલેકટોરલ પાર્ટીસિપેશન) પ્રોગ્રામ અન્વયે મતદાન વધારવા માટે અવસર રથ દ્વારા જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે.
જે અંતર્ગત પોરબંદરની એમ.ઇ.એમ. ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ ખાતેથી જિલ્લા કલેકટર અશોક શર્માએ અવસર રથનું પ્રસ્થાન કરાવ્યું હતું. આ તકે કલેકટરે લખેલું મતદારોને મતદાન કરવા પ્રેરણા પૂરી પાડતું ‘આવો કરે મતદાન’ ગીત સ્કૂલની બાળાઓએ પ્રસ્તુત કર્યું હતું. આ તો કે, કલેકટરે મતદાન કરી લોકશાહીના પર્વમાં જોડાવા લોકોને કરી અપીલ પણ કરી હતી. ૮૩ પોરબંદર તથા ૮૪- કુતિયાણા વિધાનસભા વિસ્તારના ગત વિધાનસભા ચૂંટણીમાં જે મથક વિસ્તારમાં ઓછું મતદાન થયું હતું તેવા મતદાન મથકો ધરાવતા વિસ્તારમાં અવસર રથ ફરશે.
લોકશાહીના આ અવસરે દરેક મતદાર ઉત્સાહસભર જોડાય તથા વંચિત મતદારોની સામેલગીરીથી મહત્તમ મતદાન થાય તે માટે ‘‘સ્વીપ’’ દ્વારા ખાસ પ્રયાસો હાથ ધરી લોકોને મતદાન કરવા અંગે જાગૃત કરી જાણકારી આપવામાં આવી રહી છે અવસર રથના પ્રસ્થાન પ્રસંગે જિલ્લા કલેકટરની સાથે જિલ્લા વિકાસ અધિકારી બી.ડી.નિનામા, નિવાસી અધિક કલેકટર એમ.કે.જોશી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી હેતલ જોશી, જિલ્લા શિક્ષણ અધિકારી કણસાગરા સહિત બી.એલ.ઓ તથા ઝોનલ અને શાળાના વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.





