કુતિયાણા ના બાવળાવદર ગામના પાટીયા પાસે એસટી બસના કંડકટર અને બીજી બસના ડ્રાઇવરને માર મારીને ફરજમાં રૂકાવટ કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. હુમલાખોર નશા ની હાલતમાં આવતા તેની સામે બે ગુના નોંધાયા છે.
જૂનાગઢની ગીરીરાજ સોસાયટીમાં રહેતા અને એસટી કંડકટર તરીકે ફરજ બજાવતા કમલેશ પ્રભુદાસભાઈ પરમારે (ઉવ ૫૧) નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તેઓ પોરબંદર રાજકોટ એસટી રૂટની બસમાં ફરજ બજાવે છે. ગઈકાલે રાજકોટ થી પોરબંદર આવતા હતા ત્યારે કુતિયાણા નજીક આવેલ બાવળાવદર ગામના પાટીયા પાસે એક સખ્શે રોડની વચ્ચોવચ ઉભી બસને રોકાવી હતી. આથી ડ્રાઇવરે બસ ઉભી રાખતા તે સખ્શે ત્યાં આવીને કમલેશભાઈ ને પોતાની પુત્રી ને બાવળાવદર ગામના પાટીયે ઉતારવાની ના પાડી અને કુતિયાણા જ કેમ ઉતારી દીધી હતી તેમ પૂછતા તેઓએ એસટી બસ મેટ્રો લિન્ક બસ હોવાથી તેને બાવળાવદર ગામના પાટીયે સ્ટોપ અપાયો ન હોવાનું જણાવ્યું હતું.
આથી તે શખ્શ ઉશ્કેરાઈ ગયો હતો અને “તું મને ઓળખે છે હું નાગાજણ અરભમ બોખીરિયા છું તેમ કહીને ગાળો બોલી કાઠલો પકડીને બસમાંથી કંડકટર ને નીચે ઉતાર્યો હતો અને ઉશ્કેરાઈને ઝપાઝપી કરવા લાગ્યો હતો અને યુનિફોર્મના શર્ટ ના બટન પણ તોડી નાખ્યા હતા તથા ગાલ ઉપર બે ત્રણ થપ્પડ મારી દીધી હતી એ દરમિયાન પોરબંદર ગાંગરડી રૂટ ની બસ નીકળતા તેના ડ્રાઇવર જયમલભાઈ ઓડેદરા ત્યાં આવી ગયા હતા અને નાગાજણ ને સમજાવતા નાગાજણે જયમલભાઈ સાથે પણ ઝઘડો કરી તેને ઢીકાપાટુ નો માર મારી શર્ટ ના બટન તોડી નાખ્યા હતા.અને ત્યારબાદ કમલેશભાઈ ને “મારી દીકરી ગમે ત્યારે તારી બસમાં આવે તો તે કહે ત્યાં તેને ઉતારી દેજે નહીંતર હવે જીવતો રહેવા નહીં દઉં” તેવી ધમકી આપી હતી આથી તેઓએ ફરજ માં રુકાવટ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી પોલીસે નાગાજણની શોધખોળ હાથ ધરતા તે માલગામ વાડી વિસ્તાર નજીક આવેલ હોટલ પાસેથી નશા ની હાલતમાં મળી આવતા પોલીસે તેની ધરપકડ કરી છે.